BCCIને જવાબ નહીં આપનાર વિરાટ કોહલીની સીધી હકાલપટ્ટી! શર્માને સુકાની બનાવી દેવાયો
સ્પોર્ટ્સ ડેસ્ક: ટી-20 વર્લ્ડ કપ પહેલા વિરાટ કોહલીએ એલાન કરતા પોતે T-20 ટીમની કેપ્ટનશીપ છોડવા અંગે જાહેરાત કરી હતી. જે બાદ તેના સ્થાને રોહિત શર્માને જવાબદારી સોંપવામાં આવી હતી. પરંતુ હવે વિરાટ કોહલી પાસેથી વન-ડે ટીમની કેપ્ટનશીપ પણ લઇ લેવામાં આવી છે અને રોહિત શર્માને જ ODI ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. બુધવારે BCCIએ આ બાબતની જાણકારી આપી હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, BCCI તરફથી વિરાટ કોહલીને વન ડે ટીમની કેપ્ટનશીપ છોડવા માટે 48 કલાકનો સમય આપ્યો હતો. પરંતુ નિયત સમય બાદ પણ વિરાટ કોહલીએ રાજીનામુ ન આપતા આખરે BCCI સિલેક્શન કમિટીએ જ નિર્ણય લઈને આગામી કેપ્ટન તરીકે રોહિત શર્માના નામની ઘોષણા કરી દીધી હતી.
બોર્ડે આ નિર્ણય 2023 માં આયોજિત ક્રિકેટ વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને લીધો છે. કોહલી આ વર્લ્ડ કપ સુધી કેપ્ટન પદે યથાવત રહેવા માગતો હતો પરંતુ સિલેક્શન કમિટીની પસંદગી રોહિત શર્મા હતી. જાણવા મળે છે કે કમિટીએ આ નિર્ણય ભારતીય ક્રિકેટ ટીમ T-20 વર્લ્ડ કપમાં ગ્રૂપ સ્ટેજમાંથી બહાર થઇ ત્યારે જ લઇ લીધો હતો.
જે ક્ષણે ભારતીય ક્રિકેટ ટીમ T-20 વર્લ્ડ કપમાંથી બહાર થઇ ત્યારે જ કોહલીની કેપ્ટન પદેથી વિદાય નક્કી થઇ ગઈ હતી. જોકે, BCCI તેને સન્માનજનક વિદાય આપવા માગતું હતું. પરંતુ કોહલી પદ છોડવા માટે તૈયાર ન હતો. આખરે અલ્ટીમેટમ આપ્યા બાદ BCCIએ જ તેને સ્થાને રોહિત શર્માને કેપ્ટનશિપ સોંપી દીધી હતી.
કેપ્ટન કૂલ મહેન્દ્ર સિંહ ધોનીએ કેપ્ટનશિપ છોડ્યા બાદ વિરાટ કોહલીએ વર્ષ 2017 માં ભારતીય ક્રિકેટ ટીમની કેપ્ટનશિપ સંભાળી હતી. તેણે 95 ODI માં ભારતીય ટીમ તરફથી આગેવાની કરી છે, જેમાંથી 65 માં ભારતીય ટીમ જીતી હતી. કોહલીની આગેવાનીમાં ચેમ્પિયન્સ ટ્રોફી અને 2019 નો વર્લ્ડ કપ રમાયો હતો પરંતુ ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન સામે ફાઈનલમાં અને વર્લ્ડ કપમાં સેમી ફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે ટીમને હાર મળી હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp