સ્પોર્ટ્સ ડેસ્ક: આઈસીસી (ICC) દ્વારા આગામી ટી-૨૦ વર્લ્ડ કપ (T-20 World Cup) માટે ગૃપની ઘોષણા કરી દીધી છે. જે મુજબ વર્લ્ડ કપમાં બે કટ્ટર પ્રતિસ્પર્ધી ટીમો ભારત અને પાકિસ્તાન (India-Pakistan) એક જ ગૃપમાં રાખવામાં આવી છે. ટી-૨૦ વર્લ્ડ કપના અધિકારીક ટ્વીટર હેન્ડલ પરથી આ અંગેની ઘોષણા કરવામાં આવી હતી.
આઈસીસી દ્વારા વર્લ્ડ કપ માટે સુપર ૧૨ના બે ગૃપ બનાવ્યા છે. જેમાં બીજા ગૃપમાં ભારત અને પાકિસ્તાનને રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત આ ગૃપમાં ન્યુઝીલેન્ડ અને અફગાનિસ્તાનનો સમાવેશ થાય છે. જ્યારે પહેલા ગૃપમાં ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડીઝનો સમાવેશ થાય છે.
આ બંને ગૃપમાં હજુ બબ્બે ટીમો જોડાશે, જે નિર્ણય ક્વોલિફાયર્સ મેચમાં થશે. ક્વોલિફાયર્સ મેચ માટે પણ આઈસીસીએ બે ગૃપ બનાવ્યા છે. જેમાં ગૃપ A માં શ્રીલંકા, આયરલેન્ડ, નેધરલેન્ડ અને નામિબિયા છે, જ્યારે ગૃપ B માં બાંગ્લાદેશ, સ્કોટલેન્ડ, પાપુઆ ન્યુ ગિની અને ઓમાન સામેલ છે. આ ગૃપ માર્ચ ૨૦૨૧ સુધીની ટીમ રેન્કિંગના આધારે બનાવામાં આવ્યા છે.
આવતા અઠવાડિયે કાર્યક્રમ જાહેર થશે
આઈસીસી ટી-૨૦ ક્રિકેટ વર્લ્ડ કપ ઓમાન અને યુએઈમાં રમાશે. આ વર્લ્ડ કપ પહેલા ભારતમાં રમવાનો હતો પરંતુ કોરોના મહામારીને કારણે આયોજન ટાળી દેવામાં આવ્યું હતું. વર્લ્ડ કપ ૧૭ ઓક્ટોબરથી ૧૪ નવેમ્બર વચ્ચે રમશે. જોકે, આઈસીસી તરફથી હજુ સુધી વર્લ્ડ કપનું આયોજન પ્રસિદ્ધ કરવામાં આવ્યું નથી પરંતુ આગામી અઠવાડિયે આ અંગે જાહેરાત થાય તેવી સંભાવના છે.
છેલ્લે ભારત-પાકિસ્તાન ૨૦૧૯ ના વર્લ્ડ કપમાં ટકરાયા હતા, જેમાં ભારત જીત્યું હતું
ભારત અને પાકિસ્તાન વચ્ચે કેટલાય વર્ષોથી ODI સિરીઝ કે ટેસ્ટ સીરીઝ રમાતી નથી. પરંતુ આઈસીસી ઇવેન્ટ એટલે કે વર્લ્ડ કપ કે અન્ય ટૂર્નામેન્ટમાં બંને ટીમ એકબીજા સામે રમે છે. છેલ્લે ૨૦૧૯ ના વર્લ્ડ કપમાં બંને ટીમો ટકરાઈ હતી, જેમાં ભારતનો વિજય થયો હતો. જ્યારે ૨૦૧૬ ના ટી-૨૦ વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનને ૬ વિકેટે હરાવ્યું હતું. નોંધવું મહત્વનું છે કે ૨૦૧૬ નો ટી-૨૦ વર્લ્ડ કપ વેસ્ટ ઇન્ડીઝ જીત્યું હતું. ત્યારબાદ પ્રથમ વખત આ કપ રમાઈ રહ્યો છે.