અન્ય સમુદાયમાં પરણેલી દીકરીનો પિતાની સંપત્તિમાં ભાગ માંગવા પર સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો, જાણો વિગતો
સુપ્રીમ કોર્ટ દ્વારા સંપત્તિના અધિકારને લઈને એક મોટો અને મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. પિતા દ્વારા દીકરીને અન્ય સમુદાયના યુવક સાથે લગ્ન કરવા બદલ સંપત્તિમાંથી બેદખલ કરવા પર કોર્ટમાં કેસ કરવામાં આવ્યો હતો. તે કેસ અંગે કોર્ટે પિતાની વસિયતને જ સર્વોપરી ગણાવી સ્પષ્ટ કર્યું છે કે વસિયત કરનારની ઈચ્છાને સર્વોચ્ચ માનવામાં આવશે. આ મહત્વપૂર્ણ નિર્ણય સાથે, સુપ્રીમ કોર્ટે કેરળ હાઈકોર્ટ અને ટ્રાયલ કોર્ટના નિર્ણયોને પણ પલટાવી દીધા છે, જે મુજબ દીકરીને સંપત્તિમાં ભાગ આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
આ કેસ મુજબ, એન.એસ. શ્રીધરન નામના વ્યક્તિએ 1988માં બનાવેલી પોતાની રજિસ્ટર્ડ વસિયતમાં, તેમના નવ બાળકોમાંથી એક દીકરી શૈલા જોસેફને સંપત્તિમાંથી બેદખલ કરી હતી. જેની પાછળનું કારણ એ હતું કે, શૈલાએ પોતાના સમુદાયની બહાર લગ્ન કર્યા હતા. આ કેસમાં નીચલી અદાલતોએ પિતાની વસિયતને બાજુ પર રાખીને દીકરીની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને સંપત્તિને નવ બાળકોમાં સરખા ભાગે વહેંચવાનો આદેશ આપ્યો હતો. જો કે, સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અહેસાનુદ્દીન અમાનુલ્લાહ અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની બેન્ચે આ નિર્ણયોને રદ કરી દીધા હતા. ચુકાદો લખતા જસ્ટિસ ચંદ્રને સ્પષ્ટપણે કહ્યું કે, "વસિયત સ્પષ્ટપણે સાબિત થઈ ચૂકી છે, તેમાં કોઈ હસ્તક્ષેપ કરી શકાય નહીં. શૈલા જોસેફનો તેમના પિતાની સંપત્તિ પર કોઈ દાવો નથી, કારણ કે વસિયત દ્વારા આ સંપત્તિ અન્ય ભાઈ-બહેનોને સોંપવામાં આવી છે."
આ દરમિયાન કોર્ટમાં શૈલાના વકીલે દલીલ કરી હતી કે, તેમને ઓછામાં ઓછો 1/9 હિસ્સો મળવો જોઈએ, જે સંપત્તિનો નજીવો ભાગ છે. પરંતુ કોર્ટે સ્પષ્ટ કર્યું કે, "અહીં ન્યાયસંગત વહેંચણી નહિ પરંતુ વસિયત કરનારની ઇચ્છા સર્વોપરી છે. જેણે બદલી શકાય નહીં." કોર્ટે એમ પણ ટિપ્પણી કરી કે, "અમે વસિયત કરનારની જગ્યાએ પોતાને મૂકી શકતા નથી. અમે અમારા વિચારો તેમના પર લાદી શકતા નથી; તેમની ઇચ્છા તેમના પોતાના કારણોથી પ્રેરાયેલી છે." આ ચુકાદા સાથે, સુપ્રીમ કોર્ટે શૈલાના ભાગલાના દાવાને ફગાવી દીધો હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp