મુંબઈથી અમદાવાદ આવતી 'વંદે ભારત'ને નડ્યો અકસ્માત, ટ્રેનના ફ્રંટ હુડને નુક્સાન; થોડા દિવસો પહેલા જ પીએમ મોદીએ આપી હતી લીલી ઝંડી
: હજુ ગયા સપ્તાહે જ શરુ થયેલી વંદે ભારત એક્સપ્રેસ વટવા સ્ટેશન નજીક ભેંસને અથડાતા ટ્રેનના આગળના ભાગને નુક્સાન થયું હતું. રેલવે દ્વારા અપાયેલી માહિતી અનુસાર, ટ્રેન અમદાવાદ સ્ટેશને પહોંચે તે પહેલા જ તેને આ અકસ્માત નડ્યો હતો. જોકે, તેનાથી ટ્રેનના આગળનું કવર તૂટ્યા સિવાય બીજું કોઈ નુક્સાન નહોતું થયું. અકસ્માતને કારણે ટ્રેનને થોડો સમય અટકાવાઈ હતી, પરંતુ તેના કારણે તેના સમયપત્રક પર કોઈ ફરક નથી પડ્યો.
રેલવે પીઆરઓ પ્રદીપ શર્માએ વાત કરતા જણાવ્યું હતું કે, ભેંસો રેવલે ટ્રેક પર આવી જવાના કારણે ટ્રેન તેમની સાથે ટકરાઈ ગઈ હતી. જેના લીધે તેના ફ્રંટ હુડને નુક્સાન થયું હતું. જોકે, તેને ઘટનાસ્થળે જ રિપ્લેસ કરીને ટ્રેનને રવાના કરી દેવાઈ હતી. આ અકસ્માતના કારણે ટ્રેનના સંચાલન પર કોઈ અસર નથી પડી. વટવા નજીક બનેલી આ ઘટના બાદ ગાડી સમયસર અમદાવાદ આવી પહોંચી હતી, અને ગાંધીનગરથી પણ તેને તેના નિયત સમયે મુંબઈ માટે રવાના કરી દેવાઈ હતી.
ટ્રેન સ્પીડમાં હોવાના કારણે વચ્ચે ટ્રેક પર આવી ગયેલી ભેંસ સાથેની ટક્કર ટાળી નહોતી શકાઈ. જેના કારણે તેનો આગળનો ભાગ તૂટી ગયો હતો. જોકે, તેનાથી ટ્રેન દોડી ના શકે તેવો કોઈ ટેકનિકલ ફોલ્ટ કે ડેમેજ નહોતા થયા. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડતી વંદે ભારત 180 કિમી પ્રતિ કલાકની ટોપ સ્પીડે દોડી શકવા સક્ષમ છે, પરંતુ તેને આ રુટ પર 130 કિમી પ્રતિ કલાકની ટોપ સ્પીડે જ દોડાવાઈ રહી છે.
ઓટોમેટિક દરવાજા, આરામદાયક સીટો સહિત અનેક લેટેસ્ટ ફીચર્સ ધરાવતી વંદે ભારતને ગત શુક્રવારે પીએમ મોદીએ ગાંધીનગરથી લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ ટ્રેન મુંબઈથી સવારે 6.10 કલાકે ઉપડીને માત્ર 5 કલાક 15 મિનિટમાં જ અમદાવાદ આવી પહોંચે છે. તેનું છેલ્લું સ્ટેશન ગાંધીનગર છે. અમદાવાદથી આ ટ્રેન બપોરે ત્રણ વાગ્યે ઉપડે છે, અને 5 કલાક 15 મિનિટમાં તે મુંબઈ પહોંચી જાય છે. ગાંધીનગરથી ઉપડતી આ ટ્રેન માત્ર અમદાવાદ, વડોદરા અને સુરત જ ઉભી રહે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp