પંજાબના મુખ્યમંત્રી માનને વિમાનમાંથી ઉતારી દીધા હોવાનો દાવો, બીજેપી-અકાલી અને કોંગ્રેસનો આપ પર પ્રહાર
શિરોમણી અકાલી દળના નેતા સુખબીર સિંહ બાદલે પંજાબના સીએમ ભગવંત માનને લઈને ચોંકાવનારો દાવો કર્યો છે. સુખબીર બાદલે દાવો કર્યો છે કે પંજાબના સીએમ ભગવંત માનને લુફ્થાંસા એરલાઈન્સમાંથી ઉતારી મૂકવામાં આવ્યા હતા. સુખબીરના કહેવા પ્રમાણે, એરલાઈન્સે આ પગલું એટલા માટે લીધું કારણ કે સીએમ માન એ એટલો દારૂ પીધો હતો કે તેઓ ઉભા પણ થઈ શકતા ન હતા. બાદલે મીડિયા રિપોર્ટ્સને ટાંકીને આ દાવો કર્યો છે. બીજી તરફ આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રી ભગવંત માનને વિમાનમાંથી ઉતારી દેવાના સમાચારને પાયાવિહોણા ગણાવ્યા છે.
ભગવંત માન તાજેતરમાં જ જર્મની ગયા હતા. હવે સુખબીર બાદલે ટ્વીટ કર્યું છે કે સાથેના મુસાફરોને ટાંકીને આઘાતજનક મીડિયા અહેવાલો બહાર આવ્યા છે કે પંજાબના સીએમ ભગવંત માનને લુફ્થાંસા એરલાઇન્સમાંથી ઉતારી મૂકવામાં આવ્યા છે કારણ કે તેમણે ખૂબ દારૂ પીધો હતો. જેના કારણે ફ્લાઈટ ચાર કલાક મોડી પડી હતી. તેમણે કહ્યું કે આ અહેવાલ સમગ્ર વિશ્વમાં પંજાબીઓને શરમાવનારો છે.
સુખબીર બાદલે આગળ લખ્યું, ચોંકાવનારી વાત એ છે કે પંજાબ સરકાર મુખ્યમંત્રીને લઈને આવા અહેવાલો પર મૌન છે. અરવિંદ કેજરીવાલે આ મામલે સ્પષ્ટતા કરવી જોઈએ. ભારત સરકારે પગલાં લેવા જોઈએ કારણ કે તેમાં પંજાબી અને રાષ્ટ્રીય ગૌરવ સામેલ છે. જો તેમને ઉતારી દેવામાં આવ્યા હોય, તો ભારત સરકારે તેના જર્મન સમકક્ષ સાથે આ મુદ્દો ઉઠાવવો જોઈએ. બીજી તરફ બ્રિકમસિંહ મજીઠીયાએ પણ આ મામલે ભગવંત માનને આડે હાથ લીધા છે.
વિપક્ષના નેતા પ્રતાપ સિંહ બાજવાએ આ અહેવાલો પર તપાસની માંગ કરી છે. અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સીએમ ભગવંત માનને ફ્રેન્કફર્ટમાં ઉતારવામાં આવ્યા હતા કારણ કે તેઓ મુસાફરી કરવાની સ્થિતિમાં ન હતા. તેમણે નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે આ મુદ્દો ઉઠાવવાની માંગ કરી છે, જેથી તેનું કારણ જાહેર કરી શકાય.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp