ઉનાળુ વેકેશન : મે અને જૂન મહિનામાં ઉનાળુ વેકેશન હોવાથી લોકો ફરવા નિકળી જતા હોય છે. જેના કારણે મતદાનમાં થોડા અંશે ઘટાડો થયું હોવાનું અનુમાન છે.
અસહ્ય ગરમી-તાપ : મતદાનના દિવસે રાજ્યમાં અસહ્ય ગરમી પડી હતી. અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કરાયું હતું. આમ, આકરી ગરમીના કારણે વૃદ્ધો અને કેટલાક લોકોએ મત આપવાનું ટાળ્યું હોવાનો પણ અંદાજ છે.
લોકોમાં નિરસતા : મોંઘવારી, બેરોજગારી, ખેતી, શિક્ષણ, સ્વાસ્થ્ય જેવા લોકોની જરૂરિયાતના મુદ્દાઓને ચૂંટણી પ્રચારમાં પ્રાધાન્ય ન અપાયું. લોકોના મુદ્દાઓની અવગણના કરવામાં આવી. જેના કારણે કેટલાક લોકોમાં નિરસતા જોવા મળી અને મતદાન ન કર્યું.
નબળો ચૂંટણી પ્રચાર : કોંગ્રેસે બમણી મહેનત ન કરી, મોટા માથાંઓને ચૂંટણી મેદાનમાં ન ઉતાર્યા, ઝંઝાવાતી પ્રચાર ન કર્યો. સત્તા મેળવવા નહીં માત્ર લડવા ખાતર કોંગ્રેસ ચૂંટણી લડી હોય તેવું દેખાઈ રહ્યું હતું. તો ભાજપના ગણ્યાંગાંઠ્યા ઉમેદવારો સિવાય અન્ય ઉમેદવારોએ સામાન્ય પ્રચાર કર્યો હતો. તો રાજ્યમાં અનેક જગ્યાએ ભાજપના નેતાઓને પ્રચાર માટે આપવા પર પ્રતિબંધ લગાવી દેવાયો હતો. જેનું કારણ ક્ષત્રિય આંદોલન છે. આમ કોંગ્રેસ અને ભાજપનો નબળો ચૂંટણી પ્રચાર પણ ઓછા મતદાનનું કારણ બન્યો છે. આ ચૂંટણીમાં કાર્યકર્તાઓ બહાર નીકળ્યા જ નહીં, એટલે આખરે મતદારો પણ બહાર ન નીકળ્યા.
નેતાઓનો લોકો સાથે ઓછો સંપર્ક : ચૂંટણી દરમિયાન જ નેતાઓ મતદાર વિસ્તારમાં જોવા મળતા હોય છે. ચૂંટણી પત્યા પછી નેતાઓ ગાયબ થઈ જતા હોવાની વાત સામે આવતી હોય છે. આમ નેતાઓનો લોકો સાથે ચૂંટણી બાદ સંપર્ક ઓછો થવો એ પણ ઓછું મતદાન થવાનું એક કારણ છે.
સરનામું ન બદલાવું : વિવિધ વિસ્તારોમાં રહેતા અનેક લોકોએ મકાન બદલ્યા હોવાથી ઇલેક્શન કમિશનની મોબાઈલ એપ્લિકેશન અને વેબસાઈટ પરથી ઇલેક્શન આઈડીમાં તેમજ યાદીમાં સુધારા કરવા માટે અરજી કરી હતી. જોકે, અનેક લોકોના યાદીમાં સુધારા થયા ન હતા. જેના કારણે મતદાન કરવા માટે જૂના રહેઠાણની જગ્યાએ કેટલાક લોકો મત આપવા માટે ગયા ન હતા. ખાસ કરીને સિનિયર સિટીઝન મત ન આપવા ગયા.
મતદાર યાદીમાં છબરડો : મતદાર યાદીમાં કેટલાક લોકોના તો નામ જ ગાયબ હતા. જેના કારણે તેઓ પોતાના હક અને અધિકાર એવા મતદાનથી વંચિત રહ્યા છે.
ચૂંટણી બહિષ્કાર : ધંધુકાના રતનપર, અમરેલીના રબારીકા, સુરતના સણધરા, રાધનપુરના નજૂપુરા, શેરગઢ, નવા શબ્દલપુરા અને જુના શબ્દલપુરા, ભરૂચના કેસર, અરજણવાવ, બનાસકાંઠાના ભાખરી ગામમાં ચૂંટણી બહિષ્કાર કર્યો હોવાના સમાચાર છે. તો માંગરોળના ભાટગામ, બાલાસિનોરના બોડોલીમાં આંશિક બહિષ્કાર કરાયો હતો. આ તમામ ગામોએ વિવિધ પ્રશ્નો અને માગને લઈને ચૂંટણી બહિષ્કાર કર્યો હતો.
સૌરાષ્ટ્ર-કચ્છના લોકો નારાજ : સૌરાષ્ટ્ર અને કચ્છની 8 બેઠકો પર અંદાજે 54.94 ટકા જેટલું મતદાન થયું છે. જે ગત ચૂંટણી કરતા 4 ટકા ઓછું છે. રાજકોટ, જામનગર, અમરેલી, પોરબંદર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, ભાવનગર અને કચ્છમાં નિરસ મતદાન થયું છે. જેની પાછળનું કારણ સૌરાષ્ટ્રની જનતામાં સ્થાનિક ભંગાર રસ્તા જેવા અનેક પ્રશ્નોથી માંડીને ટોલટેક્સ સહિત વધુ કરબોજ, વેપાર-ઉદ્યોગ અને ખેડૂતોથી માંડીને ગૃહિણીઓને સ્પર્શતા મોંઘવારી, શિક્ષિત બેરોજગારી અને સામાન્ય નોકરી માટે લાંબી કતારો, સરકારી સેવાઓનું ખાનગીકરણના કારણે અહીંના લોકોની નારાજગી પણ ઓછું મતદાન થવાનું એક કારણ છે.
અમરેલીમાં કોંગી નેતાનો પક્ષપલ્ટો : અમરેલીમાં અંબરિશ ડેર સહિતના કોંગ્રેસી નેતાઓએ પક્ષપલ્ટો કર્યો છે અને અમરેલીના ભાજપ-કોંગ્રેસના બે નેતાઓ રાજકોટ ચૂંટણી લડવા આવ્યા છે. ત્યાં ઓછું મતદાન થયું છે. સૌથી ઓછું અમરેલીમાં 49.22 ટકા મતદાન નોંધાયું હતું.
ક્ષત્રિય, ભાજપ અને કોંગ્રેસ પ્રભાવી બેઠક પર કેવું મતદાન?
ક્ષત્રિય પ્રભાવી બેઠક આણંદ, ખેડા, કચ્છ, જામનગર, પોરબંદર, રાજકોટ, ભાવનગર, સુરેન્દ્રનગર પર મતદાન ઘટ્યું છે. તો કોંગ્રેસ પ્રભાવી બેઠક બનાસકાંઠામાં મતદાન વધ્યું છે. જ્યારે ભાજપ પ્રભાવિત બેઠક અમદાવાદના ઘાટલોડિયા, એલિસબ્રિજ, નારણપુરા અને મણીનગરમાં મતદાન ઘટ્યું છે.
બેઠક માટે અમીત શાહ દિલ્હીની યાત્રા અટકાવી હતી : આ બેઠક માટે અમીત શાહ દિલ્હીની યાત્રા અટકાવી અચાનક રોકાઈ ગયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમાં પ્રદેશ ભાજપના નેતાઓ, હોદ્દેદાર અને વિવિધ બેઠકના પ્રભારીઓ હાજર રહ્યા હતા. આવી જ એક બેઠક અમદાવાદના એસ.જી.હાઈવે સ્થિત કાર્યાલય ખાતે પણ મળી હતી.
પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓ પણ સમીક્ષા કરી : આ ઉપરાંત પ્રત્યેક બેઠકમા પેજ સમિતિ અને કાર્યકરોએ કેવી મહેનત કરી છે, પાર્ટીના ક્યા નેતા કે કાર્યકર્તાઓ નારાજ રહ્યાં છે તેની પણ સમીક્ષા કરવામાં આવી હતી.
ઓછું મતદાન થવાના કારણોની ચર્ચા થશે : ભાજપના એક પ્રદેશ નેતાએ કહ્યું હતું કે આજે રાજ્યની તમામ બેઠકોના મતદાનના આંકડા આવી ગયા પછી પ્રદેશની મિટીંગમાં તેનું બેઠક અને વિધાનસભાના વિસ્તારોના આંકડા સાથે મંથન કરવામાં આવશે જેમાં બપોર પછી ઓછું મતદાન થવાના ગરમી સિવાયના કારણોની પણ ચર્ચા થશે.