વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા નવી પહેલ : હવે આ પોલીસી અંતર્ગત ઉમેદવારને કોઈપણ વિષય પસંદ કરવાની છૂટ મળશે
સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીએ (Veer Narmad South Gujarat University) નેશનલ એજ્યુકેશન પોલિસી અંતર્ગત મલ્ટિ ડિસિપ્લિનરી સબ્જેક્ટ ભણાવી તમામ ફેકલ્ટીના વાડાઓમાંથી વિષયોને મુક્ત કરવા પહેલ ભરી છે. યુનિવર્સિટી ખાતે સોમવારે મળેલી એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં મલ્ટિ ડિસિપ્લિનરી સબ્જેક્ટ તેમજ મલ્ટિ લેવલ એક્ઝિટ અંગે નિર્ણય કરાયો છે. આ માટે નેશનલ એજ્યુકેશન પોલિસી-2020 અંતર્ગત સરકારે કરેલી ભલામણો ઉપર મંથન કરાયું હતું. એકેડેમિક કાઉન્સિલે તમામ ફેકલ્ટીના વાડાઓમાંથી વિષયોને મુક્ત કરવા કોશિશ શરૂ કરી છે.
દરેક ફેકલ્ટીના વિષય પોતાની ફેકલ્ટીના વિષય સિવાયના વિષય પણ ભણી શકે એ માટે શક્યતાઓ ચકાસવામાં આવી રહી છે. એ માટે આગામી પંદરમી જુલાઇના રોજ દરેક ફેકલ્ટીની તેમજ બોર્ડની બેઠક બોલાવવામાં આવી છે. હાલ યુનિવર્સીટી આશરે 600 જેટલા વિષયો ભણાવે છે. તે પૈકી કયા અને કેટલા વિષયો કઇ ફેકલ્ટીના ઉમેદવારોને અધર ફેકલ્ટી સબ્જેક્ટ તરીકે આપી શકાય એ અંગે ચર્ચા બાદ નિર્ણય થશે.
અધૂરો અભ્યાસ કરતાં ઉમેદવારોને પાછળથી ઘણી વખત વસવસો થતો હોય છે. સેંકડો ઉમેદવારો એવા છે, જેમણે બાર પાસ પછી અભ્યાસ છોડી દીધો હોય. આ ઉમેદવારો ગ્રેજ્યુએટ નહીં થઇ શકતાં અધૂરા અભ્યાસને પગલે કોઇ ડિગ્રી કે કોઇ પ્રમાણપત્ર મેળવી શકતા નહોતા. પરંતુ હવે આવા ઉમેદવારોને પણ તેમના અભ્યાસ મુજબ પ્રમાણપત્ર કે પદવી મળશે. આ અંગે એકેડેમિક કાઉન્સિલના સભ્ય ડો.સ્નેહલ જોષીએ કહ્યું હતું કે, યુનિ. મલ્ટિ લેવલ એક્ઝિટ અંગે પણ વિચારી રહી છે. જેમાં ધોરણ-12 પછી કોલેજનું પહેલું વરસ કરનારને ડિપ્લોમા, બીજું વર્ષ કરનારને એડ્વાન્સ ડિપ્લોમા તેમજ ત્રીજું વર્ષ કરનારને ડિગ્રી અપાશે. જે યુનિવર્સીટી જે-તે ફેકલ્ટીના સ્નાતકને આપે છે. પરંતુ પહેલાં બે વર્ષ માટે પણ ડિપ્લોમા આપવા વિચારણા ચાલી રહી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp