સોનિયા ગાંધી સામે થઇ એફઆઈઆર
૨૦૧૯ની લોકસભાની ચૂંટણીઓમાં મળેલી નાલેશીભરી હાર બાદ રાહુલે કોંગ્રેસ-પ્રમુખના પદ પરથી (ના)રાજીનામું આપેલું. અને ત્યાર બાદના ઘટનાક્રમને અનુસંધાને સોનિયા ગાંધી દેશના સૌથી જૂના રાજકીય પક્ષ કોંગ્રેસના વચગાળાના પ્રમુખ તરીકે બેસી ગયેલા. હાલમાં પણ સોનિયા ગાંધી જ કોંગ્રેસનું સુકાન સંભાળી રહ્યા છે. પરંતુ થોડા સમય પહેલા થેયલી એક ટ્વિટને કારણે સોનિયાની મુશ્કેલીઓ વધી છે.
કોરોના મહામારીને પગલે પ્રધાનમંત્રી દ્વારા " પીએમ કેર્સ" ફંડની જાહેરાત કરવામાં આવેલી. પીએમ કેર્સનું આખું નામ છે "પ્રાઈમ મિનિસ્ટર સિટીઝન આસિસ્ટન્સ એન્ડ રીલીફ ઇન ઇમરજન્સી". સોનિયા ગાંધીએ આ ફંડની પારદર્શિતા સામે સવાલ ઉઠાવેલા. કોંગ્રેસનું માનવું હતું કે પ્રધાનમંત્રી ફંડમાં સંપૂર્ણ પારદર્શિતા હોવી જોઈએ, અને એનું ઓડિટ પણ થવું જોઈએ. સામે પક્ષે સરકાર આ માંગણીઓ સ્વીકારવાના મૂડમાં નહોતી. આ અગાઉ કોંગ્રેસના શાસનકાળ દરમિયાન પણ આવું એક ફંડ હતું, જેના ચાવીરૂપ સ્થાનો પર સોનિયા સહિતના નેતાઓનો કબજો છે. આથી એ ફંડ પર આધાર રાખવાને બદલે મોદી સરકારે રાતોરાત પીએમ કેર્સ નામે એક નવું જ ફંડ ઉભું કર્યું હોવાનું મનાય છે. કોરોના મહામારીમાંથી દેશને બેઠો કરવાની ભાવના સાથે દેશના લાખો લોકોએ-વેપારીઓએ આ ફંડમાં કરોડો રૂપિયાનું દાન આપ્યું છે. આવા સમયે કોંગ્રેસની મથરાવટી જૂના ફંડ મામલે ભલે મેલી હોય, પરંતુ પીએમ કેર્સનું ઓડિટ થવું જોઈએ એવું ઘણા બુદ્ધિજીવીઓ માને છે. લોકસભાના આગામી સત્ર દરમિયાન કોંગ્રેસ આ બાબતે સરકારને બરાબર ભીંસમાં મૂકી શકી હોત, પરંતુ હાલ તો એક ટ્વિટના કારણે કાર્યકારી કોંગ્રેસ પ્રમુખ પોતે જ ભીંસમાં મૂકાયા છે.
કોંગ્રેસના ઓફિશિયલ હેન્ડલ પરથી લોકડાઉન ૩.૦ દરમિયાન ૧૧ મે ના દિવસે થયેલી થયેલી ટ્વિટ મુજબ લોકોને એવો સંદેશ જતો હતો કે પીએમ કેર્સ ફંડ એક ધોખેબાજી છે. આ ફંડનો ઉપયોગ જનતા માટે ક્યારેય નહિ કરવામાં આવે, બલકે એમાંથી વિદેશયાત્રાઓનો ખર્ચ કાઢવામાં આવશે!
કોંગ્રેસના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ ઉપર પીએમ કેર્સ ફંડ વિરુદ્ધ ટ્વિટ થયેલી. હવે આ ટ્વિટ સામે કર્ણાટકમાં ઇન્ડિયન પીનલ કોડની ધારા ૧૫૩, ૫૦૫ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. આ એફઆઈઆર કર્ણાટકના શિવમોગા ડિસ્ટ્રીક્ટના રહેવાસી એવા કેવી પ્રવીણ નામના એક એડવોકેટ દ્વારા નોંધાવવામાં આવી છે. કોંગ્રેસના ઓફિશિયલ હેન્ડલ દ્વારા થયેલી ટ્વિટને અનુસંધાને પ્રવીણે સીધી સોનિયા ગાંધી સામે એફઆઈઆર નોંધાવી છે. પ્રવીણે કહે છે કે કોંગ્રેસની ટ્વિટ આધારહીન છે અને લોકોમાં અવિશ્વાસ પેદા કરનારી છે. આ માટે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી સામે કાયદેસર કાર્યવાહી થવી જોઈએ.
આ તરફ કોંગ્રેસ પણ અકળાઈ ઉઠી છે. કર્ણાટક કોંગ્રેસના નેતા ડી કે શિવકુમારે કર્ણાટકના મુખ્યમંત્રી બી એસ યેદુયુરપ્પાને પત્ર લખીને વિનંતી કરી છે કે આ એફઆઈઆર ખારીજ કરવામાં આવે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp