આ એરપોર્ટ પર મિસાઇલ હુમલો, એર ઈન્ડિયા સહિત અન્ય એરલાઇન્સે રદ કરી ફ્લાઇટ
ઇઝરાયલના મુખ્ય શહેર તેલ અવીવના એરપોર્ટ પર મિસાઇલ હુમલા બાદ, ભારતની એર ઇન્ડિયા સહિત ઘણી એરલાઇન્સે રવિવાર (4 મે, 2025)ના રોજ તેમની ફ્લાઇટ્સ રદ કરી દીધી હતી. યમનના હુતિ બળવાખોરો દ્વારા ઇઝરાયલ તરફ છોડવામાં આવેલી એક મિસાઇલ બેન ગુરિયન એરપોર્ટ નજીક પડી, જેના કારણે હવામાં ધુમાડાના ગોટેગોટા ફેલાઈ ગયા અને મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.
ઇઝરાયલી એમ્બ્યુલન્સ સેવાએ જણાવ્યું હતું કે 8 લોકોને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જેમાં એકની હાલત ગંભીર છે. તેલ અવીવ માટે ફ્લાઇટ્સ સ્થગિત કરવાની જાહેરાત કરનારી એરલાઇન્સમાં જર્મનીની લુફ્થાન્સા, બ્રિટિશ એરવેઝ, એર ઇન્ડિયા અને અમેરિકાની ડેલ્ટા એરલાઇન્સનો સમાવેશ થાય છે.
લુફ્થાન્સાએ જણાવ્યું હતું કે તેલ અવીવથી આવતી જતી ફ્લાઇટ્સ 6 મે સુધી સ્થગિત કરવામાં આવી છે. આ ઉપરાંત, યુરોવિંગ્સ, સ્વિસ, ઑસ્ટ્રિયન અને બ્રસેલ્સ એરલાઇન્સે પણ કહ્યું છે કે તેઓ વર્તમાન પરિસ્થિતિને કારણે સેવાઓ બંધ કરી રહ્યા છે. સમાચાર એજન્સી AFPના અહેવાલ મુજબ, બ્રિટિશ એરવેઝે કહ્યું છે કે તેલ અવીવ આવતી અને જતી બધી ફ્લાઇટ્સ 7 મે સુધી સ્થગિત કરવામાં આવી રહી છે. અમે સતત ઓપરેશનલ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ અને BA-405 સહિત તેલ અવીવ આવતી-જતી અમારી બધી ફ્લાઇટ્સ 7 મે સુધી સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.
એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે દિલ્હી અને તેલ અવીવ વચ્ચેની ફ્લાઇટ્સ 6 મે સુધી સ્થગિત રહેશે. એરલાઇનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, પરિણામે, અમારા ગ્રાહકો અને કર્મચારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તેલ અવીવથી અમારી ફ્લાઇટ્સ 6 મે, 2025 સુધી તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવશે. અમારો સ્ટાફ ગ્રાહકોને મદદ કરી રહ્યા છે અને તેમને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં મદદ કરી રહ્યા છે. એરલાઇને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અમે સતત કાર્યકારી પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ અને બુધવાર, 7 મે સુધી તેલ અવીવ આવતી-જતી અમારી બધી ફ્લાઇટ્સ સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.’
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp