નવી દિલ્હી : સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વ્હોટ્સએપ ભારત સરકારની નવી આઈટી ગાઈડલાઈન્સથી નારાજ થઈને હાઇકોર્ટ પહોંચ્યું છે. હાઇકોર્ટમાં તેણે નવા નિયમો ઉપર રોક લગાવવાની માગણી કરી છે. વ્હોટ્સએપે 25 મેના રોજ દાખલ કરેલી અરજીમાં કહ્યું છે કે, ભારત સરકારના આ નવા આઈટી નિયમોથી પ્રાઇવસી (ગોપનીયતા) ખતમ થઈ જશે. જ્યારે સરકારે જવાબમાં કહ્યું કે, તે યૂઝર્સની પ્રાઇવસીનું સમ્માન કરે છે પરંતુ વ્હોટ્સએપે ગંભીર મામલાઓમાં જાણકારી આપવી પડશે.
વ્હોટ્સએપે કેન્દ્ર સરકારના નવા આઈટી નિયમો સામે વાંધો લીધો છે અને આજે દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરી છે. કંપનીએ અરજીમાં કહ્યું છે કે, ભારત સરકારના નવા નિયમો બંધારણમાં નોંધાયેલા ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘન કરે છે. વ્હોટ્સએપે દાવો કર્યો છે કે, તે માત્ર એવા લોકો માટે નિયમન ઈચ્છે છે જે લોકો પ્લેટફોર્મનો ખોટો ઉપયોગ કરે છે. વ્હોટ્સએપના પ્રવક્તાએ કહ્યું હતું કે, વ્હોટ્સએપ મેસેજિસ એનક્રિપ્ટ કરેલા હોય છે. એવી સ્થિતિમાં લોકોની ચેટને ટ્રેસ કરવી એ વ્હોટ્સએપ ઉપર મોકલવામાં આવેલા તમામ મેસેજ ઉપર નજર રાખવા બરાબર છે. આ નિયમ યૂઝર્સની પ્રાઇવસીને ખતમ કરી નાખશે.
બીજી તરફ સરકાર પણ કંપનીને જવાબ આપવા માટે આગળ આવી છે. સરકારે ગાઇડલાઇનમાં કહ્યું છે કે, જરૂર પડે ત્યારે વ્હોટ્સએપમાં મોકલાયેલા મેસેજનું ઓરીજીન (ઉદ્દગમસ્થાન) જણાવવું પડશે. તેના માટે યૂઝરના મેસેજ ટ્રેસ કરવા પડે. વ્હોટ્સએપે આ નિયમ સામે વાંધો ઉઠાવ્યો છે. પરંતુ સરકારનું કહેવું છે કે, આ નિયમને કારણે જનરલ ફીચર્સ ઉપર કોઈ જ અસર નહીં પડે અને યૂઝર્સની પ્રાઇવસી સુનિશ્ચિત થાય તેના માટે અમે પ્રતિબદ્ધ છીએ.
ભારત સરકારના ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે કહ્યું હતું કે, મેસેજ ટ્રેસ કરવાની જરૂર એવા જ મામલાઓમાં પડે છે જ્યારે કોઈ વિશેષ સંદેશાના પ્રસાર ઉપર રોક લગાવવાની હોય, તપાસ કરવાની હોય કે પછી અન્ય સેકસ્યુઅલ સામગ્રી જેવા ગંભીર ગુનાઓમાં સજા આપવાની હોય. અન્યથા આ નિયમોની સામાન્ય યૂઝર્સ ઉપર કોઈ અસર નહીં પડે તેવું મંત્રાલયે ઉમેર્યું હતું.
સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે, જો વ્હોટ્સએપ આ ગાઇડલાઇનનું પાલન ન કરે તો તેની ઉપર આઈટી એક્ટ અંતર્ગત એક્શન લેવામાં આવી શકે છે. વ્હોટ્સએપને જવાબ માટે સરકારે 7 દિવસનો સમય આપ્યો છે.