દમણ ફરવા જતા પહેલા આ જાણવું ખૂબ જરૂરી, કોરોનાને પગલે તંત્રએ લીધો નિર્ણય
દમણ: દમણ અને દાદરા નગરહવેલી ગુજરાતને અડીને આવેલા કેન્દ્ર શાસિત પ્રદેશો છે. જેનો મોટાભાગનો વ્યવહાર પણ ગુજરાત સાથે જ ચાલે છે. ગુજરાતથી ઘણાં લોકો કેન્દ્ર શાસિત પ્રદેશમાં નોકરી-ધંધા માટે જાય છે તો હરવા-ફરવા જનારા લોકોની સંખ્યા પણ વધુ છે. ત્યારે દમણ પ્રશાસને બહારથી આવતા લોકો માટે નવો નિયમ બનાવ્યો છે.
દમણમાં બહારથી આવતા લોકોને વેક્સિનેશન સર્ટિફિકેટ વગર પ્રવેશ ન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી જો રસીકરણનું સર્ટી ન હોય તો દમણમાં પ્રવેશ મળશે નહીં. વધતા કેસને જોતા સ્થાનિક તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ ઉપરાંત, દમણમાં શાળાઓ પણ બંધ કરી દેવામાં આવી છે. ગુરુવારથી આગામી આદેશ સુધી ધોરણ એકથી આઠની શાળાઓ બંધ કરી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે. બુધવારે માત્ર એક જ દિવસમાં કોરોનાનાં 17 કેસ આવતા આરોગ્ય વિભાગ અને તંત્ર સાબદાં થયા હતા અને શાળાઓ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત, દમણમાં રાત્રિ કર્ફ્યુ પહેલેથી જ લાગુ કરવામાં આવ્યો છે.
દમણમાં કલેક્ટરે જણાવ્યું કે, સંઘપ્રદેશ દમણમાં વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. પહેલા રાત્રિ કર્ફ્યુ અને ત્યારબાદ શાળાઓ બંધ કરવાના આદેશ કરવામાં આવ્યા બાદ હવે બહારથી આવતા પ્રવાસીઓને વેક્સિન સર્ટી ન હોય તો પ્રવેશ ન આપવા માટેની સૂચના પણ આપવામાં આવી છે.
આ ઉપરાંત જણાવવામાં આવ્યું છે કે તમામ હોટેલ અને ઉદ્યોગકારોને રસીકરણ કામગીરી પૂર્ણ કરવા માટે નિયમોનું પાલન કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત આ તમામ નિયમોનું કડક પાલન કરાવવા માટે પોલીસ તંત્રને પણ સૂચના આપી છે તેમજ નિયમોના ઉલ્લંઘન પર કડક સજા કરવામાં આવશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp