પતિએ પુરુષ પ્રેમી માટે... બાત નિકલેગી તો ફિર દૂર તલક જાયેગી!
નવસારી: સમલૈંગિક સંબંધો લગ્નજીવન પર મોટો પડકાર ઉભો કરે છે. લગ્ન થયા બાદ જ્યારે દંપતિ માંથી એક સમલૈંગિક સંબંધમાં સામેલ થાય ત્યારે બીજા માટે વિશ્વાસઘાત, મૂંઝવણ અને અસ્વીકારની લાગણીઓ ઉભી થાય છે. ખાસ કરીને જ્યારે દામ્પત્ય જીવનમાં બાળકો પણ હોય અને ત્યાર બાદ વ્યક્તિ આવા લગ્નેત્તર સંબંધમાં સપડાઈ જાય તો આગળ શું કરવું તે એક મોટી વ્યથા બની જાય છે. બાળકોના જીવન ને લઈને પણ એક મોટો પ્રશ્ન ઉભો થાય છે. જોકે કેટલાક યુગલો ખુલ્લા સંવાદ કે કાઉન્સેલિંગ દ્વારા આ પરિસ્થિતિને સંભાળે છે, પરંતુ જો લગ્નની અપેક્ષાઓ અને વ્યક્તિગત ઓળખ સંરેખિત ન થઈ શકે તો ઘણીવાર છૂટાછેડા કે અલગ થવાની નોબત આવે છે. આમાં જે વ્યક્તિ સમલૈંગિક સંબંધમાં સપડાઈ જાય તે પૂરા પરિવારને ત્યજી દે તો સામેવાળી વ્યક્તિ પાસે શું વિકલ્પો રહી જાય?
આ વાત છે નવસારીની એક દિકરીની જેના વિવાહ નડિયાદમાં થયા હતાં. મનીષાબેન, નડીયાદના મંગળપાર્ક સોસાયટીના રહેવાસી છે અને હાલ વિજલપોરની આકાશગંગા સોસાયટીમાં પિયરમાં રહે છે. મનીષાબેનના લગ્ન 2017માં નડીયાદના એક યુવક સાથે થયા હતા. દામ્પત્ય જીવન દરમિયાન યુગલને એક છોકરી અને એક છોકરો એમ બે સંતાનો છે. વર્ષ 2022માં મનીષાબેનના પતિની રેલવેના ગુડઝ પાર્સલ ડીપાર્ટમેન્ટમાં સુરત ખાતે ટ્રાન્સફર થઈ. ત્યારબાદ તેઓ સુરતમાં એકલા રહેવા ગયા અને પત્નીને સાથે રાખવાની સ્પષ્ટ ના પાડી દીધી. મનીષાબેન ક્યારેક પતિ સાથે રહેવા સુરત જતા, ત્યારે તેમને જાણવા મળ્યું કે તેમના પતિના અન્ય પુરુષ સાથે અકુદરતી સંબંધો છે, જેના કારણે તેઓ પત્ની અને સંતાનોને સાથે રાખવા માંગતા ન હતા. આ ઉપરાંત, પતિ તેમને શારીરિક અને માનસિક રીતે હેરાન કરતા હતા.
બીજી તરફ, સાસુ અને નણંદ પણ દહેજની માંગણી કરી મનીષાબેન સાથે ઝઘડા કરતા અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા હતા. લગ્ન બાદ પતિ, સાસુ અને નણંદ નાની-નાની બાબતોમાં ઝઘડો કરી દહેજ પેટે 15 લાખ રૂપિયા માંગતા હતા અને મનીષાબેનને શારીરિક-માનસિક ત્રાસ આપતા હતા. આ તમામ ત્રાસથી કંટાળીને મનીષાબેને આખરે વિજલપોર પોલીસ મથકે પતિ, સાસુ અને નણંદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. હાલ આ મામલે પી.એસ.આઈ. એમ.આર. જાનીએ તપાસ હાથ ધરી છે.
પતિ પત્ની ઔર વો ની શ્રેણીમાં સમલૈંગિક લગ્નેત્તર સંબંધના કારણે તરછોડાયેલા બાળકો અને પરણીતાના ભાવી પર પણ પ્રશ્નો ઊભા કરતી આ ઘટનાએ ફરી એકવાર દહેજ પ્રથા અને સ્ત્રીઓ પર થતા અત્યાચારનો મુદ્દો ચર્ચામાં લાવ્યો છે. પોલીસે આગળ તપાસમાં આદરી છે અને આ મુદ્દાનું શું નિરાકરણ આવે છે માત્ર આવનારો સમય જ જણાવી શકશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp