પાકિસ્તાનનું જુઠ્ઠાણું ફરી બેનકાબ થયું, રક્ષા મંત્રી બોલ્યા- ‘અમે તો વર્ષો આગાઉ આતંકવાદ સાથે..’
વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે પંજાબના આદમપુર એરબેઝ પરથી આતંકવાદના મુદ્દા પર પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો. વડાપ્રધાન મોદીએ સ્પષ્ટપણે કહ્યું કે ઓપરેશન સિંદૂર માત્ર મુલતવી રાખવામાં આવ્યું છે, તેને કાયમ માટે બંધ કરવામાં આવ્યું નથી. ભારત પાકિસ્તાનના દરેક પગલાને તેના વલણના આધારે માપશે. વડાપ્રધાન મોદીના આ નિવેદન બાદ પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફની પ્રતિક્રિયા સામે આવી છે.
જિયો ટીવીને આપેલા ઇન્ટરવ્યૂમાં ખ્વાજા આસિફે કહ્યું કે પાકિસ્તાને આતંકવાદ સાથેના બધા સંબંધો તોડી નાખ્યા છે. ફરી એકવાર પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ આતંકવાદના મુદ્દા પર પોતાના વિચારો વ્યક્ત કર્યા. તેમણે કહ્યું કે, ‘દુનિયાના દેશોએ પાકિસ્તાન આવીને તપાસ કરવી જોઈએ કે અહીં આતંકવાદી ઠેકાણા છે કે નહીં. અમે વર્ષો પહેલા આતંકવાદ સાથેના અમારા બધા સંબંધો તોડી નાખ્યા છે.’
ખ્વાજા આસિફ અહીં ઉઘાડા પડી ગયા. કારણ કે જ્યારે ભારતે પાકિસ્તાનમાં ઘૂસીને આતંકી ઠેકાણા તબાહ કર્યા ત્યારે તેમાં માર્યા ગયેલા આતંકીઓની લાશો પર આતંકવાદી હાફિઝ અબ્દુર રઉફ પ્રાર્થના કરી રહ્યો હતો અને તેની પાછળ પાકિસ્તાની સેના હતી. પાકિસ્તાન તેને સામાન્ય મૌલવી કહેતું હતું, પરંતુ તે વાસ્તવમાં એક આતંકવાદી હતો. અમેરિકાએ અબ્દુર રઉફને આતંકવાદી જાહેર કર્યો હતો. પાકિસ્તાની પોલીસ અને સેનાના અધિકારીઓની હાજરીમાં આતંકીઓના તાબૂતોને પાકિસ્તાની ઝંડાઓમાં લપેટીને રાજકીય સન્માન આપવું એ વાતના પુરાવા છે કે પાકિસ્તાનની સેના અને સરકારનું આતંકી સંગઠનો સાથે ભાઇચારા વાળો સંબંધ છે.
સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધનમાં પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે ભારત કોઈપણ પરમાણુ બ્લેકમેલ સહન કરશે નહીં. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત પરમાણુ બ્લેકમેલની આડમાં ખીલી રહેલા આતંકવાદી ઠેકાણાઓ પર ચોક્કસ અને નિર્ણાયક હુમલો કરશે. ભારતના ત્રણેય દળો, આપણી વાયુસેના, આપણી સેના અને આપણી નૌકાદળ, આપણી સરહદ સુરક્ષા દળ, ભારતના અર્ધલશ્કરી દળો સતત સતર્ક છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈક બાદ, હવે ઓપરેશન સિંદૂર આતંકવાદ સામે ભારતની નીતિ છે. તેમણે કહ્યું કા, ઓપરેશન સિંદૂરે આતંકવાદ સામેની લડાઈમાં એક નવી રેખા દોરી છે, એક નવો ધોરણ, એક નવો સામાન્ય નિયમ સ્થાપિત કર્યો છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે જો ભારત પર આતંકવાદી હુમલો થશે તો જડબાતોડ જવાબ આપવામાં આવશે. અમે અમારી રીતે અને અમારી પોતાની શરતો પર જવાબ આપીશું. અમે દરેક જગ્યાએ કડક કાર્યવાહી કરીશું જ્યાંથી આતંકના મૂળ નીકળે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp