Bharuch MNREGA Scam: ગુજરાત કોંગ્રેસના ઉપાધ્યક્ષ હીરા જોટવા અને તેમના પુત્રની ધરપકડ, કોર્ટે આટલા દિવસના રિમાન્ડ પર મોકલ્યા
Bharuch MNREGA Scam: ગુજરાત કોંગ્રેસના ઉપાધ્યક્ષ હીરા જોટવા અને તેના પુત્રની ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. ભરૂચ પોલીસે કથિત મનરેગા કૌભાંડ કેસમાં કોંગ્રેસ નેતા હીરા જોટવા અને તેમના પુત્ર દિગ્વિજય જોટવા સહિત 3 આરોપીઓની ધરપકડ કરી છે. આ બધા આરોપીઓ પર મનરેગામાં સરકારી ભંડોળની હેરાફેરી કરવાનો આરોપ છે.
હીરા જોટવાની ધરપકડ અંગે ભરૂચ SP મયુર ચાવડાએ જણાવ્યું હતું કે મનરેગામાં ગેરકાયદેસર કામની શંકા થતા જ ભરૂચ DDOએ 56 ગામોમાં પ્રાથમિક તપાસ શરૂ કરી હતી. તેમણે 11 ગામોનો સર્વે કર્યો અને જાણવા મળ્યું કે આ યોજના દ્વારા સરકારી ભંડોળનો દુરુપયોગ થયો છે. તેમણે પોલીસમાં ફરિયાદ કરી અને ખોટા દસ્તાવેજો, સરકારી ભંડોળનો ગેરકાયદેસર દુરુપયોગ અને કાવતરા અંગે ફરિયાદ નોંધાવી.
ફરિયાદની તપાસ માટે ડેપ્યુટી SPની દેખરેખ હેઠળ એક SITની રચના કરવામાં આવી હતી. તપાસ કરવામાં આવી અને ટીમે તે સ્થળની મુલાકાત લીધી હતી જ્યાં કામ યોગ્ય રીતે થયું નહોતું. એવું જાણવા મળ્યું કે ઉપયોગ કરવામાં આવેલી સામગ્રી સંલગ્ન બિલો સાથે મેળ ખાતી નહોતી. બીજું, 60:40નો ગુણોત્તર જાળવવામાં આવ્યો નહોતો. જલારામ અને મુરલીધર એજન્સીઓના માલિક ફરાર છે. આ એજન્સીઓ ઉપરાંત, ઘણા અન્ય લોકો પણ તેમાં સામેલ છે.
SPએ જણાવ્યું હતું કે વિગતવાર તપાસ બાદ, અમે હીરા જોટવાની ધરપકડ કરી છે, જે આ એજન્સીઓ કોઈ બીજાના નામે ચલાવી રહ્યા હતા અને પૈસા તેના સંબંધીના ખાતામાં જમા કરવામાં આવ્યા હતા. અમે રાજેશ દરજીની પણ ધરપકડ કરી છે જે નકલી દસ્તાવેજોના આધારે સરકાર પાસેથી પૈસા વસૂલતો હતો. હીરા જોટવાના પુત્ર દિગ્વિજય જોટવા પણ તેમાં સામેલ હતો કારણ કે આ ખાતાઓમાંથી સરકારી પૈસા તેના અંગત ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા અને તેની ગીર-સોમનાથથી ધરપકડ કરવામાં આવી છે.
ભરૂચ મનરેગા કૌભાંડ મામલે પોલીસે કોંગ્રેસ નેતા હીરા જોટવા અને ઓપરેટરની ધરપકડ કર્યા બાદ કોર્ટમાં રજૂ કરાયા હતા. પોલીસે 14 દિવસના રિમાન્ડની માગ કરતા કોર્ટે 6 દિવસના રિમાન્ડ આપ્યા છે. પોલીસ રિમાન્ડ દરમિયાન ક્યાં પ્રકારની માહિતી અને પુરાવા એકત્ર કરશે તેના પર સૌની નજર રહશે. રિમાન્ડ દરમિયાન અન્ય કોઈ નેતા કે અધિકારીઓની સંડોવણી સામે આવી શકે છે.
ભરૂચ LCB ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ હીરા જોટવા બાદ તેના પુત્ર દિગ્વિજયને પૂછપરછ અર્થે લઈ ગઈ છે. હીરા જોટવાને પૂછપરછ માટે લઈ ગયા બાદ ધરપકડ કરવામાં આવી છે.આજે તેના પુત્ર દિગ્વિજયની પણ અટકાયત કરવામાં આવી છે. દિગ્વિજય તેજેતરમાં જ સુપાસી ગ્રામ પંચાયતના સરપંચ તરીકે વિજેતા જાહેર થયો છે. ભરૂચ જિલ્લાના કુલ 56 ગામોમાં 7.30 કરોડનું કૌભાંડ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp