IND Vs ENG 2nd Test: બૂમરાહ OUT, કુલદીપ IN.. બીજી ટેસ્ટમાં થઈ શકે છે મોટા બદલાવ, આ રણનીતિ સાથે ઉતરશે ભારતીય ટીમ
IND Vs ENG Test Series: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી 5 મેચોની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ બુધવાર 2 જુલાઈથી બર્મિંઘમના એજબેસ્ટન મેદાન પર રમાશે. મંગળવારે ભારતના સહાયક કોચ રાયન ટેન ડોશેટે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં તેમણે ભારતીય ટીમની સંભવિત રણનીતિ અને ફેરફારો વિશે મહત્ત્વપૂર્ણ માહિતી આપી હતી. રાયન ટેન ડોશેટે સ્પષ્ટપણે કહ્યું હતું કે બીજી ટેસ્ટમાં ઓછામાં ઓછા 2 ફેરફાર થશે. ટીમ બર્મિંઘમ ટેસ્ટમાં નવા કોમ્બિનેશન સાથે જઈ શકે છે.
રાયન ટેન ડોશેટે કહ્યું હતું કે, ભારતના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બૂમરાહને બર્મિંઘમ ટેસ્ટમાં આરામ આપવામાં આવી રહ્યો છે. વર્કલોડ મેનેજમેન્ટ હેઠળ તેને આ બ્રેક આપવામાં આવ્યો છે અને તે ત્રીજી ટેસ્ટ (લોર્ડ્સ ખાતે)માં વાપસી માટે ઉપલબ્ધ રહેશે. બૂમરાહે પહેલી ટેસ્ટમાં 5 વિકેટ લઈને શાનદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ સતત ક્રિકેટને ધ્યાનમાં રાખીને, તેને બ્રેક આપવો જરૂરી માનવામાં આવ્યો હતો.
પહેલી ટેસ્ટમાં યુવા ઓપનર યશસ્વી જાયસ્વાલે 4 કેચ છોડ્યા હતા, જેના કારણે ઈંગ્લેન્ડને વધારે રન બનાવવામાં મદદ મળી. હવે ટીમ મેનેજમેન્ટે નિર્ણય લીધો છે કે જાયસ્વાલને સ્લિપ કોર્ડનમાંથી હટાવી દેવામાં આવ્યો છે અને તેને હાલ માટે આઉટફિલ્ડમાં લગાવવામાં આવશે. જાયસ્વાલે પ્રથમ ટેસ્ટની પહેલી ઇનિંગમાં સદી ફટકારી હતી, પરંતુ ફિલ્ડિંગમાં તેની ભૂલ ટીમ માટે મોંઘી સાબિત થઈ.
પહેલી ટેસ્ટ મેચમાં શાર્દુલ ઠાકુર બોલ અને બેટ બંનેથી કંઈ ખાસ પ્રભાવ છોડી શક્યો નહોતો. હવે તેને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર કરવામાં આવી રહ્યો છે અને તેના સ્થાને આંધ્ર પ્રદેશના યુવા ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડીને ટીમમાં સામેલ કરી શકાય છે. તો, આ વખતે બર્મિંઘમની પીચ પર ગરમ હવામાન અને સૂકી સપાટીને ધ્યાનમાં રાખીને, ભારત પ્લેઇંગ ઇલેવનમાં 2 સ્પિન બોલરોનો સમાવેશ કરી શકે છે.
રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ અને વોશિંગ્ટન સુંદર આ 3માંથી 2ને તક મળવાની શક્યતા છે. પહેલી ટેસ્ટમાં રવિન્દ્ર જાડેજાને એકમાત્ર સ્પિનર તરીકે રમાડવામાં આવ્યો હતો, પરંતુ હવે તેમાં બદલાવની તૈયારી છે. રાયન ટેન ડોશેટે કુલદીપ યાદવની નેટ બોલિંગની પ્રશંસા કરી અને કહ્યું કે તે ખૂબ જ લયમાં છે અને વિકેટ લેવાની ભૂખ સાથે મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે. ભારતને પહેલી ટેસ્ટમાં 5 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ટીમ બીજી ટેસ્ટમાં વાપસી કરવા માગશે. કેપ્ટન શુભમન ગિલ માટે પણ આ એક મહત્ત્વપૂર્ણ કસોટી હશે કારણ કે કેપ્ટન તરીકે આ તેનો પ્રારંભિક તબક્કો છે અને દરેક મેચ તેના માટે મહત્ત્વપૂર્ણ છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp