પંજાબ યુનિવર્સિટીમાં છરાવાળી, હરિયાણવી ગાયકના લાઈવ શૉ દરમિયાન 2 વિદ્યાર્થી જૂથો વચ્ચે અથડામણ
Panjab University student succumbs to stab wounds after concert: શુક્રવારે રાત્રે ચંદીગઢની પંજાબ યુનિવર્સિટીમાં છરાવાળી થઇ ગઇ, જેમાં એક યુવાકનું મોત થઇ ગયું છે. યુનિવર્સિટીમાં ABVP દ્વારા સ્કિટ્રોન કાર્યક્રમ હેઠળ સ્ટાર નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હરિયાણવી સિંગર માસૂમ શર્માને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ દરમિયાન, શૉ જોવા આવેલા વિદ્યાર્થીઓના 2 જૂથો વચ્ચે કોઈ વાતને લઈને બોલા-બોલી થઈ ગઇ. ત્યારબાદ એક જૂથના વિદ્યાર્થીઓએ બીજા જૂથના વિદ્યાર્થીઓ પર છરી વડે હુમલો કરી દીધો હતો. આ હુમલામાં 4 લોકોને છરી વાગી હતી, જેમાં એક વિદ્યાર્થીનું દર્દનાક મોત થઇ ગયું હતું. ઘટના બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહનો કબજો લીધો હતો અને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
આ કેસમાં અત્યાર સુધી કોઈ ધરપકડ કરવામાં આવી નથી. મૃત્યુ પામેલા વિદ્યાર્થીનું નામ આદિત્ય ઠાકુર છે અને તે હોશિયારપુરના તલવાડાનો રહેવાસી છે. 22 વર્ષનો આદિત્ય UITનો બીજા વર્ષનો વિદ્યાર્થી હતો. શૉ દરમિયાન જ, આદિત્ય અને તેના મિત્રોનો બીજા જૂથ સાથે કોઈ વાતને લઈને ઝઘડો થઇ ગયો. આદિત્ય અને તેના મિત્રો ત્યાંથી જતા રહ્યા, પરંતુ થોડે દૂર ગયા બાદ, બીજા જૂથે વધુ મિત્રોને બોલાવ્યા અને તેમના પર હુમલો કરી દીધો. તેના બીજા મિત્ર અનિરુદ્ધના ગળામાં પણ છરીના ઘા કરવામાં આવ્યા છે. તેને પણ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેનો બીજો એક મિત્ર છે જેનું નામ અર્જૂન છે. તેને પણ છરીના ઘા વાગ્યા છે. હાલમાં પોલીસ આરોપીની ઓળખ કરી શકી નથી, પરંતુ કેસ નોંધવામાં આવ્યો છે. આદિત્યના પિતા હિમાચલના નાલાગઢમાં કામ કરે છે પણ તેઓ તલવાડામાં રહે છે.
સિંગર માસૂમ શર્મા છેલ્લા ઘણા દિવસોથી વિવાદોમાં છે. તેના ઘણા ગીતો યુટ્યુબ પરથી દૂર કરવામાં આવ્યા છે. તાજેતરમાં તે હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીને મળ્યો હતો. મુખ્યમંત્રીને મળ્યા બાદ, પ્રખ્યાત સિંગર માસૂમ શર્માએ કહ્યું કે સરકારને ગેરમાર્ગે દોરવામાં આવી રહી છે. મુખ્યમંત્રીને ખબર નથી કે સાયબર સેલ દ્વારા ડીલિટ કરાયેલા 10 ગીતોમાંથી 7 મારા જ છે. બાકીના 3 ગીતો એટલે કાઢી નાખવામાં આવ્યા હતા જેથી કોઈ આરોપ ન લગાવી શકે કે ફક્ત માસૂમ શર્માના ગીતો જ કાઢી નાખવામાં આવ્યા હતા. માસૂમના મતે, મુખ્યમંત્રીએ તેમને ન્યાયની ખાતરી આપી છે અને તેઓ સમગ્ર મામલાની તપાસ કરાવશે.
હરિયાણવી ગીતોમાં ગન કલ્ચરને લઈને કલાકારો વચ્ચે ચાલી રહેલી પરસ્પર લડાઈ થોભવાનું નામ લઇ રહી નથી. કલાકારો મોરચો ખોલી દીધો છે. તો આ મામલે હરિયાણા સરકારે હસ્તક્ષેપ કર્યો છે. ચંદીગઢમાં મીડિયાના પ્રશ્નોના જવાબ આપતા, મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ કહ્યું કે, જો જરૂર પડશે તો ગન કલ્ચરને પ્રોત્સાહન આપતા ગીતો સામે વિધાનસભામાં કાયદો બનાવવામાં આવશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp