તિરુપતિ નાસભાગ કેસમાં 2 FIR દાખલ, પોલીસ બોલી- 'બીમાર મહિલાને બહાર કાઢવા માટે..'
Tirupati Temple Stampede: તિરુપતિના પ્રખ્યાત ભગવાન વેંકટેશ્વર સ્વામી મંદિરમાં બુધવારે (8 જાન્યુઆરી) રાત્રે એક દુર્દનાક ભાગદોડ મચી ગઈ હતી, જેમાં 6 શ્રદ્વાળુંઓના મોત થઇ ગયા હતા અને 40થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે સેંકડો ભક્તો ભગવાનના દર્શન માટે એકઠા થયા હતા અને તેઓ 'વૈકુંઠ દ્વાર દર્શનમ' માટે ટિકિટ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ ખાસ અવસર 10 જાન્યુઆરીથી શરૂ થનાર 10 દિવસના વૈકુંઠ દ્વાર દર્શનમનો હતો, જેના માટે દેશભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો તિરુપતિ પહોંચ્યા હતા. ભક્તોની ભીડ ટિકિટ મેળવવા માટે આગળ વધવા લાગી ત્યારે નાસભાગ મચી ગઈ.
આ અકસ્માત તિરુમાલાના બૈરાગી પટ્ટેદા વિસ્તારમાં MGM સ્કૂલ પાસે થયો હતો, જે મંદિરની નજીકનો વ્યસ્ત વિસ્તાર છે. પોલીસના જણાવ્યા અનુસાર, એક બીમાર મહિલાને બહાર કાઢવા માટે મંદિરના દરવાજા ખોલવામાં આવ્યા ત્યારે ભાગદોડ શરૂ થઈ હતી. દરવાજો ખોલતાની સાથે જ ભક્તોએ રાહ જોયા વિના ભાગવાનો પ્રયાસ કર્યો, જેના કારણે ભીડમાં અરાજકતા ફેલાઈ ગઈ અને લોકો એકબીજા પર પડવા લાગ્યા. આ ભાગદોડને કારણે ઘણા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને કેટલાકના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હૉસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
પોલીસે આ કેસમાં બે FIR નોંધી છે. આમાંથી એક FIR ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ 194 હેઠળ નોંધવામાં આવી હતી, જે અકુદરતી મૃત્યુ સાથે સંબંધિત છે. પોલીસનું કહેવું છે કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ગેટ ખોલવાનું પગલું એક નાયબ પોલીસ અધિક્ષક (DSP) દ્વારા ઉઠાવવામાં આવ્યું, જે એક બીમાર મહિલાને બહાર કાઢવા માટે કરવામાં આવ્યું હતું. જોકે, અધિકારીઓનું કહેવું છે કે આ પગલું વધુ સાવધાની અને વ્યવસ્થાપન સાથે ભરવું જોઈતું હતું, જેના કારણે આ દુ:ખદ ઘટના ટાળી શકાઈ હોત.
આ ઘટના બાદ, ઘણા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે, ખાસ કરીને અધિકારીઓની બેદરકારીને લઇને. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે પોલીસ અને અન્ય સંબંધિત અધિકારીઓએ આવા કિસ્સાઓમાં વધુ સાવચેત રહેવું જોઈતું હતું. કમનસીબે, DSP દ્વારા ગેટ ખોલવાના પગલાંને કારણે નાસભાગ મચી ગઈ. તેમનો ઈરાદો ભક્તોને મદદ કરવાનો હતો, પરંતુ આ પગલું ખોટા સમયે લેવામાં આવ્યું જેના કારણે ભારે તબાહી થઇ. હાલમાં, પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા તપાસ ચાલી રહી છે.
આ ઘટના સુરક્ષા વ્યવસ્થા અને ભીડ નિયંત્રણમાં રહેલી ખામીઓને ઉજાગર કરે છે. તિરુપતિ જેવા મુખ્ય ધાર્મિક સ્થળ પર આવી પરિસ્થિતિ માટે અસરકારક વ્યવસ્થાપનની જરૂર છે જેથી આવા અકસ્માતો ટાળી શકાય. અધિકારીઓએ કહ્યું છે કે તેઓ ભવિષ્યમાં આવી ઘટનાઓનો સામનો કરવા માટે વધુ સારી જરૂરિયાતો અને સુરક્ષા પગલાં અમલમાં મૂકશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp