નવરાત્રિ બાદ હવે દિવાળી પણ બગાડશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
વરસાદ હવે લગભગ વિદાઇ લઈ ચૂક્યો છે, કેમ કે ઘણા ભાગોમાં હવે વાતાવરણ ખુલ્લુ થઈ ગયું છે અને ઠંડી પણ પડવા લાગી છે. ગુજરાતમાં ચોમાસાની વિદાય થઇ ગઇ હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. ગુરુવારને 9 ઓક્ટોબરના રોજ એકપણ તાલુકામાં વરસાદ નોંધાયો નથી. એવામાં આગાહીકાર અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર , રાજ્યમાં નવરાત્રિ બાદ હવે દિવાળી પણ મેઘરાજા બગાડી શકે છે.
આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી મુજબ, 18-28 ઓક્ટોબર સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે. મધ્ય અને ઉત્તર ભારતમા વરસાદ વરસી શકે છે. અંબાલાલ પટેલે નવેમ્બરમાં મોટુ સાયક્લોન સર્જાય તેવી આગાહી વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું છે કે 20 ડિસેમ્બર બાદ સમગ્ર ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળશે અને આ ઠંડી 20 ફેબ્રુઆરી સુધી યથાવત રહેવાની શક્યતા છે.
રાજ્યમાં અમુક સ્થળે છૂટાછવાયા વરસાદની આગાહી છે. કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જોકે, આગામી 3 દિવસ ક્યાંય પણ ભારે વરસાદનું કોઈ એલર્ટ આપવામાં આવ્યું નથી.
ગુજરામાં અંતે ચોમાસાએ વિદાય લીધી છે. જ્યારે શિયાળો પણ નજીક આવીને ઊભો છે. આવી સ્થિતિ વચ્ચે અત્યારે બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. વહેલી સવારે ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે જ્યારે બપોરમાં ગરમીનો વર્તાય છે. આવી સ્થિતિમાં શરદી-ઉધરસના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.
9 ઓક્ટોબર 2025 સુધીમાં રાજ્યમાં સીઝનનો કુલ 118.12 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં 148.14 ટકા, ઉત્તર ગુજરાતમાં 121.51 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 117.09 ટકા, સૌરાષ્ટ્રમાં 108.60 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 123.26 ટકા વરસાદ વરસ્યો છે. સરદાર સરોવર નર્મદા નિગમ લી. માં 9 ઓક્ટબરના રોજ સાંજના 4 વાગ્યા સુધીમાં પાણીનો સંગ્રહ 334080 mcft છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 100% જેટલી છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં સંગ્રહ 541226 mmcft છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 97.1% છે. 100 ટકા ભરાયેલ ડેમોની સંખ્યા 130 છે. 155 ડેમ હાઇ એલર્ટ પર અને 14 ડેમ એલર્ટ પર છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp