Mansukhbhai Vasava on Bharuch MNREGA Scam: મનસુખ વસાવા હંમેશાં પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં આવતા હોય છે, આ વખતે પણ મનસુખ વસાવા પોતાના એક નિવેદનને લઈને ખૂબ ચર્ચામાં છે. મનસુખ વસાવાએ ભરુચ મનરેગા કૌભાંડના મામલે મોટો ધડાકો કર્યો છે. તેમણે આ કૌભાંડમાં ગાંધીનગર સુધી કૌભાંડના હપ્તા પહોંચ્યા હોવાનો દાવો કર્યો છે, જેથી ગુજરાતનાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ચાલો આગળ જાણીએ કે મનસુખ વસાવાએ ભરુચ મનરેગા કૌભાંડ પર શું કહ્યું?
ભરુચ મનરેગા કૌભાંડમાં સાંસદ મનસુખ વસાવાનો આક્ષેપ છે કે, ગાંધીનગરવાળા દૂધે ધોયેલા નથી. ભાજપ-કોંગ્રેસ હોય કે AAPના ધારાસભ્યો બધાને હપ્તા મળ્યા. મનરેગા કૌભાંડના રેલા હવે નેતાઓ સુધી પહોંચી રહ્યાં છે. કામ કરનારી એજન્સી દ્વારા વિવિધ પક્ષોના નેતાઓને રૂપિયા આપવામાં આવ્યા હતા, જેમાં વિપક્ષના નેતાઓનો પણ સમાવેશ થાય છે. કૌભાંડ આચરનારી એજન્સીના કેટલાક માણસો તેમને મળવા આવ્યા હતા. તેમણે આ માણસોને રાજપીપળા ગેસ્ટ હાઉસમાં બોલાવીને જાહેરમાં મીટિંગ કરી હતી. આ મીટિંગ દરમિયાન એજન્સીના માણસોએ તેમને એક યાદી બતાવી હતી, જેમાં કૌભાંડના ભાગરૂપે દરેક પક્ષના નેતાઓને ચૂકવવામાં આવેલા રૂપિયાનો ઉલ્લેખ હતો.
સાથે જ તેમણે કહ્યું કે, વિપક્ષના નેતાઓ જે આક્ષેપ કરી રહ્યા છે, તેમાંથી જ કેટલાક શાહુકાર બન્યા છે. વિપક્ષના નેતાઓએ પણ રૂપિયા લીધા છે. મનસુખ વસાવા અહી જ ન અટક્યા. તેમણે છેક ગાંધીનગરવાળાએ કટકી ખાધાનો ખુલાસો કર્યો છે.
મનસુખ વસાવાએ કહ્યું કે, અધિકારીઓ, પદાધિકારીઓ સહિત તમામને કટકી આપવામાં આવી છે, અને આ મામલે ગાંધીનગરથી તપાસની શરુઆત થવી જોઈએ. ગાંધીનગરવાળા દૂધે ધોયેલા નથી અને દીવા તળે અંધારું છે એ જોતા નથી. આ કૌભાંડમાં બધાને ટકાવારી મળી છે, જેમાં દરેક પક્ષના લોકો, મંત્રીઓ, સચિવો અને અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. આમ, ભરુચના મનરેગા કૌભાંડમાં ભરૂચના જ સાંસદ મનસુખ વસાવાએ કરેલા આક્ષેપોએ રાજકીય ગલિયારા ભારે હડકંપ મચાવ્યો છે.
જોકે, આટલા ગંભીર આક્ષેપો કર્યા બાદ, વસાવાએ યાદી રજૂ કરવાને બદલે માત્ર ને માત્ર મૌખિક દાવાઓ કર્યા, અને આ બધી માહિતી એજન્સીના માણસો દ્વારા તેમને કહેવામાં આવી હોવાનું જણાવ્યું. તેમણે એક રીતે એજન્સીના ખભા પર બંદૂક મૂકીને વાત કરી હોય તેવો ઘાટ સર્જાયો. તેમણે કહ્યું કે, "આ બધું એજન્સીએ કહ્યું એમાં તથ્ય કેટલું છે એ તપાસનો વિષય છે.
આ સમગ્ર આક્ષેપો કરતા કરતા, મનસુખ વસાવા દર વખતની જેમ ગોળ ગોળ ફરીને આમ આદમી પાર્ટી (AAP) પર સીધા આક્ષેપ કરવા પર આવી ગયા. તેમણે AAPના સરપંચો અને પદાધિકારીઓના ક્ષેત્રમાં તપાસ કરાવવાની વાત કરી, જે તેમના નિવેદનોના અંતે એક રાજકીય મોડ દર્શાવે છે.
મનરેગા કૌભાંડ મામલે મનસુખ વસાવા ઘટસ્ફોટને લઈને ચૈતર વસાવાએ કહ્યું કે, 'મનસુખ વસાવાની જ સરકાર છે અને તેમને કહ્યું તે સાચી વાત છે. ગાંધીનગર સુધી આ કૌભાંડની જળ છે, જો તપાસ કરાવવામાં આવે તો બધા લોકો સંડોવાઈ તેમ છે. પહેલા જ્યારે મે આ વાત કરી હતી, ત્યારે મનસુખ વસાવાએ ના કહી હતી કે એવું કોઈ કૌભાંડ થયું જ નથી. આજે સાંસદ જાતે જ કહે છે કે ઉપર સુધી હપ્તા પહોંચે છે. આ કહેવા બદલ સાંસદને અભિનંદન આપું છું.'
ચૈતર વસાવાએ કહ્યું કે, 'આ જલારામ એજન્સીને ભરૂચ અને નર્મદા જિલ્લામાં લાવનારા જ મનસુખ વસાવા છે. આ એજન્સીઓ સાથે નર્મદા સુગર ફેકટરી અને કરજણ ગેસ્ટ હાઉસ ખાતે મનસુખ વસાવાએ ઘણી વાર મિટિંગો કરી છે. મનસુખભાઇ પાસે જે ડેટા છે તે ડેટા જગજાહેર કરે અને જેને પણ કટકી ખાધી છે તેમના નામ પણ જાહેર કરે અને કેટલી રકમ લીધી છે તે પણ જાહેર કરે. 7 ટર્મના ભાજપના સાંસદ આટલા મોટા કૌભાંડથી માહિતગાર કરે છે, જેથી તેની તપાસ થવી જ જોઈએ.અમે ક્યારેય કોઈ એજન્સી સાથે બેઠા નથી કે આ એજન્સીઓથી પરિચિત પણ નથી. દાદાનું બુલડોઝર નાના લોકો પર ફરે છે અને રાજ્યના ગૃહમંત્રી ફાંકા ફોજદારી કરે છે તો હવે આ મોટા કૌભાંડીઓ પર બુલડોઝર કયારે ફરશે.'