ઉત્તરાખંડ પાસે ગૌરીકુંડના જંગલોમાં હેલિકોપ્ટર ક્રેશ, પાયલટ સહિત તમામ યાત્રીઓના મોત
Uttarakhand Helicopter Crash; કેદારનાથ ધામથી ઉત્તરાખંડના ગુપ્તકાશી જતું આર્યન એવિએશનનું એક હેલિકોપ્ટર ગૌરીકુંડના જંગલોમાં ક્રેશ થઈ ગયું છે. હેલિકોપ્ટરમાં પાઇલટ સહિત 7 મુસાફરો હતા, જેમાં એક બાળકીનો પણ સમાવેશ થાય છે. મળતી માહિતી મુજબ, આ અકસ્માતમાં બધાના મોત થયા છે. આ હેલિકોપ્ટર કેદારનાથ ધામથી મુસાફરોને લઈને ગુપ્તકાશી પરત ફરી રહ્યું હતું.
માહિતી મુજબ, આજે સવારે લગભગ 05:17 વાગ્યે, આર્યન કંપનીનું હેલિકોપ્ટર 6 શ્રદ્ધાળુઓ અને પાઇલટ સાથે કેદારનાથ હેલિપેડથી ગુપ્તકાશી માટે ટેકઓફ કરવામાં આવ્યું હતું. રસ્તામાં હવામાન ખરાબ થવાને કારણે, હેલિકોપ્ટરને બીજી જગ્યાએ હાર્ડ લેન્ડિંગ થવાને કારણે નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતમાં પાઇલટ સહિત 7 લોકોના મોત થયા છે, જેમની ઓળખ રાજવીર (પાઇલટ), વિક્રમ રાવત, વિનોદ, તૃષ્ટિ સિંહ, રાજકુમાર, શ્રદ્ધા અને રાશિ (ઉંમર 10 વર્ષ) તરીકે થઈ છે. ખરાબ હવામાનને કારણે આ અકસ્માત થયો છે. કેદારઘાટીમાં ગાઢ ધુમ્મસ અને ભારે પવનને કારણે હેલિકોપ્ટર રસ્તો ભટકી ગયું હતું. ત્યારબાદ, હેલિકોપ્ટરનો સંપર્ક તૂટી ગયો અને તે ગૌરીકુંડના જંગલોમાં ક્રેશ થયું હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની માહિતી મળતા જ બચાવ ટીમ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ. હાલમાં કેદારઘાટીમાં હવામાન ખરાબ છે.
આ અગાઉ, ઉત્તરાખંડના ADG કાયદો અને વ્યવસ્થા ડૉ. વી. મુરુગેશને ઘટનાની માહિતી આપતા કહ્યું હતું કે ગૌરીકુંડમાં ગુમ થયેલ હેલિકોપ્ટર ક્રેશ થયું છે. હેલિકોપ્ટરમાં કુલ 7 લોકો સવાર હતા. હાલમાં, રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે અને વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.
તો ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પણ આ ઘટનાની માહિતી આપતા કહ્યું કે, ‘રુદ્રપ્રયાગ જિલ્લામાં હેલિકોપ્ટર ક્રેશ અંગે ખૂબ જ દુઃખદ સમાચાર પ્રાપ્ત થયા છે. SDRF, સ્થાનિક પ્રશાસન અને અન્ય બચાવ ટીમો રાહત અને બચાવ કામગીરી કરી રહી છે. હું બાબા કેદારને તમામ મુસાફરોની સુરક્ષા માટે પ્રાર્થના કરું છું.’
થોડા દિવસો અગાઉ, કેદારનાથ જઈ રહેલા યાત્રાળુઓને લઈ જનારા હેલિકોપ્ટરે ટેક્નિકલ ખામીને કારણે હાઇવે પર અચાનક ઇમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો હતો, ત્યારબાદ DGCAએ આ ગંભીર સુરક્ષા ચૂંક અંગે કાર્યવાહી કરી હતી. રવિવારે થયેલી હેલિકોપ્ટર દુર્ઘટના ચારધામ યાત્રા શરૂ થયા બાદ પાંચમી હેલિકોપ્ટર દુર્ઘટના છે. અગાઉ પણ કેદારનાથ હેલિપેડ પાસે હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ થયું હતું, જેમાં AIIMSના 2 ડૉક્ટરો અને પાઇલટ બાલ-બાલ બચી ગયા હતા. પ્રશાસને ઘટનાની સંપૂર્ણ તપાસના આદેશ આપ્યા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp