શિવસેનાના વાઘને મોઢે ફીણ લાવી દેનાર એકનાથ શિન્દે આખરે છે કોણ? જાણો એકનાથ શિંદેનું જોરદાર બેકગ્રાઉન્ડ
Who is Eknath Shinde? : શિવસેના માટે બળવો એ કોઈ નવી બાબત નથી. જ્યારે શિવસેના સુપ્રીમો બાળાસાહેબ ઠાકરેનો સૂરજ ધીમે ધીમે મધ્યાહ્ન તરફ સરકી રહ્યો હતો, ત્યારે તત્કાલીન શિવસેનાનો મહત્વનો ચહેરો ગણાતા છગન ભૂજબળે બળવો કરીને કોંગ્રેસમાં પ્રવેશ મેળવી લીધો હતો. શિવસેનાની ગમે એવી ધમકીઓ ભૂજબળને રોકવામાં નિષ્ફળ નીવડી હતી. એ પછી એક સમયે શિવસેનાના મુખપત્ર ‘સામના’ના તંત્રીપદે રહી ચુકેલા સંજય નિરુપમે પણ સેના છોડીને કોંગ્રેસનો હાથ પકડ્યો હતો. ખુદ ઠાકરે પરિવારના સભ્ય અને એકસમયે બાળઠાકરેના વારસદાર મનાતા રાજ ઠાકરેએ પણ ઉદ્ધવ ઠાકરેના વિરોધમાં પાર્ટી છોડીને મહારાષ્ટ્રનવનિર્માણ સેનાની રચના કરી હતી. શિવસેના તરફથી ઉપમુખ્યમંત્રી રહી ચૂકેલા કદાવર નેતા નારાયણ રાણે પણ શિવસેના છોડીને વાયા કોંગ્રેસ, ભાજપમાં સ્થાયી થયા છે. આ દરેક બળવા પછી શિવસેનાની તાકાતમાં કોઈ ફેર પડ્યો નહોતો. ઉલટું સેના મહારાષ્ટ્રમાં વધુને વધુ મજબૂત થતી ગઈ. પરંતુ એકનાથ શિંદેબા બળવાએ સાચા અસ્ર્થમાં શિવસેનાના વાઘને મોઢે ફીણ લાવી દીધા છે, એમ કહીએ તો અતિશયોક્તિ નહિ ગણાય. એકનાથના બળવાને પ્રતાપે આજે ઉદ્ધવ ઠાકરેનું મુખ્યમંત્રીપદ જોખમમાં આવી પડ્યું છે. શા માટે શિવસેના જેવો મારફાડ પક્ષ પણ એકનાથ શિંદે સામે લાચાર થઇ ગયો છે?!
અઘાડી સરકારમાં PWD મિનિસ્ટરપદ ભોગવી રહેલા એકનાથ શિંદે મૂળે સતારાના વાતની છે, અને એક જમાનામાં થાણેમાં રીક્ષા ચલાવતા હતા. 80ના દાયકામાં શિવસેના સુપ્રીમો બાલાસાહેબ ઠાકરેની વિચારધારા અને કાર્યશૈલીથી આકર્ષાઈને શિંદે શિવસેનામાં જોડાયા. શિંદેએ આજે પણ ટ્વિટ કરીને કહ્યું હતું કે પોતે બાળાસાહેબ ઠાકરે પાસેથી હિન્દુત્વના પાઠ શીખેલા કટ્ટર શિવસૈનિક છે. 1997માં બાળાસાહેબ ઠાકરેના આશીર્વાદથી શિંદેને થાણે નગરપાલિકા ચૂંટણીઓમાં શિવસેનાની ટિકિટ પર ચૂંટાવાનો મોકો મળ્યો. એ પછી શિંદેએ પાછું વાળીને જોયું નથી. આજે પરિસ્થિતિ એ છે કે થાણેમાં શિંદેનો અપ્રતિમ દબદબો જોવા મળે છે. એવું કહેવાય છે કે થાણેમાં કોર્પોરેશનથી માંડીને સંસદ સુધીની ચૂંટણીમાં એ જ વ્યક્તિ જીતી શકે, જેના માથે એકનાથ શિંદેનો હાથ હોય!
