પીએમ મોદીની સુરક્ષામાં ચૂક : સુપ્રીમ કોર્ટે તપાસ સમિતિ બનાવી, નિવૃત્ત જજ હશે અધ્યક્ષ
નવી દિલ્હી: પીએમ મોદીની સુરક્ષામાં ચૂક મામલે હાલ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટે આ મામલે એક તપાસ સમિતિની રચના કરી છે, જે સમગ્ર મામલાની તપાસ કરશે. આ સમિતિનું નેતૃત્વ નિવૃત્ત ન્યાયાધીશ ઇન્દુ મલ્હોત્રા કરશે. ચીફ જસ્ટિસ એન.વી રમન્ના, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ હિમા કોહલીની ખંડપીઠે બુધવારે આ આદેશ જારી કર્યો હતો.
સુપ્રીમ કોર્ટે બનાવેલી આ સમિતિમાં ચંદીગઢના પોલીસ મહાનિર્દેશક, NIAના IG, ADG (સુરક્ષા) પંજાબ, પંજાબ-હરિયાણા હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલનો પણ સમાવેશ થશે. સમિતિ પીએમની સુરક્ષામાં ક્ષતિના કારણો શોધી કાઢશે અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સૂચનો પણ આપશે. નોંધવું જોઈએ કે અગાઉ 10 જાન્યુઆરીએ યોજાયેલી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ન્યાય સમિતિ બનાવવા અંગે વિચાર રજૂ કર્યો હતો.
5 જાન્યુઆરીએ પંજાબની મુલાકાત દરમિયાન પીએમનો કાફલો હુસૈનીવાલા સ્થિત ફ્લાયઓવર પર 20 મિનિટ સુધી ફસાઈ ગયો હતો. કેટલાક ખેડૂત પ્રદર્શનકારીઓએ પીએમનો રસ્તો રોકી લીધો હતો જેના કારણે આ ઘટના બની હતી અને ત્યારબાદ વડાપ્રધાન એરપોર્ટ પર પરત ફર્યા હતા. આ ઘટનાને લઈને કેન્દ્ર સરકાર અને ભારતીય જનતા પાર્ટીએ સુરક્ષામાં ખામીને લઈને પંજાબ સરકાર પર નિશાન સાધ્યું હતું. બીજી તરફ, રાજ્ય સરકારે કહ્યું કે છેલ્લી ઘડીએ વડાપ્રધાનનો માર્ગ બદલાઈ ગયો હતો.
બીજી તરફ, પંજાબ સરકારે પણ પીએમની સુરક્ષામાં ખામી મામલે બે સભ્યોની ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. આ સમિતિમાં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ મહેતાબ સિંહ ગિલ અને પંજાબ સરકારના મુખ્ય સચિવ અનુરાગ વર્માનો સમાવેશ થશે. આ સિવાય કેન્દ્ર સરકારે આ મામલાની સંપૂર્ણ તપાસ માટે એક કમિટીની પણ રચના કરી છે. આ ઘટના બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પંજાબ સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો હતો તેમજ ભટીંડાના એસપી સહિતનાં અધિકારીઓને નોટીસ પાઠવી હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp