માલદીવમાં યોગ દિવસ કાર્યક્રમ પર ઉગ્રવાદીઓનો હુમલો, રાષ્ટ્રપતિએ કહ્યું- જવાબદાર લોકોએ કાયદાનો સામનો કરવો પડશે
વર્લ્ડ ડેસ્ક : ચીન તરફી અને પાકિસ્તાન તરફી ઉગ્રવાદીઓનું હબ(Hub) બની ગયેલા માલદીવમાં નેશનલ ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે ભારતના યોગ દિવસ કાર્યક્રમ પર ભારત વિરોધી કટ્ટરપંથીઓના ટોળાએ હુમલો કર્યો હતો. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ દરમિયાન ગુરુવારે સવારે કટ્ટરપંથીઓનું ટોળું સ્ટેડિયમમાં ઘુસી ગયું હતું અને હંગામો મચાવ્યો હતો. કલ્ચરલ સેન્ટર ઓફ ઈન્ડિયા અને માલદીવ સરકાર દ્વારા સંયુક્ત રીતે આ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારે હોબાળો બાદ પોલીસે ભીડને વિખેરવા માટે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા.
ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા બાદ તેમજ અથડામણ શરૂ થયા બાદ સ્થિતિ વધુ ગંભીર બની ગઈ છે. માલદીવના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ સોલિહે કહ્યું છે કે આ ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તેમણે ટ્વીટ કર્યું કે માલદીવની સરકાર આ ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લઈ રહી છે. સોલિહે કહ્યું, 'પોલીસ ગલોલ્હુ સ્ટેડિયમની ઘટનાની તપાસ કરી રહી છે. આ સમગ્ર મામલાને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવ્યો છે અને જે લોકો આ માટે જવાબદાર છે તેમને કાયદાનો સામનો કરવો પડશે.'
માલદીવના યુવા અને રમતગમત મંત્રાલયે ભારતના સાંસ્કૃતિક કેન્દ્રના સહયોગથી ફૂટબોલ સ્ટેડિયમમાં યોગ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે બદમાશોનું ટોળું લાકડીઓ અને ઝંડા લઈને સ્ટેડિયમમાં ઘૂસી ગયું હતું. આ દરમિયાન લોકો ત્યાં મેટ પર બેસીને યોગ કરી રહ્યા હતા. ભીડ યોગ કરી રહેલા લોકો તરફ આગળ વધવા લાગી હતી અને પોલીસે તેમને હટાવવાનો પ્રયાસ કર્યો.
અગાઉ, આયોજકોને ઇવેન્ટના આયોજનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો અને માલે સિટી કાઉન્સિલે રાસફન્નું મરીન બીચ પર યોગ કાર્યક્રમ માટે પરવાનગી આપવાનો ઇનકાર કર્યો હતો. કાઉન્સિલે દાવો કર્યો હતો કે લોકોએ બીચ પર યોગની પ્રેક્ટિસની ફરિયાદ કરી હતી અને તેનો વિરોધ કર્યો હતો. માલદીવની ન્યૂઝ એજન્સી ધ એડિશન અનુસાર, મુસ્લિમોનો એક વર્ગ માને છે કે યોગ કરવું એ સૂર્યની પૂજા કરવા જેવું છે, જે ઇસ્લામ અનુસાર હરામ છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp