Jagannath Rath Yatra 2025: આગામી 27 જૂનના રોજ ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા નીકળવાની છે. જગન્નાથ રથયાત્રાને લઈને અંતિમ ઓપ અપાઈ ગયો છે. ત્યારે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 278 લોકોના મોત થયા બાદ આ વર્ષે અમદાવાદમાં યોજાનારી ભગવાન જગન્નાથની રથયાત્રા સાદગીપૂર્ણ રીતે કાઢવામાં આવે તેવી અટકળો ચાલી રહી હતી. પરંતુ જ્યારે જગન્નાથ મંદિરના ટ્રસ્ટ્રી મહેન્દ્ર ઝા અને જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે આ અટકળોનો અંત લાવી દીધો છે તેમણે કહ્યું હતું કે, 'દર વર્ષે જે રીતે પરંપરા મુજબ રથયાત્રા નીકળે તે પ્રમાણે તૈયારી કરવામાં આવી છે.’ જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું હતું કે આગામી 148મી રથયાત્રા પરંપરાગત રીતે પોતાના રૂટ પરથી જ નીકળશે. હાલ ટ્રક અને ટેબ્લોને લઈને સરકાર સાથે વાતચીત ચાલી રહી છે અને સરકાર સાથે ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે.
જમાલપુર જગન્નાથ મંદિરથી નીકળનારી રથયાત્રાના 14 કિલોમીટરના રૂટ ઉપર આજે શુક્રવારે અમદાવાદના મેયર પ્રતિભા જૈન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, ડેપ્યુટી મેયર જતીન પટેલ સહિતના ભાજપના પદાધિકારીઓ, મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને મંદિરના મહેન્દ્ર ઝા સાથે રૂટનું નિરીક્ષણ કર્યું હતું. રથયાત્રાના રોડ પર જમાલપુર દરવાજા પાસે રોડની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી 2 દિવસમાં પૂર્ણ થઈ જશે, જ્યારે કાલુપુર રેલવે સ્ટેશન પાસે રૂટ ઉપર જે રોડ પર બેરિકેડ્સ લગાવ્યાં હતા તેને ખોલી દેવામાં આવ્યાં છે. રૂટ ઉપર ભયજનક મકાનોને તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવી રહ્યા છે.
મેયર પ્રતિભા જૈને જણાવ્યું હતું કે ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને આજે અંદાજિત 14 કિલોમીટરના રથયાત્રાના રૂટ પર નિરીક્ષણ કરવામાં આવ્યું, જેમાં રોડ રસ્તા રિસર્ફેસ, ઝાડ ટ્રીમિંગ કરવાની, લાઈટો લગાવવાની, પાણીના પરબો અને મેડિકલ સુવિધા તેમજ ભયજનક મકાનો સામે પગલાં લેવા અંગેની સૂચના આપવામાં આવી હતી. મોટા ભાગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. જ્યાં હજી પણ નાની-મોટી કામગીરી કરવાની બાકી છે એ આગામી દિવસોમાં પૂરી થઈ જશે. રથયાત્રાના રૂટને હેરિટેજ રૂટ તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે, જેના માટે જમાલપુર જગન્નાથ મંદિરથી ખમાસા કોર્પોરેશન ઓફિસ સુધીના એક કિલોમીટરના રૂટ ઉપર અત્યારે કામગીરી કરવામાં આવી છે.
મેયરે આગળ કહ્યું હતું કે રથયાત્રાના રૂટ પર જેટલાં પણ ભયજનક મકાનો છે એને દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. જર્જરિત મકાનોને ઉતારી લેવા નોટિસ આપવામાં આવી હતી. જો કોઈએ નોટિસ આપ્યા બાદ પણ અમલ ન કર્યું તો તેમના લાઈટ, ડ્રેનેજ અને પાણીના કનેક્શન કાપવામાં આવી રહ્યા છે. જગન્નાથની રથયાત્રા પરંપરાગત રીતે અને શાંતિપૂર્ણ માહોલમાં નીકળે, જેને લઈને આજે રૂટ ઉપર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તમામ કોર્પોરેશનના પદાધિકારીઓ અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.
વર્ષમાં એક વખત અષાઢી બીજના દિવસે નીકળતી ભગવાન જગન્નાથની રથ યાત્રામાં સરસપુર મોસાળ તરફથી ભાણેજ ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાનું ભાવથી મામેરું કરવામાં આવે છે. મામેરામાં ભગવાનને આપવામાં આવતા વાઘા, ઘરેણાં સહિતની વસ્તુઓ સાથે મામેરાના દર્શન 22 જૂનના રોજ સરસપુર રણછોડરાય મંદિરના થશે. ભગવાનને મામેરામાં આપવામાં આવેલી તમામ વસ્તુઓ લોકોનાં દર્શન માટે મૂકવામાં આવે છે. દર વર્ષે સાંજે 5:00 વાગ્યાથી રાત્રે 10:00 વાગ્યા સુધી મામેરાના દર્શન કરવામાં આવતા હોય છે.
જોકે ચાલુ વર્ષે રણછોડરાયજી મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા આખો દિવસ ભક્તો મામેરાનાં દર્શન કરી શકે એ માટે 22 જૂનના રોજ સવારે 11:00 વાગ્યાથી રાત્રે 8:00 વાગ્યા સુધી મામેરાના દર્શન થા તેવું આયોજન કરવામાં આવ્યું છે. ટ્રસ્ટી ઉમંગ પટેલે જણાવ્યું હતું કે દર વર્ષે મામેરાના દર્શન કરવા મોટી સંખ્યામાં લોકો ઊમટી પડે છે ત્યારે ચાલુ વર્ષે લોકો આખા દિવસમાં મામેરાના દર્શન કરી શકશે. સરસપુર મંદિરમાં મોટી સંખ્યામાં લોકો દર્શન માટે આવતા હોય છે. ચાલુ વર્ષે મંદિરનો ભાગ પણ મોટો કરવામાં આવ્યો છે, જેથી વધારેમાં વધારે લોકો રથયાત્રા દરમિયાન દર્શન કરી શકશે.
સવારના નિજ મંદિરથી રથયાત્રાની શરુઆત થશે, ત્યારબાદ ખમાસા ગેટ, મ્યુનિસિપલ કચેરી, આસ્ટોડિયા ચકલા, રાયપુર, ખાડિયા ચાર રસ્તા, પાંચકુવા, કાલુપુર સર્કલ, ડૉ. આંબેડકર હોલ, સરસપુર ચાર રસ્તાથી વિરામ સ્થળે પહોંચે છે. અહીં થોડો સમય વિરામ લીધા બાદ રથયાત્રીઓ જય જગન્નાથજીના નારાઓ સાથે આગળની પરિક્રમા શરૂ કરશે. સરસપુર ચાર રસ્તાથી ડૉ.આંબેડકર હોલ, કાલપુર સર્કલ, જોર્ડન રોડ, દિલ્હી ચકલા, હલીમની ખડકી, શાહપુર દરવાજા, શાહપુર ચકલા, રંગીલા ચોકી, ઘીકાંટા રોડ, પાનકોરનાકા, ફુવારા, આર.સી. હાઇસ્કૂલ, માણેકચોક, ગોળલીમડા, દાણાપીઠ, ખમાસા થઈને ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિજ મંદિરે પરત ફરે છે.
અમદાવાદના જગન્નાથજી મંદિરમાં જગન્નાથપુરી મંદિરની જેમ તમામ પૂજા-વિધિઓ થતી હતી. વર્ષ 1869થી અમદાવાદમાં રથયાત્રા નિકળવાની શરુઆત થઈ હતી. ભરુચમાં રહેતા નૃસિંહદાસજીના ખલાસ કોમના ભક્તોએ મોટાપાયા પર નીકળનારી રથયાત્રાની તૈયારીની શરૂઆતને લઈને નારિયેળના ઝાડના લાકડામાંથી 3 રથ તૈયાર કરી અમદાવાદ પહોંચાડી દીધા હતા. પછી અષાઢી બીજના દિવસથી શરુ થયેલી આ પરંપરા અત્યાર સુધી અખંડ રહી છે એટલે ભગવાનના રથ ખેંચવાનું કાર્ય ખલાસ ભાઈઓ જ કરે છે.