બાળાસાહેબ ઠાકરે સિવાય શિંદે ઉપર બીજા કોઈ વ્યક્તિનો જો સૌથી વધુ પ્રભાવ હોય, તો એ હતા શિવસેનાના કદાવર નેતા આનંદ દીધે, જે પાછળથી ‘ધર્મવીર દીધે’ તરીકે પ્રખ્યાત થયા. આનંદ દિઘેના વિચારોથી શિંદે અત્યંત પ્રભાવિત થયા. નસીબજોગે શિંદેના બે પુત્રો અકસ્માતમાં મૃત્યુ પામેલા. એ સમયે આનંદ દીધેએ જ શિંદેને ફરી બેઠા થવા માટે સહારો આપ્યો.
શિંદે આજે પણ 2 જૂન, 2000ના એ દિવસને પોતાના જીવનના ‘સૌથી કાળા દિવસ’ તરીકે ઓળખાવે છે. આ દિવસે શિંદેના વતનના ગામમાં નૌકાવિહાર કરી રહેલા એના બે સંતાનો - જેમની ઉંમર એ સમયે માત્ર 14 અને 7 વર્ષની હતી - ડૂબી જવાથી મૃત્યુ પામ્યા! આ દુર્ઘટના બાદ શિંદે ઊંડા આઘાતમાં સરી પડ્યા. પરંતુ આનંદ દિઘેએ એને ફરીથી હિંમત બંધાવીને બેઠા કર્યા.
આનંદ દિધે શિવસેનાના એક બાહુબલી નેતા હતા. દિઘેના નામથી ભલભલા ફફડતા. એક સમયે શિવસેનામાં બાળાસાહેબ પછી બીજા નંબરના કદાવર નેતા તરીકે દિઘેનું નામ બોલાતું. એ પોતાનો દરબાર ભરીને બેસતા અને લોકોની સમસ્યાનો ઉકેલ લાવતા. દિઘેની છાપ જમીન સાથે જોડાયેલા નેતા તરીકેની હતી, જે કાયદાને તડકે મૂકીને પોતાની રીતે લોકોની સમસ્યાનો નિવેડો લાવતા. આથી લોકોએ દિઘેને ‘ધર્મવીર’નું ઉપનામ આપ્યું.
એક વાર એક શિવસૈનિકના જ ખૂન કેસમાં દિઘેએ જેલમાં જવું પડ્યું. એ પછી શિવસેના સાથેના દિઘેના સંબંધો પહેલા જેવા ન રહ્યા. 2001માં એક માર્ગ અકસ્માતમાં આનંદ દિઘે ઘાયલ થયા અને એમને હોસ્પિટલમાં દાખલ કરાયા. અહીં સારવાર દરમિયાન હાર્ટ એટેક આવવાથી દિઘેનું મૃત્યુ થયુ. પરંતુ દિઘેના વફાદાર શિવસૈનિકોનું માનવું હતું કે ડોક્ટર્સની લાપરવાહીને કારણે દિઘેનો જીવ ગયો. કેટલાક લોકો માને છે કે દિઘેનો અકસ્માત પણ જાણીજોઈને કરાવાયો હતો.
દિઘેના મૃત્યુ બાદ એમની સૌથી નજીક મનાતા એકનાથ શિંદે રાજકીય વારસદાર તરીકે ઉભરી આવ્યા. એકનાથે દિઘેની જ સ્ટાઈલમાં પોતાનો દેખાવ અને વસ્ત્રો રાખ્યા. એકનાથ શિંદેની કાર્યપદ્ધતિ પણ આનંદ દિઘે જેવી જ છે. જે રીતે લોકો ઉપર દિઘેનો ઊંડો પ્રભાવ હતો, એ જ પ્રમાણે શિંદેનો પણ થાને વિસ્તારમાં અત્યંત મજબૂત પ્રભાવ છે.
શિવસેનાના મામુલી સૈનિક તરીકે રાજકીય કારકિર્દીની શરૂઆત કરનાર શિંદે આજે એટલા મોટા કદના નેતા બની ચૂક્યા છે કે ખુલ્લો બળવો કરવા છતાં પણ શિવસેના એમની સામે ખુલીને હુમલો નથી કરી શકતી!
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp