Gujarat : ભૂખ્યા ભ્રષ્ટાચારી ગરીબોનું કરોડનું અનાજ ખાઈ ગયા! વડોદરા બાદ આ શહેરમાં અનાજનું કૌભાંડ બહાર આવ્યું
ગુજરાત ડેસ્ક : વડોદરામાં બાદ હવે પોરબંદરના રાણાવાવમાંથી અનાજનું મસમોટું કૌભાંડ બહાર આવ્યું છે. જે બાદ જિલ્લાભરમાં ચકચાર મચી જવા પામી છે. રાણાવાવના સસ્તા અનાજના ગોડાઉનમાંથી અનાજના મસમોટા જથ્થાની ઘટ સામે આવતા ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા છે અને તપાસ શરૂ કરી છે.
રાણાવાવ સરકારી ગોડાઉન ખાતેથી ઘઉં, ચોખા અને ખાંડના મોટા જથ્થાનો હિસાબ ન મળતા ગાંધીનગરના પુરવઠા નિગમના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. ઓડિટ દરમિયાન ગોડાઉનમાંથી ઘઉંના 7000 કટ્ટા, ચોખા અને ખાંડના 22 કટ્ટાનો હિસાબ ન મળતા અંદાજે 1 કરોડ રૂપિયાનું કૌભાંડ થયાનું સામે આવ્યું છે.
અનાજ ગાયબ થવા સાથે ગોડાઉન મેનેજર પણ ફરાર
આ કૌભાંડ બહાર આવ્યા બાદ ગોડાઉનના મેનેજર અશ્વિન ભોંય ભૂગર્ભમાં ઉતરી ગયા છે. તેમનો ફોન પણ બંધ આવી રહ્યો છે. ગાંધીનગર પુરવઠા નિગમની ટીમ સહિત અન્ય જિલ્લાની ટીમ દ્વારા રાણાવાવ સરકારી ગોડાઉન સીલ મારી દેવામાં આવ્યું છે. અધિકારીઓએ આ કોભાંડમાં જવાબદાર કોણ છે તે અંગે તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
આ મામલે પોરબંદર જિલ્લા પુરવઠા અધિકારી હિરલ દેસાઈએ જણાવ્યું કે, આ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. જવાબદારો સામે પોલીસ કેસ સહિતની કાર્યવાહી કરવામાં આવશે. આ મામલે રિપોર્ટ તૈયાર કરી ગાંધીનગર નિગમ ખાતે મોકલવામાં આવશે.
વડોદરામાંથી પણ બહાર આવ્યું હતું કૌભાંડ
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ વડોદરામાં સસ્તા અનાજની દુકાનોમાં કૌભાંડનો મામલો સામે આવ્યો હતો. જે સમગ્ર કૌભાંડ આધાર અને ફિંગર પ્રિન્ટ વ્યવસ્થાના કારણે બહાર આવ્યું હતું. એક જ કાર્ડધારકના નામે અન્ય દુકાનમાંથી પણ પુરવઠો લેવાયાની આશંકા સામે આવી હતી. થમ્બ ડિવાઈસ અને લેપટોપના અલગ અલગ દુકાનમાં ઉપયોગ થયો હોવાની આશંકા સેવાઈ હતી. કૌભાંડ બહાર આવ્યા બાદ રાજ્ય સરકારે સસ્તા અનાજની 12 દુકાનોમાં તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારે વડોદરામાં અનાજ કૌભાંડને લઈ ચોંકાવનારો ખુલાસો થયો હતો.
તપાસમાં તપાસ કરનાર અધિકારીઓ કાર્ડધારકોના ઘરે ન ગયા હોવાનો ઘટસ્પોટ થયો હતો. અહીં રેશન કાર્ડ ધારકોને તપાસ અધિકારી અંગે સવાલ કરવામાં આવ્યો હતો. જેના જવાબમાં રાશન કાર્ડધારકે કહ્યું હતું કે, અમે ક્યારેય સસ્તા અનાજની દુકાન જોઈ નથી. અમે દુકાને નથી ગયા તો અમારૂં અનાજ કોણ લઇ ગયું? પરિવારમાં 6 સભ્યો છે તો 8 લોકોનું અનાજ કોણે વિતરણ કર્યું?. અમારા ઘરે પુરવઠા ઇન્સ્પેકટર કે તપાસ અધિકારી તપાસ કરવા આવ્યા જ નથી. તપાસ અધિકારી સામે કાર્યવાહી થવી જોઈએ.
સળગતા સવાલો
- ગરીબોનું અનાજ ખાનારા કોણ છે?
- ગરીબોનું અનાજ ખાનારા લોકોને સજા ક્યારે મળશે?
- ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ દાખલારૂપ કાર્યવાહી કેમ નથી થતી?
- ભ્રષ્ટાચારીઓને કાયદાનો ભય કેમ નથી રહ્યો?
- ગોડાઉનના મેનેજરની ધરપકડ ક્યારે થશે?
- શું કોઈ ગોડાઉનના મેનેજરને બચાવ કરે છે?
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp