આસારામને રાજસ્થાન હાઇકોર્ટે પણ આપી મોટી રાહત, રેપ કેસમાં વચગાળાના જામીન મંજૂર
સગીર પર બળાત્કારના દોષિત આસારામને મોટી રાહત આપતા કોર્ટે તેને 30 જૂન સુધી વચગાળાના જામીન આપ્યા છે. આસારામને પહેલા જ 21 માર્ચ સુધી જામીન મળી ચૂક્યા હતા, ત્યારબાદ જામીનની મુદત પૂરી થતા તેણે આત્મસમર્પણ કર્યું હતું. ત્યારબાદ, ફરી એકવાર જોધપુર હાઈકોર્ટમાં, તેણે સ્વાસ્થ્યનું કારણ દર્શાવીને જામીનની મુદત વધારવાની માગ કરી હતી. તેના પર કોર્ટે આસારામની વચગાળાની જામીનની મુદત 30 જૂન સુધી લંબાવી છે. રાજસ્થાન હાઈકોર્ટની ડબલ બેન્ચે સોમવારે આ અંગે આદેશ જાહેર કર્યો હતો.
આ પહેલા આસારામે મંગળવારે વચગાળાની જામીનની મુદત પૂરી થયા બાદ બપોરે જોધપુર સેન્ટ્રલ જેલમાં આત્મસમર્પણ કર્યું હતું. લગભગ 10 કલાક જેલમાં વિતાવ્યા બાદ તેને રાત્રે 11:30 વાગ્યે પાલી રોડ પર સ્થિત એક ખાનગી હોસ્પિટલ 'આરોગ્યમ'માં દાખલ કરવામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે તબિયત બગડવાના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
આ કેસની સુનાવણી દરમિયાન પીડિતા તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. પીડિતાના વકીલે કોર્ટને કહ્યું કે, આસારામે ભૂતકાળમાં પણ કોર્ટની શરતોનું ઉલ્લંઘન કર્યું છે, એટલે તેના વચગાળાના જામીન લંબાવવું યોગ્ય નથી. તેના પર કોર્ટે આસારામના વકીલને પૂછ્યું કે શું તેમણે પ્રવચન આપીને સુપ્રીમ કોર્ટની શરતોનું ઉલ્લંઘન કર્યું છે? કોર્ટે બંને પક્ષોને આ અંગે એફિડેવિટ દાખલ કરવા જણાવ્યું હતું. આ અરજીની સુનાવણી જસ્ટિસ દિનેશ મહેતા અને જસ્ટિસ વિનીત કુમાર માથુરની ડિવિઝન બેન્ચે કરી હતી.
ગુજરાત હાઈકોર્ટે પણ સ્વઘોષિત ધર્મગુરુ આસારામને રાહત આપી હતી. તબીબી આધાર પર, કોર્ટે તેને વચગાળાના જામીન આપ્યા હતા, જેને 30 જૂન સુધી લંબાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. 86 વર્ષીય આસારામને 2013માં બળાત્કારના કેસમાં 2023માં દોષિત ઠેરવવામાં આવ્યો હતો. ત્યારબાદ આસારામને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આસારામે હાઈકોર્ટમાં 6 મહિનાની અસ્થાયી જામીન અરજી કરી હતી. આસારામના વકીલે દલીલ કરી હતી કે ડૉક્ટરોએ તેમને પંચકર્મ ઉપચાર કરાવવાની સલાહ આપી હતી. આ સારવારની અવધિ 90 દિવસ છે.
આસારામ પર જાતીય સતામણીના બે ગંભીર કેસ નોંધાયેલા છે, જેમાં તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. પહેલો કેસ જોધપુરનો છે, જ્યાં 2013માં સગીર બાળકી પર બળાત્કાર કરવાના આરોપમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. તો, બીજો કેસ ગુજરાતના સુરત સાથે સંબંધિત છે, જેમાં એક મહિલાએ ગાંધીનગર આશ્રમમાં વારંવાર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. આ કેસમાં તેને જાન્યુઆરી 2023માં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp