આ તો ઘોર કળિયુગ આવી ગયો ભાઇ! બાથરુમના વિવાદમાં એક યુવકને પતાવી દીધો
Delhi Murder case: રોજ થતી ગુનાહિત ઘટનાઓ અને નાની-નાની વાતે ઝઘડા, મારામારી અને હત્યાની ઘટનાઓ સામે આવે છે ત્યારે એમ થાય કે ભાઇ હવે તો ઘોર કળિયુગ આવી ગયો. દિલ્હીમાં હત્યાની 2 અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. પ્રથમ ઘટનામાં બાઇક સવાર બદમાશોએ ફર્શ બજાર વિસ્તારમાં એક વેપારીની ગોળી મારીને હત્યા કરી હતી. જ્યારે બીજી ઘટના રાજધાનીના ગોવિંદપુરી વિસ્તારની છે. અહીં બાથરૂમ સાફ કરવા બાબતે 2 પક્ષો વચ્ચે મારામારી થઈ હતી. જેમાં એક યુવકને છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દેવાયો હતો અને આ મામલે અન્ય 2 લોકોને ઈજા થઈ હતી. ચાલો તમને એક બાદ એક બંને ઘટનાઓ વિશે જણાવીએ.
વેપારી સુનિલ જૈન શનિવારે સવારે ફર્શ બજાર વિસ્તારમાં મોર્નિંગ વોક કરી રહ્યો હતો. આ દરમિયાન બાઇક સવાર બદમાશો આવ્યા અને તેને ગોળી મારીને ફરાર થઇ ગયા. ગોળીનો અવાજ સાંભળીને આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્તને નજીકની હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકના પરિજનોના નિવેદન લેવામાં આવી રહ્યા છે. મૃતકની કોઈ સાથે ધંધાકીય અદાવત હતી કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે. મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે સુરક્ષિત રખાવી દેવામાં આવ્યો છે. ઘટના સ્થળની આસપાસ લાગેલા CCTV કેમેરાની ચકાસણી કરવામાં આવી રહી છે. બદમાશોની ઓળખ કરવા અને તેમની ધરપકડ કરવા માટે 2 ટીમો બનાવવામાં આવી છે.
ગોવિંદપુરીમાં આ ઘટના શુક્રવારે મધરાત બાદ બની હતી. અહીં સંયુક્ત બાથરૂમની સફાઈ બાબતે 2 પક્ષો વચ્ચે લાકડી-દંડા ચાલ્યા હતા. બંને પક્ષના લોકોએ એક-બીજાને ખૂબ માર માર્યો. આ લડાઈમાં ઇજાગ્રસ્ત 3 લોકોને ગંભીર હાલતમાં AIIMS ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સવારે લગભગ 3 વાગ્યે સુધીરનું મોત થઇ ગયું હતું, જ્યારે સાગર અને પ્રેમ નામના 2 યુવકો ઇજાગ્રસ્ત છે.
પોલીસના જણાવ્યા અનુસાર, સુધીરની હત્યાનો આરોપ જે લોકો પર લાગ્યો છે, તે તેના મકાનમાલિક છે. મૃતકના શરીર પર છરીના ઘા માર્યાના નિશાન જોવા મળ્યા હતા. ઇજાગ્રસ્તો અને મૃતકના સંબંધીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ કેસમાં FIR નોંધવામાં આવી છે અને કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp