આસની વાવાઝોડું લાવશે આફત ! 18 જિલ્લાઓમાં અપાયું એલર્ટ, તંત્ર થયું દોડતું
ઓડિશામાં (Odisha) વધુ એક ચક્રવાતની સંભાવનાને પગલે બેઠકોનો ધમધમાટ શરુ થયો છે. આ પ્રકારની સ્થિતિ સામે પહોંચી વળવા રાજ્યોને વિવિધ સૂચનાઓ આપીને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે. તેમજ વહીવટી તંત્રને પણ સતર્ક રહેવા માટે સૂચના આપી છે. 18 જિલ્લાના કલેક્ટરને (Collector) પત્ર લખીને કોઇ પણ જાનહાનિ ન થાય, સલામત સ્થળે લોકોને ખેસડી દેવામાં આવે તેવી તમામ સ્થિતિને પહોંચી વળવા માટે પત્ર લખવામાં આવ્યો હતો.
વિશેષ રાહત કમિશનરે 18 જિલ્લાઓના કલેક્ટર સાથે બેઠક યોજીને સતર્ક રહેવા નિર્દેશ આપ્યો હતો. વિશેષ રાહત કમિશનરે આ જિલ્લાઓમાં ઈમરજન્સી ઓફિસો અને કંટ્રોલ રૂમને 24 કલાક ખુલ્લા રાખવાનો નિર્દેશ આપ્યો છે. અસરગ્રસ્ત સ્થળોની ઓળખ કરીને લોકોને સ્થળાંતર કરવા પર વિશેષ ધ્યાન આપવાનું કહેવામાં આવ્યું છે. ખાસ કરીને દરિયાકાંઠાના જિલ્લાઓમાં કાચા મકાનોમાં રહેતા લોકોને સ્થળાંતર કરવાનું કહેવામાં આવ્યું છે.
વિશેષ રાહત કમિશનરે સ્થાનિક બીડીઓ અને તહસીલદારને સલામત સ્થળ અથવા પાકું ઘર હોય તેને આશ્રય સ્થાન બનાવવાની સાથે સાથે તેનું નિરીક્ષણ કરવાનો નિર્દેશ આપ્યો છે. દરેક આશ્રયસ્થાનની જવાબદારી બે પુરૂષો અને એક મહિલાની રહેશે. જેમાં આશા વર્કર કે શિક્ષક, કોન્સ્ટેબલ કે હોમગાર્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે. આશ્રયસ્થાનમાં પાણી, શૌચાલય, લાઈટ, જનરેટર વગેરેની જોગવાઈ છે કે કેમ તેની તપાસ કરવાનું પણ કહેવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે હજુ સુધી ભારતીય હવામાન વિભાગ દ્વારા ચક્રવાત આસનીને લઈને કોઈ સ્પષ્ટ માહિતી આપવામાં આવી નથી. જો કે, ચક્રવાત આસની ઓડિશામાં લેન્ડફોલ કરે તેવી સંભાવના છે. જો કે સંભાવનાને પગલે અહીં વાતાવરણમાં પણ બદલાવ જોવા મળી રહ્યો છે. દરિયો ધીમે ધીમે તોફાની થવા લાગ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 12 થી 36 કલાકની વચ્ચે લો પ્રેશરનું ક્ષેત્ર બનશે. ઉત્તરથી પશ્ચિમ દિશા તરફની ગતિની સાથે જ ઓછા દબાણનું ક્ષેત્ર ગાઢ દબાણમાં તબ્દીલ થઇ જશે. કેન્દ્રીય બંગોપ સાગરમાં શુક્રવારથી જ વરસાદ શરુ થઇ જશે. 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આવી સ્થિતિમાં ભારતીય હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે.
આસની ચક્રવાતની કેટલી તીવ્રતા હશે, ક્યાં લેન્ડફોલ થશે તે શુક્રવારે સ્પષ્ટ થવાની ધારણા છે. દક્ષિણ આંદામાન સમુદ્રમાં પરિભ્રમણનું કેન્દ્ર ધીમે ધીમે સક્રિય થઈ રહ્યું છે. લો પ્રેશરમાં પરિવર્તિત થયા બાદ તે ચક્રવાતનું સ્વરૂપ લેશે. હવામાન વિભાગની સંસ્થા વિન્ડી તરફથી જાણવા મળ્યું છે કે આ ચક્રવાત ઓડિશાના દરિયાકાંઠે જ ટકરાશે. ગોપાલપુરથી બાલેશ્વર વચ્ચેની ટકરાવવાની સંભાવના છે. તો બીજી તરફ મોસમ વિભાગ દ્વારા આગામી 4 દિવસ તટીય ઓડિશાની સાથે દક્ષિણ ઓડિશાના અનેક જિલ્લાઓમાં વાવાઝોડાને લઇને સાવધાની રાખવાની સૂચના આપવામાં આવી છે.
IMD અનુસાર, “દક્ષિણ આંદામાન સમુદ્ર અને પડોશમાં ચક્રવાતી પરિભ્રમણ રચાયું છે અને મધ્ય-ટ્રોપોસ્ફિયર સ્તર સુધી વિસ્તરી રહ્યું છે. તેના પ્રભાવ હેઠળ, 6 મેની આસપાસ તે વિસ્તારમાં એક નીચા દબાણનું ક્ષેત્ર રચાય તેવી ધારણા છે. આગામી 24 કલાક દરમિયાન વધુ દબાણની શક્યતા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp