પુતિને જે મંત્રીને બરતફર કર્યા, તેમની થોડા જ કલાકો બાદ મળી લાશ, પોતે જ ગોળી મારી લીધી
Ex-Russian minister ‘dies by suicide’:રશિયાના ભૂતપૂર્વ પરિવહન મંત્રી રોમન સ્ટારોવોઇટે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને થોડા કલાકો અગાઉ જ રોમન સ્ટારોવોઇટને બરતરફ કર્યા હતા. રશિયન અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમનો મૃતદેહ કારમાંથી મળી આવ્યો હતો.
યુક્રેનની સરહદે આવેલા કુર્સ્ક પ્રદેશના ગવર્નર તરીકે લગભગ 5 વર્ષ વિતાવ્યા બાદ તેમને મે 2024માં પરિવહન મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. રશિયાના ઉડ્ડયન અને શિપિંગ ક્ષેત્રોમાં બેદરકારી અને ભ્રષ્ટાચારના આરોપોને કારણે સ્ટારોવોઇટને બરતરફ કરવામાં આવ્યા હતા. સ્થાનિક મીડિયા અનુસાર, સ્ટારોવોઇટે આત્મહત્યા કરી લીધી છે. સ્ટારોવોઇટના સ્થાને નાયબ પરિવહન મંત્રી આન્દ્રે નિકિતિનની નિમણૂક કરવામાં આવી હતી, જે હવે કાર્યકારી પરિવહન મંત્રી તરીકે સેવા આપશે.
રોઇટર્સના અહેવાલ મુજબ, ગયા મહિને સેન્ટ પીટર્સબર્ગમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય આર્થિક ફોરમ અગાઉ રોમન સ્ટારોવોઇટના સ્થાને આન્દ્રે નિકિતિનને મંત્રી બનાવવાની યોજના અગાઉથી જ ચાલી રહી હતી. રોમન સ્ટારોવોઇટે કુર્સ્ક પ્રદેશના ગવર્નર પદ છોડ્યાના 2 મહિના બાદ, યુક્રેનિયન સૈનિકો સરહદ પાર કરીને કુર્સ્કમાં ઘૂસી ગયા હતા.
આ વર્ષની શરૂઆતમાં, રશિયન સેનાએ કુર્સ્કમાંથી યુક્રેનિયન દળોને હાંકી કાઢ્યા હતા. ત્યારબાદ કુર્સ્કમાં કેટલાક પ્રાદેશિક અધિકારીઓની સત્તાના દુરુપયોગના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી.
રોમન સ્ટારોવોઇટને રશિયામાં ભૌતિક અને સામાજિક માળખાં વિકસાવનારા નેતા તરીકે માનવામાં આવતા હતા. તેમણે રશિયામાં રસ્તાઓનું નેટવર્ક બનાવ્યું હતું. તેમના કાર્યથી ખુશ થઈને પુતિને તેમને કુર્સ્ક પ્રદેશના ગવર્નર તરીકે નિયુક્ત કર્યા. પહેલા તેમને નાયબ પરિવહન મંત્રીની જવાબદારી સોંપવામાં આવી અને પછી તેમને પ્રમોશન આપવામાં આવ્યું હતું.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp