રોબર્ટ વાડ્રાને પહેલગામ આતંકવાદી હુમલા પર વિવાદાસ્પદ નિવેદન આપવું ભારે પડ્યું, હાઈકોર્ટ કરશે સુનાવણી
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલા અને પ્રવાસીઓની ક્રૂર હત્યાને લઈને ભારતમાં ગુસ્સો છે. આખો દેશ આતંકવાદીઓ અને તેમના પાકિસ્તાન સામે કાર્યવાહીની માગ કરી રહ્યો છે. જોકે, કોંગ્રેસ નેતા રોબર્ટ વાડ્રાએ આ હુમલા અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે આ આતંકવાદી હુમલાનું કારણ ભારતમાં મુસ્લિમો સાથેના દુર્વ્યવહારને ગણાવ્યો હતો. આ નિવેદનને લઈને વાડ્રા વિરુદ્ધ તપાસ માટે અરજી દાખલ કરવામાં આવી છે, જેની સુનાવણી શુક્રવારે અલ્લાહબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચ કરવા જઈ રહી છે.
પહેલગામ આતંકવાદી હુમલાને લઈને રોબર્ટ વાડ્રાએ કહ્યું હતું કે, ‘મને ખૂબ જ ખરાબ લાગી રહ્યું છે અને આ આતંકવાદી કૃત્યમાં માર્યા ગયેલા લોકો પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. આપણા દેશમાં, આપણે જોઈએ છીએ કે આ સરકાર હિન્દુત્વની વાત કરે છે, અને લઘુમતીઓ અસહજ અને પરેશાની અનુભવે છે. જો તમે આ આતંકવાદી કૃત્યનું વિશ્લેષણ કરો છો, તો જો તેઓ (આતંકવાદીઓ) લોકોની ઓળખ જોઈ રહ્યા છે, તો તેઓ આવું કેમ કરી રહ્યા છે? કારણ કે આપણા દેશમાં હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે વિભાજન ઉત્પન્ન થયું છે. તેનાથી આવા સંગઠનોને લાગશે કે હિન્દુઓ બધા મુસ્લિમો માટે સમસ્યાઓ ઉભી કરી રહ્યા છે. ઓળખ જોવી અને પછી કોઈની હત્યા કરવી, એ વડા પ્રધાન માટે સંદેશ છે, કારણ કે મુસ્લિમો નબળાઈ અનુભવી રહ્યા છે. લઘુમતીઓ નબળાઈ અનુભવી રહ્યા છે. આ વાત ઉપરથી આવવી જોઈએ કે આપણે આપણા દેશમાં સુરક્ષિત અને ધર્મનિરપેક્ષ અનુભવીએ છીએ અને આપણે આવા કૃત્યો થતા નહીં જોઇએ.
પહેલગામ આતંકવાદી હુમલા પર રોબર્ટ વાડ્રાના વિવાદાસ્પદ નિવેદન સામે હિન્દુ ફ્રન્ટ ફોર જસ્ટિસ અને અન્ય સંગઠનો દ્વારા આ અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં માગ કરવામાં આવી હતી કે કેન્દ્ર સરકારને આ મામલે SIT ની રચના કરવા અને રોબર્ટ વાડ્રા સામે તપાસ કરવાનો નિર્દેશ આપવામાં આવે. અરજદારોએ કોર્ટને વાડ્રા સામે BNSની જોગવાઈઓ હેઠળ કાર્યવાહી કરવાનો આદેશ આપવાની પણ માગ કરી છે.
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે એક મોટો આતંકવાદી હુમલો થયો હતો. આતંકવાદીઓએ બૈસરન ખીણની મુલાકાત લેવા આવેલા પ્રવાસીઓને તેમના ધર્મ પૂછ્યા પછી તેમની હત્યા કરી દીધી હતી. લોકોને કલમાનો પાઠ કરવાનું કહેવામાં આવ્યું અને તેઓ કયા ધર્મના છે તે તપાસવા માટે તેમના પેન્ટ ઉતારીને ચેક કરવામાં આવ્યું. આ આતંકવાદી ઘટનામાં કુલ 26 લોકો માર્યા ગયા હતા અને મોટી સંખ્યામાં લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp