સુરતના પલસાણામાં જોળવાની ફેક્ટરીમાં બોઈલરનું ડ્રમ ફાટતા મોટી દુર્ઘટના થઈ. સંતોષ ટેક્સટાઈલ મિલમાં બોઈલરનું ડ્રમ ફાટતા અફરાતફરી મચી ગઈ હતી હતી. આ દુર્ઘટનામાં 2 લોકોના મોત અને 15થી વધુ કારીગરો દાઝ્યા હોવાનું કહેવામા આવી રહ્યું. ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, સોમવારે વર્કર્સ પોત પોતાના કામ કરી રહ્યા હતા, ત્યારે અચાનક કેમિકલ ભરેલા ડ્રમમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે આગ ઝડપથી આખી મિલમાં ફેલાઈ ગઈ. આ અચાનક બનેલી દુર્ઘટનાને કારણે મિલમાં અફરાતફરી મચી ગઈ હતી. જીવ બચાવવા માટે વર્કરો આમ તેમ ભાગવા લાગ્યા હતા, પરંતુ કેટલાક વર્કર્સ અંદર જ ફસાઈ ગયા હતા.
ઘટનાની જાણ થતા જ સુરત જિલ્લા પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર બ્રિગેડે યુદ્ધના ધોરણે આગને કાબૂમાં લેવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા. સાથે જ પોલીસની મદદથી અંદર ફસાયેલા વર્કર્સને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા મહિલા અને પુરુષ વર્કર્સને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્ય હતા. બચાવ ટીમને તપાસ દરમિયાન મિલની અંદરથી 2 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે મૃત્યુઆંક વધવાની શક્યતા છે, કારણ કે હજુ પણ કેટલાક વર્કર્સ ગુમ છે.
ઈજાગ્રસ્તોની ઓળખ જોગેન્દ્ર પ્રજાપતિ, (રહે- સચીન, પાંડેસરા), શશીકાંત સિંહ (ઉં.વ.18, રહે- તાતીથૈયા), મંજુબેન સારોલીયા (ઉં.વ.43 રહે. બાબેન, બારડોલી, સુગર કોલોની), પુષ્પાદેવી (ઉં.વ.28), સતિષ રાઠોડ (ઉં.વ.33 રહે. સાંકી, પલસાણા, મંદિર ફળિયું), તેજી સુરેશ (ઉં.વ.35, રહે. તાતીથૈયા, સત્યમ શિવમ બિલ્ડિંગ), રવિન્દ્ર મહતો (ઉં.વ.19 રહે. જોળવા), શીલાદેવી અજયરાજ રાય (ઉં.વ.35 રહે. વૃંદાવન સોસાયટી, ચલસાન), સુધા ઠાકુર (ઉં.વ.40, રહે. સોની પાર્ક, પલસાણા), સત્યા બોહરા (ઉં.વ.40), રહે. જોળવા, પલસાણા, પ્રિયંકા શાહ (ઉં.વ.35 રહે. તાતીથૈયા, તુલસી પેલેસ, સુરેશ પલારામજી સહુ (ઉં.વ.39, રહે. સિદ્ધિવિનાયક અરિહંતપાર્ક, કડોદરા), મનોજ તિવારી (ઉં.વ.32), રહે. ગણપતનગર પાંડેસરા), દદનસિંહ કપીલોવસિંહ (ઉં.વ.32), પીઠના ભાગે ફ્રેક્ચર, રહે- ચીકુવાડી, પાંડેસરા, વિજય કનોજીયા (રહે- સોની પાર્ક, તાતીથૈયા, મૂળ રહે- રામગઢ સોનભદ્ર ઉત્તર પ્રદેશ) તરીકે થઈ છે.
પ્રાંત અધિકારી વી.કે. પીપળીયાએ જણાવ્યું હતું કે, પ્રાથમિક અહેવાલ મુજબ પલસાણા તાલુકાના જોળવા ગામમાં સંતોષ મિલમાં ડ્રમ ફાટવાથી આગ લાગી હતી, સ્થળ પર 2 લોકોના મોત થયા છે. 20 લોકો ઈજાગ્રસ્ત છે, જેઓ સારવાર હેઠળ હોસ્પિટલમાં છે. સુરત મહાનગર પાલિકા, બારડોલી ફાયર વિભાગ અને 8-10 ફાયર ફાઈટરો આગ બુઝાવવા માટે કામગીરી કરી રહ્યા છે.
અત્યારે પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. કેમિકલ ડ્રમ ફાટવાનું કારણ જાણવા માટે વિશેષ તપાસ હાથ ધરવામાં આવી છે. આ દુર્ઘટનાએ ટેક્સટાઇલ ઉદ્યોગમાં સુરક્ષા વ્યવસ્થા પર ફરીથી સવાલ ઊભા કરી દીધા છે.
મૃતકના સંબંધીએ જણાવ્યું કે, ડ્રમ ફાટતા મારા ભત્રીજાનું મોત થયું છે. મેનેજર ગેટ પર હતો પરંતુ તેએ અમે કાઢી મુક્યા હતા. કંપનીનો માલિક પણ ફરાર થઈ ગયો હતો. ઘટનાના કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ, કેમિકલ ડ્રમ ફાટવાનું ચોક્કસ કારણ જાણવા વિશેષ તપાસ કરવામાં આવશે.