નવી દિલ્હી: સંસદના ચોમાસું સત્રનો આજથી પ્રારંભ થયો છે. સવારે ૧૧ વાગ્યાથી લોકસભાની કાર્યવાહી શરૂ થઇ હતી, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, ગૃહમંત્રી અમિત શાહ સહિતના મંત્રીઓ તેમજ વિપક્ષી સાંસદો પણ ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ કાર્યવાહી શરૂ થયાની થોડી જ ક્ષણોમાં વિપક્ષના સાંસદોએ હોબાળો મચાવતા કાર્યવાહી સ્થગિત કરવાની નોબત આવી હતી.
લોકસભાની કાર્યવાહી બપોરે ૨ વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંત્રીમંડળમાં નવા સ્થાન પામેલા મંત્રીઓનો પરિચય કરાવી રહ્યા હતા ત્યારે જ વિપક્ષના સાંસદોએ હોબાળો મચાવી મૂક્યો હતો. જેના કારણે સ્પીકરે કાર્યવાહી ૨ વાગ્યા સુધી સ્થગિત કરી દીધી છે.
લોકસભામાં નવા મંત્રીઓનો ગૃહ સમક્ષ પરિચય કરાવતા પીએમ મોદીએ કહ્યું કે, આપણા માટે ખુશીની વાત છે કે ઘણા દલિત ભાઈઓ મંત્રી બન્યા છે. કેટલાક મંત્રીઓ ગ્રામ્ય પરિવેશ ધરાવે છે પરંતુ કેટલાક લોકોને આ પસંદ આવી રહ્યું નથી. હું વિચારી રહ્યો હતો કે આજે ગૃહમાં ઉત્સાહનું વાતાવરણ હશે કારણ કે મોટી સંખ્યામાં મહિલા સાંસદો, દલિત ભાઈઓ, આદિવાસી, ખેડૂત પરિવારોથી મંત્રીઓને મંત્રીપરિષદમાં સ્થાન મળ્યું છે. તેમનો પરિચય કરાવવાનો આનંદ થયો હોય.
પીએમના સંબોધન દરમિયાન વિપક્ષના સાંસદોએ મચાવેલા હોબાળાને લઈને રક્ષામંત્રી રાજનાથસિંહે કહ્યું કે, કોંગ્રેસે નવા મંત્રીઓનો પરિચય થવા ન દીધો. તેમણે કહ્યું કે, ચાહે એક મંત્રીનું શપથગ્રહણ થયું હોય કે પચાસ, સંસદની પરંપરા રહી છે કે વડાપ્રધાન સત્ર શરૂ થવાની સાથે જ તેમનો પરિચય ગૃહ સમક્ષ કરાવે છે અને સાંસદો તેમને સાંભળે છે. પરંતુ મેં ૨૪ વર્ષોના સંસદીય કાર્યકાળમાં પ્રથમ વખત જોયું છે કે આ પરંપરાને સંસદમાં તોડવામાં આવી છે. આ દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ છે.
ત્યારબાદ પણ વિપક્ષી સાંસદોએ હંગામો મચાવવાનું ચાલુ જ રાખ્યું હતું. ત્યારબાદ સ્પીકરે કાર્યવાહી ૨ વાગ્યા સુધી સ્થગિત કરવાની ઘોષણા કરી હતી.