Awsaneshwar Mahadev Temple Stampede: કપિરાજને કારણે ઔસનેશ્વર મહાદેવના મંદિરમાં અફરાતફરી, 2 લોકોના મોત; 32 લોકો ઇજાગ્રસ્ત
Awsaneshwar Mahadev Temple Stampede: ઉત્તરાખંડના હરિદ્વારમાં આવેલા મનસા દેવી મંદિરમાં થયેલી અફરાતફરી બાદ હવે ઉત્તર પ્રદેશના બારાબંકીમાં પણ અફરાતફરી મચી ગઈ છે. રવિવારે રાત્રે બારાબંકી જિલ્લાના હૈદરગઢ વિસ્તારમાં આવેલા પૌરાણિક ઔસનેશ્વર મહાદેવ મંદિરમાં એક મોટો અકસ્માત થઈ ગયો હતો. શ્રાવણ મહિનાના સોમવારે રાત્રે 12:00 વાગ્યા બાદ જળાભિષેક શરૂ થયો હતો, જેમાં જળાભિષેક માટે ભેગા થયેલા ભક્તોની ભારે ભીડ હતી. દરમિયાન લગભગ 2:00 વાગ્યે, મંદિર પરિસરમાં અચાનક કરંટ ફેલાઈ ગયો, જેના કારણે અફરાતફરી મચી ગઈ હતી. કરંટ ફેલાવાને કારણે શ્રદ્ધાળુઓમાં ગભરાટ ફેલાઈ ગયો અને લોકો ચીસો પાડીને આમ-તેમ ભાગવા લાગ્યા. આ અકસ્માતમાં 2 શ્રદ્ધાળુના ઘટનાસ્થળે જ મોત થયા હોવાના અહેવાલ છે, જ્યારે 32 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે.
સુરક્ષા માટે મંદિર પરિસરમાં પોલીસ દળ પહેલાથી જ હાજર હતું, પરંતુ અકસ્માતની માહિતી મળતા જ ભારે પોલીસ દળ સ્થળ પર તૈનાત કરવામાં આવ્યું હતું. તમામ ઇજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ દ્વારા હૈદરગઢ અને ત્રિવેદીગંજ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર મોકલવામાં આવ્યા હતા જ્યારે કેટલાક ગંભીર ઇજાગ્રસ્તોને જિલ્લા હોસ્પિટલ બારાબંકીમાં રિફર કરવામાં આવ્યા હતા.
કપિરાજોને કારણે ફેલાયો કરંટ
ઘટનાની માહિતી મળતા જ જિલ્લા મેજિસ્ટ્રેટ શશાંક ત્રિપાઠી અને પોલીસ અધિક્ષક અર્પિત વિજયવર્ગીય ઉચ્ચ અધિકારીઓ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. DMએ જણાવ્યું હતું કે, કેટલાક વાનરો ઇલેક્ટ્રિક તાર પર કૂદી પડ્યા હતા જેના કારણે તાર તૂટીને મંદિર પરિસરના ટીન શેડ પર પડ્યો હતો. આ કારણે કરંટ ફેલાઈ ગયો અને અફરાતફરી જેવી સ્થિતિ સર્જાઈ હતી. જિલ્લા મેજિસ્ટ્રેટે જણાવ્યું હતું કે અકસ્માતમાં 32 લોકો ઇજાગ્રસ્ત થયા છે, 2 લોકોની હાલત ગંભીર હોવાથી તેમને બારાબંકી જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
બારાબંકી અગાઉ, રવિવારે, હરિદ્વારના મનસા દેવી મંદિરમાં ઇલેક્ટ્રિક કરંટ ચાલવાના સમાચારને કારણે અફરાતફરી થઈ હતી, જેમાં 7 શ્રદ્ધાળુઓના મોત થયા હતા. તો, ઘણા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. રવિવારે મંદિરમાં શ્રદ્ધાળુઓની ભીડ હતી. આ દરમિયાન, એક અફવા ફેલાઈ ગઈ કે કરંટ આવી રહ્યો છે, જેના કારણે લોકો પોતાને બચાવવા માટે એકબીજા પર ચઢવા લાગ્યા. આનાથી ગભરાટ ફેલાયો અને ઘણા લોકો દબાવા લાગ્યા. આ અફરાતફરીમાં 7 લોકોના મોત થયા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp