વીર સાવરકર પુણ્યતિથિ: જાણો ગાંધીની સાથે કેવા હતા સાવરકરના સંબંધ
મહારાષ્ટ્રના નાસિક જીલ્લાના ભગુર ગામમાં જન્મેલા વીર સાવરકર બાળપણથી જ ક્રાંતિકારી વિચારોમાં ઓતપ્રોત હતા. તેઓ હિંદુત્વ વિચારધારાના દ્રઢ હિમાયતી હતા. આજે વિનાયક દામોદર સાવરકરની પુણ્યતિથિ છે. 26 ફેબ્રુઆરી, 1966ના રોજ તેમનું અવસાન થયું. તેઓ સ્વતંત્રતા સેનાની અને મજબૂત રાષ્ટ્રવાદી નેતા હતા. સાવરકરે પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. જાણો સ્વાતંત્ર્ય ચળવળમાં તેમનું શું યોગદાન હતું તેમજ, ગાંધીજી સાથે તેમના કેવા સંબંધ કેવો હતા.
સાવરકરે બી.એ.ના અભ્યાસ દરમિયાન બાળ ગંગાધર તિલકની અપીલ પર અંગ્રેજી વસ્તુઓનો બહિષ્કાર કર્યો. 'મોર્લે મિન્ટો સુધારા' સામે સશસ્ત્ર વિરોધનું કાવતરું ઘડવા બદલ સાવરકરની 1909માં ધરપકડ કરવામાં આવી હતી. તેમણે પાણીમાં કૂદીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા. 1911માં તેમને બે વાર 'કાળાપાણીની સજા' એટલે કે આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. પ્રથમવખત 1924માં તેમને આ શરતે મુક્ત કરવામાં આવ્યા કે તેઓ 5 વર્ષ સુધી રાજકારણમાં સક્રિય નહીં રહે. પરંતુ તેમણે રત્નાગીરીમાં અસ્પૃશ્યતા નાબૂદી માટે કામ કર્યું અને તમામ જાતિના હિંદુઓ સાથે ભોજન કરવાની પરંપરા પણ શરૂ કરી. તેથી તેમને ફરી કાળાપાણીની સજા મળી.
મહાત્મા ગાંધીજીએ સાવરકરને અનેક પ્રસંગોએ 'ભાઈ' કહીને સંબોધ્યા છે. સાવરકર માટે પણ ગાંધીજી 'મહાત્મા' હતા. ઉદય માહૂરકર અને ચિરાયુ પંડિતના એક પુસ્તક મુજબ, બંને નેતાઓ વચ્ચે બે બેઠકો થઈ હતી, એ પણ એવા સમયમાં કે જયારે આઝાદીની ચળવળ ચરમસીમાએ હતી. તેમની વચ્ચે વૈચારિક મતભેદો હોવા છતાં તેમની વચ્ચે કોઈ મનભેદ નહોતો.
જાણીતા સ્વતંત્રતા સેનાની ભગતસિંહે સાવરકરને 'વીર' કહ્યા હતા. 1924 માં તેમણે એક લેખમાં લખ્યું હતું કે, "તે દુનિયાને પ્રેમ આપવાવાળા હતા, જેમણે પોતાની જાતને જ્વલંત ઉગ્રવાદી અને કટ્ટરવાદી કહેવામાં ક્યારેય શરમ અનુભવી ન હતી. આવા છે વીર સાવરકર."
ખાસ કરીને 2014 માં ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્રમાં આવ્યા બાદ વડાપ્રધાન સહિત આખી સરકાર અને પાર્ટીએ વીર સાવરકરના નામ પર વધુ ભાર આપવાનું શરૂ કર્યું છે. એક તરફ કોંગ્રેસ સહિતના વિપક્ષો સાવરકર અંગે નફરતનો ભાવ ધરાવે છે તો બીજી તરફ સાવરકરની હિંદુતરફી વિચારધારા અને તેમના રાષ્ટ્રવાદને કારણે ભાજપ હંમેશા તેમને આદરભાવથી જોતું આવ્યું છે.
થોડા સમય પહેલા ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે વીર સાવરકરને મહાન નેતા અને સ્વતંત્રતા સેનાની ગણાવ્યા હતા. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે સાવરકરે ગાંધીજીના કહેવાથી જ અંગ્રેજો સામે 'દયાની ભીખ' માંગી હતી. તાજેતરના વર્ષોમાં, ખાસ કરીને 2014 પછી, ભાજપ વીર સાવરકરના વિચારો અને કાર્યોને લોકો સુધી ફેલાવવામાં ખૂબ આક્રમક રહ્યું છે. તેમજ પાર્ટી દ્વારા વામપંથી ઈતિહાસકારો પર સાવરકરના 'ચરિત્ર હનન'ના આરોપ પણ લગાવવામાં આવતા રહ્યા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp