સાપુતારા : ગુજરાતના પ્રખ્યાત પ્રવાસન સ્થળ અને હવા ખાવાના સ્થળ તરીકે જાણીતા સાપુતારા ખાતે દરરોજ હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. જોકે, હાલ કોરોનાની સ્થિતિ હોઈ સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નિયમોનું પાલન થાય તે માટે તેમજ સાપુતારામાં આવતા પ્રવાસીઓ માસ્ક સહિત સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરી કોવિડની ગાઈડલાઈનનું પાલન કરે તે માટે જિલ્લા પોલીસ વડા રવિરાજસિંહ જાડેજાએ સૌને અનુરોધ કર્યો છે.
નોંધવું મહત્વનું છે કે રાજ્યના છેવાડે આવેલો ડાંગ જીલ્લો ચોમાસાની ઋતુમાં સોળે કળાએ ખીલી ઉઠી સૌંદર્યનાં સરતાજની સાથે મઘમઘી ઉઠે છે. જિલ્લાનાં પ્રવાસન સ્થળોએ ચોમાસામાં ભરપૂર ધસારો જોવા મળે છે. અગાઉ કોરોના બીજી ઘાતક લહેરનાં કારણે આ પ્રવાસન સ્થળો પ્રવાસી વિના સૂમસામ બન્યા હતા. હાલમાં કોરોનાની બીજી લહેર શાંત થતા અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. જેથી સાપુતારા સહિત ડાંગ જિલ્લાનાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય તે માટે ડાંગ જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યા અને જિલ્લા પોલીસ વડા રવિરાજસિંહ જાડેજાનાં માર્ગદર્શન હેઠળ તમામ સ્થળોએ ટ્રાફિકના નિયમન માટે વધુ પાર્કિંગનાં સ્પોટ નિર્ધારિત કરવામાં આવ્યા છે.
DySP કક્ષાના અધિકારીઓ સુપરવિઝન કરશે
વહીવટી તંત્રનાં જણાવ્યા અનુસાર, સાપુતારામાં એક પાર્કિંગ સ્પોટ ઉપર પ્રવાસી વાહનો દ્વારા લીધેલી પાર્કિંગની ટીકીટ સાપુતારાનાં તમામ પાર્કિંગ સ્પોટ ઉપર એક દિવસ માટે માન્ય રહેશે. જેથી સાપુતારામાં આવતા પ્રવાસીઓ હવે તમામ જોવાલાયક સ્થળોએ પાર્કિંગની વ્યવસ્થાનો લાભ મેળવી શકશે. સાપુતારામાં શનિ રવિમાં મોટા વાહનોની અરાજકતા ન સર્જાય તે માટે આ લક્ઝરી જેવા વાહનોની હેલિપેડ પોઇન્ટ ઉપર વ્યવસ્થા કરવામાં આવી છે. આવનાર શનિ-રવિથી વિકેન્ડમાં ટ્રાફિકનું નિયમન થાય તથા પ્રવાસીઓ સામાજિક અંતરનું પાલન સહ માસ્કનો ફરજીયાત ઉપયોગ કરે તે માટે ડી.વાય.એસ.પી. કક્ષાનાં અધિકારીઓ તમામ સ્થળોએ સુપરવિઝન કરશે અને કાયદાનો ભંગ કરતા પ્રવાસીઓને દંડશે.
જિલ્લા SP રવિરાજસિંહ જાડેજાએ ડાંગમાં આવતા પ્રવાસીઓને અનુરોધ કરતા જણાવ્યું છે કે જિલ્લામાં તમામ પી.એચ.સી અને સામુહિક આરોગ્ય કેન્દ્રો ઉપર વેક્સિનેશનની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે. જેથી જે કોઈ પ્રવાસીઓ વેક્સિનેશનથી વંચિત હોય તો તુરંત જ રજીસ્ટ્રેશન કરી વેક્સિનનો લાભ લઇ શકે. વધુમાં સાપુતારાની હોટલ, રેસ્ટોરન્ટ, લારી ગલ્લા, એડવેન્ચર સ્પોટનાં સંચાલકો આવનાર વિકેન્ડમાં પ્રવાસીઓને માસ્ક સહિત સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા માટે અનુરોધ કરી જનજીવનનાં સુખાકારીને લોકભોગ્ય બનાવે તેવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.