Breaking : મહારાષ્ટ્ર વિધાનસભા ભંગ થવાની દિશામાં? સંજય રાઉતે ટ્વિટ કરીને સંભાવના વ્યક્ત કરી. BJP વિધાયકોને મુંબઈ પહોંચવા કહેવાયું
Maharashtra Political Crisis : ગઈકાલે વહેલી સવારથી મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય કટોકટી હવે એક નિર્ણાયક વળાંક પર પહોંચી હોય એવું લાગી રહ્યું છે. એકનાથ શિંદેના બળવા પછી અત્યાર સુધી સંજય રાઉત સતત એવું કહી રહ્યા હતા કે મહારાષ્ટ્રમાં શિવસેના-કોંગ્રેસ-NCP ગઠબંધનની અઘાડી સરકારને ઉની આંચ નહિ આવે. પરંતુ થોડી વાર પહેલા રાઉતે પોતે જ ટ્વિટ કરીને જે કહ્યું, એના પરથી લાગી રહ્યું છે કે શિવસેનાએ પરિસ્થિતિનો સ્વીકાર કરી લીધો છે
શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે થોડી વાર પહેલા ટ્વિટ કરીને કહ્યું છે કે મહારાષ્ટ્રની રાજકીય પરિસ્થિતિ વિધાનસભા થવા તરફ આગળ વધી રહી છે. ગુવાહાટી પહોંચેલા શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેએ આજે સવારે દાવો કર્યો હતો કે તેમની પાસે 40 ધારાસભ્યોનો ટેકો છે. એ સિવાય બીજા પણ 10 વિધાયકો ટૂંક સમયમાં શિંદે સાથે જોડાઈ જશે, એવું મનાઈ રહ્યું છે. જો કે એકનાથ શિંદેએ સ્પષ્ટતા કરી હતી કે તેઓ સ્વર્ગીય બાળાસાહેબ ઠાકરે દ્વારા બનાવાયેલી શિવસેના પાર્ટીને તોડવા નથી માંગતા, પરંતુ તેમની માંગ એટલી જ છે કે પક્ષ કોંગ્રેસ-NCP સાથેનું ગઠબંધન તોડીને ભાજપ સાથે જોડાણ કરે.
બીજી તરફ BJPએ પોતાના ધારાસભ્યોને મુંબઈ પહોંચવાની સૂચના આપી દીધી છે. આ ધારાસભ્યો પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નિવાસસ્થાને પહોંચી રહ્યા છે. થોડા જ સમયમાં પક્ષના ઉચ્ચસ્તરીય નેતાઓ સાથે આ ધારાસભ્યની બેઠક યોજવામાં આવશે એવું મનાઈ રહ્યું છે.
BJPએ પોતાના ધારાસભ્યોને મુંબઈ આવવા કહ્યું, એ પાછળ પણ ખાસ કારણ છે. આ પ્રકારની રાજકીય પરિસ્થિતિમાં રાજ્યપાલ વિશેષ સત્ર બોલાવી શકે છે. જો આવું સત્ર બોલાવવામાં આવે, તો એ સમયે પક્ષના તમામ ધારાસભ્યો વિધાનસભામાં હાજર હોવા જોઈએ. આ જ કારણોસર BJPએ પોતાના તમામ ધારાસભ્યોને મુંબઈ ખાતે હાજર થવા માટેની સૂચના આપી દીધી છે.
કહેવાય છે કે પડે ત્યારે સઘળું સાથે જ પડે છે. શિવસેના માટે આ ઉક્તિ સાચી સાબિત થઇ રહી છે. સત્તાની લાલચે કોંગ્રેસ અને NCP સાથે ગઠબંધન કર્યા બાદ શિવસેના પોતાના ત્રણ દાયકા જુના સાથી એવા ભાજપને નીચો દેખાડવાની એક પણ તક ચૂકતી નહોતી. મહારાષ્ટ્રમાં પોતાનો કક્કો ખરો કરાવવા માટે શિવસૈનિકો ગમે ત્યારે હિંસાનો આશરો લેતા અચકાતા નથી. એમની આવી વૃત્તિ પાછળ માતોશ્રીનું બેકિંગ હોવાનું સ્પષ્ટ હતું. પરંતુ હવે એકનાથ શિંદેના જોરદાર પ્રહાર બાદ શિવસેનાની નક્કર એકતામાં જાણે ઉભા તડા પાડવા માંડ્યા છે.
એક સમયે ઠાકરે પરિવાર સામે જ્યાં કોઈ હરફ ઉચ્ચારી નહોતું શકતું, ત્યાં શિંદે સિવાયના કેટલાક વિધાયકો પણ ધીમા સૂરે બોલવા માંડ્યા છે. આવા જ એક વિધાયક પ્રતાપ સરનાયકે કહ્યું છે કે શિવસેનાએ ભાજપ સાથે સંબંધો સુધારી લેવા જોઈએ. પ્રતાપ સરનાયકે કહ્યું કે, “મેં પહેલા પણ કહ્યું હતું કે શિવસેનાએ ભાજપ સાથે જ જવું જોઈએ!”
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp