ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ થશે કે નહીં? આવી ગયો સુપ્રીમ કોર્ટનો નિર્ણય
સુપ્રીમ કોર્ટે એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ રોકવા માટેની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે 11 સપ્ટેમ્બરે કહ્યું હતું કે, ‘મેચ યો થવાની જ છે. તેના પર સુનાવણી નહીં થાય. અરજદારે 14 સપ્ટેમ્બરે થનારી મેચ અગાઉ સુનાવણીની માગ કરી હતી. અરજદારોના વકીલે દલીલ કરી હતી કે, ‘ભલે કેસ નબળો હોય, પરંતુ લિસ્ટ તો કરો.’ પરંતુ કોર્ટે સ્પષ્ટ ઇનકાર કરી દીધો.
ભારત-પાકિસ્તાન મેચ અંગે સુપ્રીમ કોર્ટમાં એક જનહિતની અરજી (PIL) દાખલ કરવામાં આવી હતી, જેમાં એશિયા કપમાં 14 સપ્ટેમ્બરે દુબઈમાં રમાનારી ભારત-પાકિસ્તાન T20 ક્રિકેટ મેચ રદ કરવાની માગ કરવામાં આવી હતી. આ અરજી ઉર્વશી જૈનના નેતૃત્વમાં કાયદાના 4 વિદ્યાર્થીઓ દ્વારા દાખલ કરી હતી. અરજદારોએ જણાવ્યું હતું કે, પહેલગામ આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચનું આયોજન રાષ્ટ્રીય ગરિમા અને જનભાવના સાથે ખેલવાડ કરે છે.
બાર અને બેન્ચના અહેવાલ મુજબ, અરજીમાં કહેવામા આવ્યું હતું કે, ક્રિકેટને રાષ્ટ્રીય હિત, નાગરિકોના જીવન અથવા સશસ્ત્ર કર્મચારીઓના બલિદાનથી ઉપર રાખી શકાય નહીં. અરજદારોએ રાષ્ટ્રીય રમતગમત વહીવટ અધિનિયમ 2025ના અમલીકરણ માટે દિશા-નિર્દેશોની પણ માગણી કરી હતી. આ અરજી એડવોકેટ સ્નેહા રાની, અભિષેક વર્મા અને મોહમ્મદ અનસ ચૌધરી દ્વારા દાખલ કરવામાં આવી હતી.
આ અરજીમાં સુપ્રીમ કોર્ટને હસ્તક્ષેપ કરવાની અપીલ કરવામાં આવી હતી. વિશ્વ ક્રિકેટમાં ઘણીવાર સૌથી મોટી સ્પર્ધા તરીકે ઓળખાતી આ હાઇ-પ્રોફાઇલ મેચ એશિયા કપનું કેન્દ્રબિંદુ છે. જોકે, હવે સુપ્રીમ કોર્ટે સુનાવણીનો ઇનકાર કરીને સ્પષ્ટ કરી દીધું છે કે ભારત-પાકિસ્તાન વચ્ચેની હાઇ-પ્રોફાઇલ મેચ થશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp