Pahalgam Tarror Attack: પહેલગામ આતંકી હુમલાને લઈને 2 કાશ્મીરીઓનો મોટો ખુલાસો, એક આતંકી પાકિસ્તાનના સ્પેશિયલ ફોર્સ યુનિટ સ્પેશિયલ સર્વિસ ગ્રુપનો
Pahalgam Tarror Attack: 22 એપ્રિલના રોજ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા હિન્દુ પ્રવાસીઓના હત્યાકાંડની તપાસમાં એક મોટો ખુલાસો થયો છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ આ હુમલો કરવામાં આતંકવાદીઓને મદદ કરવા બદલ 2 કાશ્મીરીઓની ધરપકડ કરી છે. તેમની ઓળખ પરવેઝ અહમદ જોથર અને બશીર અહમદ જોથર તરીકે કરવામાં આવી છે, જેમના પર હુમલા અગાઉ આતંકવાદીઓને આશ્રય, ભોજન અને લોજિસ્ટિકલ સપોર્ટ આપવાનો આરોપ છે. આ બંનેની પૂછપરછમાં એ પણ ખુલાસો થયો છે કે હુમલામાં સામેલ ત્રણેય આતંકવાદીઓ પાકિસ્તાની નાગરિક હતા અને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT) સાથે સંકળાયેલા હતા.
NIA સૂત્રોના જણાવ્યા અનુસાર, હુમલામાં સામેલ એક આતંકવાદીની ઓળખ હાશિમ મુસા ઉર્ફે સુલેમાન તરીકે થઈ છે, જે કથિત રીતે પાકિસ્તાનના સ્પેશિયલ ફોર્સ યુનિટ 'સ્પેશિયલ સર્વિસ ગ્રુપ' (SSG)નો પેરા કમાન્ડો રહી ચૂક્યો છે. મુસા થોડા મહિનાઓથી કાશ્મીરમાં સક્રિય હતો અને ઓક્ટોબર 2024માં ગંગાનગીર (ગાંદરબલ) અને બુટા પત્રીમાં થયેલા 2 આતંકવાદી હુમલાઓનો પણ હિસ્સો રહ્યો છે, જેમાં કુલ 10 લોકો માર્યા ગયા હતા.
સૂત્રોનું કહેવું છે કે હાશિમ મુસાને SSG પાસેથી લશ્કર-એ-તૈયબાને 'લોન' પર આપવામાં આવ્યો હતો જેથી તે સુરક્ષા દળો અને બિન-સ્થાનિક નાગરિકો પર લક્ષિત હુમલાઓ કરી શકે. તેના સાથીઓમાં અન્ય એક પાકિસ્તાની આતંકવાદી અલી ભાઈ અને સ્થાનિક આતંકવાદી આદિલ હુસૈન થોકરનો સમાવેશ થાય છે. આદિલે પાકિસ્તાનમાં આતંકવાદી તાલીમ મેળવી હતી.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, NIAએ પરવેઝ અને બશીરની ધરપકડ કરતા પહેલા ટેક્નિકલ દેખરેખ લગભગ 15 ઓવરગ્રાઉન્ડ વર્કર્સ (OGW) પાસેથી મળેલા ઈનપુટનું વિશ્લેષણ કર્યું હતું. આ બધા લોકોનો હુમલાખોરો સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્ક હતો અથવા તેમને કાવતરા બાબતે આંશિક માહિતી હતી. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આતંકવાદીઓ પાકિસ્તાની હેન્ડલરોના સંપર્કમાં હતા અને વાતચીત કરવા માટે 'અલ્ટ્રા' જેવી ચીની એપ્સનો ઉપયોગ કરી રહ્યા હતા. NIAને શંકા છે કે હુમલાખોરો હજુ પણ ત્રાલ-કુલગામ-અનંતનાગના જંગલોમાં છુપાયેલા છે.
આ કેસમાં ધરપકડ કરાયેલા બંને આરોપીઓને જમ્મુની NIA કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તેમની કસ્ટડીમાં પૂછપરછથી આ હુમલાના કાવતરા અને પાકિસ્તાન સાથેના તેમના કનેક્શનને લઈને મહત્ત્વપૂર્ણ માહિતી મળવાની અપેક્ષા છે. આશ્ચર્યજનક રીતે, પરવેઝ અને બશીરનો અત્યાર સુધી કોઈ ગુનાહિત રેકોર્ડ નહોતો, જેનાથી તપાસ એજન્સી ચોંકી ગઈ છે. NIAએ બંનેની ગેરકાયદેસર ગતિવિધિઓ (નિવારણ) અધિનિયમ, 1967ની કલમ 19 હેઠળ ધરપકડ કરી છે. પહેલગામ હુમલામાં 26 નિર્દોષ પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા હતા અને 16 અન્ય ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ હુમલાને ખીણમાં અત્યાર સુધીના સૌથી ભયાનક આતંકવાદી હુમલાઓમાંથી એક માનવામાં આવે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp