ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની શક્યતા વચ્ચે, ગૃહ મંત્રાલયે યુદ્ધના સાયરન વગાડવાના નિર્દેશો આપ્યા છે. સોમવારે ગૃહ મંત્રાલયે એક મોટો નિર્ણય લીધો હતો અને તમામ રાજ્યોને 7 મે એટલે કે આવતીકાલે આ માટે મોક ડ્રીલ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. આ મોક-ડ્રીલ નાગરિકોને યુદ્ધ સમયે વાગતા સાયરનને ઓળખવા માટે કરવામાં આવશે. આ દરમિયાન યુદ્ધના સાયરન થોડા સમય માટે વાગતા રહેશે. જોકે, નાગરિકોએ આ અંગે ગભરાવાની જરૂર નથી.
પાકિસ્તાનની સરહદે આવેલા ગુજરાતમાં 18 સ્થળોએ યુદ્ધ સાયરન સાથે મોક ડ્રીલ કરવા સૂચનાઓ આપવામાં આવી છે. સરકારે રાજ્યના આ તમામ શહેરોને સાયરન વગાડવા માટે 3 શ્રેણીઓમાં વિભાજિત કર્યા છે. 3 સ્થળો- સુરત, વડોદરા અને કાકરાપારને પ્રથમ શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. સુરત અને વડોદરાની ગણતરી વ્યવસાય માટે રાજ્યના મુખ્ય શહેરોમાં થાય છે. કાકરાપારમાં એક પરમાણુ વીજ પ્લાન્ટ છે, જેના કારણે તેને અત્યંત સંવેદનશીલ વિસ્તારમાં સામેલ કરવામાં આવ્યો છે.
બીજી શ્રેણીમાં ગુજરાતમાં 9 સ્થળો- અમદાવાદ, જામનગર, ગાંધીનગર, ભાવનગર, કંડલા, નલિયા, અંકલેશ્વર, ઓખા અને વાડીનારનો સમાવેશ થાય છે. જ્યારે ભરૂચ, ડાંગ, કચ્છ, મહેસાણા, નર્મદા અને નવસારીને ત્રીજી શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. ગૃહ મંત્રાલયના આદેશ પર, રાજ્ય સરકારે મોકડ્રીલ માટેની તૈયારીઓ કરી લીધી છે.
આ સ્થળોએ સાયરન વાગશે
શ્રેણી-1
સુરત, વડોદરા અને કાકરાપાર
શ્રેણી-2
અમદાવાદ, જામનગર, ગાંધીનગર, ભાવનગર, કંડલા, નલિયા, અંકલેશ્વર, ઓખા અને વાડીનાર
શ્રેણી-૩
ભરૂચ, ડાંગ, કચ્છ, મહેસાણા, નર્મદા અને નવસારી
યુદ્ધના સમયે સાયરન વગાડવાના વિવિધ હેતુઓ છે, જેમાં લોકોને હવાઈ હુમલાની ચેતવણી આપવા, વાયુસેના સાથે રેડિયો સંપર્ક સ્થાપિત કરવા અથવા ફરી નાગરિક સંરક્ષણ તૈયારીઓ તપાસવા, બ્લેકઆઉટ અને કંટ્રોલ રૂમની તૈયારીઓની તપાસ માટે આ એક્સરસાઇઝ તપાસવાનો કરવામાં આવે છે. યુદ્ધના સાયરન 2-5 કિલોમીટર દૂર સુધી સાંભળી શકાય છે. આ સામાન્ય એલાર્મ કે એમ્બ્યુલન્સ સાયરન જેવું નહીં હોય. આ તેજ અવાજવાળી વોર્નિંગ સિસ્ટમ હશે, જે 120-140 ડેસિબલ સુધીનો અવાજ કરશે.