રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પુત્ર મસ્તાનભાઈનું 91 વર્ષની વયે નિધન
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પુત્ર મસ્તાનભાઈ મેઘાણીનું 18 જૂન 2022ના રોજ સાંજે 6 કલાકે 91 વર્ષે વડોદરા ખાતે નિધન થયું છે. વિશ્વભરમાં વસતાં ગુજરાતીઓએ શ્રધ્ધાસુમન અર્પણ કર્યાં છે. 29 ડીસેમ્બર 1931ના રોજ ભાવનગર ખાતે જન્મેલા અને છેલ્લા 20 વર્ષથી વડોદરા ખાતે નિવૃત્ત જીવન વિતાવી રહેલા મસ્તાનભાઈ અનેક સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા. એમનું વિનમ્ર અને સરળ વ્યક્તિત્વ સહુને સ્પર્શી જતું. ડેરી ટેકનોલોજીના ઉચ્ચ અભ્યાસ પછી તેઓ સ્વીડન અને કુવૈત ખાતે કાર્યરત રહ્યા હતા.
1946માં કડીમાં અભ્યાસ કરતા પુત્ર-બેલડા નાનકભાઈ અને મસ્તાનભાઈના જન્મદિવસે પ્રેમાળ પિતા ઝવેરચંદ મેઘાણીએ હ્રદયસ્પર્શી પત્ર લખ્યો હતો કે, "તમે ફકત ભાઈઓ નથી, મિત્રો છો, જન્મસંગાથીઓ છો, એકબીજાના પૂરક છો, એક જ પંથના તીર્થ-યાત્રીઓ છો. શરીરે જુદા છતાં એકરસ અને એકરૂપ છો એમ માનજો." જોડીયા-ભાઈઓ માંડ એકાદ વર્ષનાં હતા ત્યારે માતા દમયંતીબેનનું નિધન થયું હતું. પોતાના દરેક સંતાનના જન્મદિવસે, વર્ષ દરમિયાન પ્રકાશિત થયેલાં પોતાના પુસ્તકો, ઝવેરચંદ મેઘાણી તેમને ભેટ આપતા. દરેક પુસ્તકમાં સંતાન પર લાગણીભર્યો સંદેશો લખીને નીચે પોતાની સહી કરતાં.
સંતાનો પણ પોતાના જન્મદિવસે બાપુજીની આ મહામૂલી ભેટની આતુરતાપૂર્વક રાહ જોતા. પોતાના એક જન્મદિવસે નાનકભાઈ-મસ્તાનભાઈ બાપુજીને વ્હાલથી ભેટ્યા અને ચરણ-સ્પર્શ કરીને આશીર્વાદ મેળવ્યા. ભેટ-પુસ્તકોમાં લિ. ઝવેરચંદ તરીકે પિતા સહી કરવા જતા હતા, ત્યાં જ બન્ને ભાઈઓ કહે : બાપુજી, ઝવેરચંદ તરીકે સહી કેમ ? પ્રેમાળ પિતા તરત જ પોતાના વ્હાલા પુત્રોની લાગણી પામી ગયા અને બાપુજી તરીકે જ સહી કરી.મસ્તાનભાઈના જોડીયા-ભાઈ નાનકભાઈનું 20 જુલાઈ 2014ના રોજ 82 વર્ષે અમદાવાદ ખાતે નિધન થયું હતું.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp