US designates TRF a Foreign Terrorist Organization: પાકિસ્તાનના ગાલ પર અમેરિકનો સણસણતો તમાચો! TRFને જાહેર કર્યું આતંકી સંગઠન; પહેલગામ હુમલા માટે જવાબદાર ઠેરવ્યું
US designates TRF a Foreign Terrorist Organization: અમેરિકન સરકારે ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)ને ‘વિદેશી આતંકવાદી સંગઠન’ જાહેર કર્યું છે. અમેરિકાના વિદેશ સચિવ માર્કો રુબિયોએ તેની માહિતી આપી હતી. TRFએ આ વર્ષે 22 એપ્રિલે પહેલગામની બૈસરન ખીણમાં થયેલા આતંકવાદી હુમલાની જવાબદારી લીધી હતી, જેમાં પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓ દ્વારા 26 પ્રવાસીઓની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.
TRF પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT)નું જ એક ફ્રન્ટ સંગઠન છે અને કાશ્મીરમાં આતંકવાદી હુમલાઓને અંજામ આપે છે. અમેરિકાના વિદેશ સચિવ માર્કો રુબિયોએ આ આતંકવાદી સંગઠનને લશ્કર-એ-તૈયબાનું ફ્રન્ટ ગણાવ્યું હતું, જે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરાયેલ આતંકવાદી સમૂહ છે અને તેનું મુખ્ય મથક પાકિસ્તાનમાં છે.
રુબિયોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘TRFને આતંકવાદી સંગઠન જાહેર કરવું અમારી રાષ્ટ્રીય સુરક્ષા હિતોની રક્ષા કરવા, આતંકવાદ સામે લડવા અને પહેલગામ હુમલામાં ન્યાય પ્રત્યે ટ્રમ્પ પ્રશાસનની પ્રતિબદ્ધતા દર્શાવે છે. TRFએ પહેલગામ હુમલાની જવાબદારી લીધી હતી, જેને અમેરિકન અધિકારીઓએ 2008માં લશ્કર-એ-તૈયબા દ્વારા મુંબઈ હુમલા બાદ ભારતમાં નાગરિકો પર સૌથી ઘાતક આતંકવાદી હુમલો ગણાવ્યો હતો.
અમેરિકા દ્વારા TRFને વિદેશી આતંકવાદી સંગઠન જાહેર કરવાથી તેના સભ્યો પર કડક નાણાકીય અને મુસાફરી પ્રતિબંધો લાગૂ થઈ જશે, અને આતંકવાદ વિરોધી પ્રયાસોમાં વૈશ્વિક ભાગીદારો સાથે વોશિંગ્ટનના સહયોગને વધુ મજબૂત બનાવશે. અમેરિકન વિદેશ વિભાગે જણાવ્યું હતું કે આતંકવાદી સમૂહ ભારતીય સુરક્ષા દળોને નિશાન બનાવીને કરવામાં આવેલા અનેક હુમલાઓ સાથે પણ જોડાયેલું છે.
આ વર્ષે 22 એપ્રિલે, સશસ્ત્ર આતંકવાદીઓ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં બૈસરન ખીણમાં ઘૂસી ગયા અને પ્રવાસીઓ પર ફાયરિંગ કર્યું, જેમાં 26 લોકો માર્યા ગયા હતા. આ હુમલાથી સમગ્ર ભારતમાં ભારે આક્રોશ ફેલાઈ ગયો હતો. અમેરિકા સહિત ઘણા વૈશ્વિક દેશોએ આતંકવાદ સામેની લડાઈમાં ભારત સાથે એકતા વ્યક્ત કરી. આ આતંકવાદી હુમલા બાદ તરત જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કરીને મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
તેમણે કહ્યું હતું કે અમેરિકા આતંકવાદ સામેની લડાઈમાં ભારતની સાથે ઉભું છે અને નવી દિલ્હીને શક્ય તમામ સહાયતા આપવાની રજૂઆત કરે છે. વડાપ્રધાન મોદીએ અમેરિકન રાષ્ટ્રપતિનો આભાર માનતા કહ્યું હતું કે ભારત આ કાયરતાપૂર્ણ હુમલાના ગુનેગારો અને તેમને આશ્રય આપનારાઓને ન્યાયના કઠેડામાં લાવવા માટે દૃઢ સંકલ્પિત છે. ત્યારબાદ, ભારતીય સેનાએ 7 મેના રોજ સવારે પાકિસ્તાન અને તેના કબજાવાળા કાશ્મીર (PoK)માં 9 આતંકવાદી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કરી હતી, જેમાં 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp