અભિનેતા સલમાન ખાનને ફરી એકવાર મારી નાખવાની ધમકી મળી છે. મુંબઈના વર્લી ટ્રાફિક વિભાગના વોટ્સએપ નંબર પર ધમકી મોકલવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે અભિનેતાના ઘરમાં ઘૂસીને તેને મારી નાખવામાં આવશે. એટલું જ નહીં, સલમાન ખાનની કારને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પણ આપવામાં આવી છે. વર્લી પોલીસ સ્ટેશનમાં ફોન કરનાર અજાણ્યા ઇસમ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.
સુપરસ્ટારને ફરી એકવાર મારી નાખવાની ધમકી મળ્યા બાદ પોલીસ સતર્ક થઈ ગઈ છે. અધિકારીઓ હાલમાં ધમકીના સ્ત્રોત અને સત્યતાની તપાસ કરી રહ્યા છે. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી કે આ ધમકી લોરેન્સ બિશ્નોઈ તરફથી આવી છે કે નહીં.
આ પહેલી વાર નથી, જ્યારે સલમાન ખાનને મારી નાખવાની ધમકી મળી હોય. આ અગાઉ પણ ઘણી વખત અભિનેતાને આવી જ ધમકીઓ મળી ચૂકી છે. વાસ્તવમાં, છેલ્લા કેટલાક વર્ષોમાં, બોલિવુડ અભિનેતાને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી ઘણી પ્રત્યક્ષ અને પરોક્ષ ધમકીઓ મળી છે. 1998ના કાળિયાર શિકાર કેસમાં સલમાન ખાનની કથિત સંડોવણી બદલ આ ગેંગ સલમાન ખાનને નિશાન બનાવી રહી હોવાનું કહેવાય છે, કારણ કે બિશ્નોઈ સમુદાય માટે કાળિયાર ધાર્મિક મહત્ત્વ ધરાવે છે.
ગયા વર્ષે એપ્રિલમાં, 2 લોકોએ વહેલી સવારે સલમાન ખાનના ઘરની બહાર ફોયરિંગ કર્યું હતું.
2024માં, ખાનને બિશ્નોઈ ગેંગ તરફથી એક નવી ધમકી મળી, જેમાં માગ કરવામાં આવી હતી કે, તે ક્યાં તો મંદિરમાં જાય અને કથિત કાળિયાર હત્યા માટે જાહેરમાં માફી માગે અથવા 5 કરોડ રૂપિયાની ચૂકવણી કરે.
30 ઓક્ટોબરના રોજ, અભિનેતાને ફરી એક અજાણ્યા વ્યક્તિ દ્વારા ધમકી આપવામાં આવી હતી અને 2 કરોડ રૂપિયાની ખંડણી માગવામાં આવી હતી.
2024માં, 2 અજાણ્યા ઇસમોએ નકલી ઓળખનો ઉપયોગ કરીને ખાનના પનવેલ ફાર્મહાઉસમાં બળજબરીથી પ્રવેશવાનો પ્રયાસ કર્યો.
2023માં, ગેંગસ્ટર ગોલ્ડી બરાર દ્વારા કથિત રીતે મોકલવામાં આવેલ ધમકીભર્યો ઈ-મેલ મળ્યો હતો.
તો 2022માં, અભિનેતાને તેના ઘરની નજીક એક બેન્ચ પર ધમકીભર્યો પત્ર મળ્યો.
આ સતત મારી નાખવાની ધમકીઓને કારણે, સલમાનની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે. તેને Y+ શ્રેણીની સુરક્ષા પૂરી પાડવામાં આવી છે.
અભિનેતાના ઘર 'ગેલેક્સી એપાર્ટમેન્ટ'ની બહાર વધારાની પોલીસ તૈનાત કરવામાં આવી છે અને તેના ઘરની બાલકનીમાં બુલેટપ્રૂફ કાચ પણ લગાવી દીધા હતા.
આ દરમિયાન, પોતાની ફિલ્મ 'સિકંદર'ના પ્રમોશન દરમિયાન, સલમાને આ ધમકીઓ પર પોતાનું મૌન તોડ્યું હતું. પોતાની ફિલ્મ 'સિકંદર'ના પ્રમોશન દરમિયાન, અભિનેતાએ મીડિયા સાથે વાત કરતા તેને સતત મળી રહેલી જાનથી મારી નાખવાની ધમકીઓ પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, ભગવાન, અલ્લાહ બધાથી ઉપર છે. જેટલી ઉંમર લખી છે બસ એજ છે. ક્યારેક-ક્યારેક આટલા બધા લોકોને લઈને જવું પડે છે, બસ ત્યાં જ સમસ્યા થઇ જાય છે.