મહેશ સવાણીએ ‘આપ’ સાથે છેડો ફાડ્યો! કહ્યું “હું સમાજસેવા નથી કરી શકતો” આમ આદમી પાર્ટીને ઉપરાછાપરી ફટકા
પોલિટિકલ ડેસ્ક : રાજકારણમાં ભલભલી બાજીઓ પળવારમાં પલટાઈ જતી હોય છે. કેટલાય લોકો રાજકારણને નવી દિશા આપવાની વાત કરીને અખાડામાં ઉતરે છે, પણ સમય જતાં ક્યાંતો પોતે બદલાઈ જાય છે, અથવા રાજકારણ છોડી દે છે. આવી જ એક ઘટનાને કારણે આજે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને (AAP) મોટો ફટકો પડી ગયો છે. પાર્ટીના દિગ્ગજ નેતા ગણાતા મહેશ સવાણીએ (Mahesh Savani) અચાનક આજે પાર્ટી સાથેનો નાતો પૂરો થયાની જાહેરાત કરી હતી. મહેશ સવાણીની આ જાહેરાત બાદ ગુજરાતના રાજકારણમાં અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી નીકળી છે
મહેશ સવાણીની છાપ માત્ર એક ઉદ્યોગપતિ તરીકેની જ નહિ પણ સામાજિક નિસ્બત ધરાવનાર વ્યક્તિ તરીકેની પણ રહી છે. ખાસ કરીને અનાથ કન્યાઓના લગ્ન કરાવી આપવાની એમની પ્રવૃત્તિને કારણે રાજકારણમાં એમનાથી વિરુદ્ધ વિચારસરણી ધરાવનારા લોકો પણ એમને માન આપતા હતા. રાજકારણમાં આવવા પહેલાથી મહેશભાઈ સમાજસેવાના વિવિધ કાર્યો સાથે જોડાયેલા હતા. એ કાર્યોને લીધે સમાજમાં એમની પ્રતિષ્ઠા પણ સારી બંધાઈ હતી. કદાચ એ જ કારણોસર મહેશભાઈને સ્વાભાવિકપણે જ રાજકીય મહત્વાકાંક્ષા જાગી હોઈ શકે. શરૂઆતમાં ભાજપની અત્યંત નજીક ગણાતા મહેશભાઈને સમય જતાં ભાજપ સાથે અંતર પડી ગયું હતું, અને તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. પરંતુ આજે અચાનક એમણે જાહેરાત કરી હતી કે “હું સમાજસેવા નથી કરી શકતો, મને હતું હું રાજનીતિમાં રહીને વધારે સારું કરીશ, પણ જે કરતો હતો એ નથી કરી શકતો, એટલે હવે (રાજકારણ) છોડી રહ્યો છું!”
વધુમાં તેમણે જણાવ્યું હતું કે “મારી તબિયત પણ નાદુરસ્ત રહે છે. ભવિષ્યમાં જે સેવા કરતા હશે એની સાથે જોડાઈશ.” મહેશભાઈના આ નિવેદનોનો શું અર્થ નીકળે છે, એની ચર્ચા હવે ચારેકોર ચાલી નીકળશે. શું મહેશભાઈ આમ આદમી પાર્ટીમાં કોઈક બાબતે ગૂંગળામણ અનુભવી રહ્યા હતા? થોડા દિવસો પહેલા જ મીડિયામાં ગોપાલ ઇટાલીયા અને ઇસુદાન ગઢવી વચ્ચેની છુપી ખેંચતાણની વાતો વહેતી થઇ હતી. શું મહેશભાઈ પણ પક્ષની અંદર ચાલતી આવી જ કોઈ રમતનો ભોગ બન્યા હશે કે આવી બાબતોથી કંટાળ્યા હશે? કે પછી બહારથી કોઈ દબાણ આવ્યું હશે?
આ તમામ પ્રશ્નોના તદ્દન સાચા ઉત્તરો કદાચ માત્ર મહેશભાઈ જ આપી શકે એમ છે. હાલમાં તો તેઓ માત્ર સમાજ સેવામાં જ ધ્યાન પરોવવાની વાત કરી રહ્યા છે.
આ અગાઉ આજે સવારે જાણીતા ગાયક અને પાર્ટીના ઉપપ્રમુખ વિજય સુવાળાએ પણ આમ આદમી પાર્ટી (AAP) સાથે છેડો ફાડ્યો હતો. તેઓ આપ છોડીને ભાજપમાં (BJP) જોડાઈ ગયા હતા. ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે (C. R. Patil) ખેસ ઓઢાડીને વિજય સુવાળાને ભાજપમાં પ્રવેશ આપ્યો હતો. એ પછી આપના નીલમબેન વ્યાસ પણ આપ છોડીને ભાજપમાં જોડાઈ ગયા હતા. આમ એક જ દિવસમાં ગુજરાત આમ આદમી પાર્ટીને ઉપરાછાપરી ત્રણ ફટકા પડી ગયા હતા!
વિજય સુવાળાએ ભાજપમાં જોડાતી વખતે કહ્યું હતું કે મારો પરિવાર ત્રણ પેઢીથી ભાજપની વિચારધારા સાથે જોડાયેલો છે. આ નિમિત્તે સી. આર. પાટીલે કહ્યું હતું કે બીજ્ય્ભાઈ ભ્રમમાં આવી ગયા હતા અને હવે તેઓ ભાજપમાં પાછા ફર્યા છે. અહીં નોંધનીય બાબત એ છે કે આપમાં જોડાતી વખતે ઇસુદાન ગઢવીને પોતાના મોટા ભાઈ સમાન ગણાવનાર વિજય સુવાળાએ ભાજપમાં જોડાતી વખતે સી. આર. પાટીલને પિતા સમાન ગણાવ્યા હતા. તેમણે એમ પણ કહ્યું હતું કે હું નરેન્દ્ર મોદીનો બહુ મોટો ફેન છું.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp