નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસની બીજી લહેરની અસર ધીમે-ધીમે ઓછી થઇ રહી છે. દેશમાં પાંચ દિવસ પછી ફરી એકવાર કોરોનાના નવા કેસની સંખ્યા ૪૦ હજારથી નીચે રહી હતી. ઉપરાંત, કોરોનાથી થતા મૃત્યુની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. જેની વચ્ચે કોરોનાની સ્થિતિને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આવતીકાલે એક બેઠક યોજાશે, જેમાં પૂર્વોત્તર રાજ્યોના મુખ્યમંત્રીઓ ભાગ લેશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) આવતીકાલે સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ (Video conferencing) દ્વારા રાજ્યોમાં કોવિડ-19 ની પરિસ્થિતિ અંગે આસામ, નાગાલેન્ડ, ત્રિપુરા, સિક્કિમ, મણિપુર, મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને મિઝોરમના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરશે.
કેન્દ્રે શા માટે ફરી પૂર્વોત્તર તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું?
આ પૂર્વોત્તર રાજ્યોમાં કોરોનાની વર્તમાન સ્થિતિને લઈને કેન્દ્રના કેબિનેટ સેક્રેટરી રાજીવ ગૌબાએ રાજ્યોના ગૃહ વિભાગ સાથે ચર્ચા કરી હતી અને સ્થિતિની સમીક્ષા કરી હતી. તદુપરાંત, આ મહિનાની શરૂઆતમાં કોરોનાના વધતા કેસને લઈને કેન્દ્ર દ્વારા મણિપુર, આસામ, અરૂણાચલ પ્રદેશ અને ત્રિપુરા સહિત છ રાજ્યોમાં એક નિષ્ણાતોની ટીમ મોકલી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, દેશમાં હાલ ૮૦ ટકા કોરોનાના નવા કેસ ૯૦ જિલ્લાઓમાંથી જોવા મળી રહ્યા છે, જેમાંથી ૧૪ જિલ્લાઓ ઉત્તર-પૂર્વીય રાજ્યોના છે. તેમજ ગત સપ્તાહે યોજાયેલી સમીક્ષા બેઠક દરમિયાન ધ્યાને આવ્યું હતું કે ૧૦ ટકાથી વધુ પોઝિટીવિટી રેટ ધરાવતા ૭૩ જિલ્લાઓ પૈકીના ૪૬ જિલ્લાઓ આ પૂર્વોત્તર રાજ્યોના છે. આ જ કારણ છે કે કેન્દ્રે પૂર્વોત્તર રાજ્યો ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
કોરોનાકાળમાં પીએમ મોદીએ અનેક વખત રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વર્ચ્યુઅલ બેઠકોના માધ્યમથી ચર્ચા કરી છે તેમજ કોરોનાની સ્થિતિની સમીક્ષા કરી છે. જોકે, દેશમાં સતત એવી ચર્ચા ઉઠે છે કે દેશમાં બાકીના રાજ્યોને જેટલું મહત્વ અપાય છે તેટલું પૂર્વોત્તરના સાત રાજ્યોને આપવામાં નથી આવતું. પરંતુ હવે આ માન્યતાઓ પણ ધીમે-ધીમે તૂટતી જણાઈ રહી છે.