કેનેડામાં ખાલિસ્તાનીઓનો ઉપદ્રવ! ભારતીય વાણિજ્ય દૂતાવાસને આપી દીધી આ ધમકી
કેનેડામાં ખાલિસ્તાની સમર્થકો દ્વારા ફરી એકવાર ઉપદ્રવ વધી શકે છે. શીખ ફોર જસ્ટિસ (SFJ) સંગઠન ભારત વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યું છે. અહેવાલો અનુસાર, SFJએ વાનકુવરમાં ભારતીય કોન્સ્યુલેટ પર કબજો કરવાની ધમકી આપી છે. તેણે ભારતીયોને આ વિસ્તારમાં પ્રવેશવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે. જોકે, આ મુદ્દે કેનેડિયન કે ભારતીય સરકાર દ્વારા અત્યાર સુધી કોઈ નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.
ભારત અને કેનેડા વચ્ચે તાજેતરમાં સંબંધ ફરી શરૂ થયા છે, અને ખાલિસ્તાની સંગઠનો આનાથી નાખુશ છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના એક અહેવાલ મુજબ, તેમણે વાનકુવરમાં ભારતીય કોન્સ્યુલેટને ઘેરી લેવાની ધમકી આપી છે. આ અલગાવવાદી સંગઠને કહ્યું છે કે તે ગુરુવારે (18 સપ્ટેમ્બર) દૂતાવાસ પર કબજો કરશે. SFJએ ભારત અને કેનેડામાં લોકોને દૂતાવાસ પરિસરથી દૂર રહેવા ચેતવણી આપી છે
.
SFJએ એક પોસ્ટર પણ શેર કર્યું છે, જેમાં કેનેડામાં નવા ભારતીય હાઇ કમિશનર દિનેશ પટનાયકની તસવીર છે. તેમના ચહેરા પર ગોળીનું નિશાન બતાવવામાં આવ્યું છે. ખાલિસ્તાની સંગઠન SFJએ તેના એક પ્રચાર પત્રમાં લખ્યું હતું કે, "બે વર્ષ અગાઉ, 18 સપ્ટેમ્બર, 2023ના રોજ, વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ સંસદને જાણ કરી હતી કે હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટો સામેલ હતા, જેની તપાસ ચાલી રહી છે. તેમને ડર છે કે ભારતીય વાણિજ્ય દૂતાવાસ ખાલિસ્તાન લોકમત સંગ્રહના પ્રચારકો સામે જાસૂસી નેટવર્ક ચલાવી રહ્યું છે. આનાથી તેમના કાર્ય પર અસર પડી શકે છે."
આ મહિનાની શરૂઆતમાં કેનેડાની સરકારે એક આંતરિક અહેવાલમાં, દેશમાં ખાલિસ્તાની આતંકવાદી જૂથોની હાજરી સ્વીકારી હતી અને ભારત વિરુદ્ધ આતંકવાદ માટે તેઓ કેવી રીતે ભંડોળ મેળવે છે તેની વિગતવાર માહિતી આપી હતી. આ જૂથોમાં બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ અને ઇન્ટરનેશનલ SYFનો સમાવેશ થાય છે, જે બંને કેનેડામાં આતંકવાદી સંગઠનો તરીકે સૂચિબદ્ધ છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp