સુરત ડાઉન ધ ડ્રેન: મનપાને વરસાદી પાણીનિકાલ માટે ફાળવેલી રકમ ડ્રેનેજમાં તણાઈ, માત્ર એક કલાકના વરસાદમાં સ્થિતિ વકરી અને શહેર ડૂબ્યું
વરસાદ આવતા જ સ્માર્ટ સિટી સુરત ખાબોચિયા સિટી બની ગયું છે. વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે કેટલાક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. ઘણા વિસ્તારોમાં ઘર, દુકાનો, પાર્કિંગ, બેઝમેન્ટ અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. હજી તો નદીઓ કે ખાડીઓમાં પૂરની પરિસ્થિતિ પણ નથી સર્જાઇ ત્યાં તો શરૂઆતના વરસાદમાં જસુરત ઉભરવા લાગ્યું છે અને શહેરના રસ્તાઓ ડૂબી ગયા છે. સ્માર્ટ સિટી સુરતની આવી દુર્દશાનું કારણ છે શહેરનું નોટ સો સ્માર્ટ ડ્રેનેજ નેટવર્ક અને તેની કેપેસિટી.
સુરત મહાનગર પાલિકા દ્વારા ડ્રેનેજ અને સ્ટોર્મ ડ્રેનેજની કામગીરી પાછળ અંદાજે 480 થી 500 કારોડ રૂપિયાનો ખર્ચ થાય છે. આ વર્ષની પ્રિમોન્સુન કામગીરી માટે 5 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે. પ્રિમોન્સુન કામગીરી એટલે ચોમાસા પહેલા વરસાદી પાણીના નિકાલ માટે થતી કામગીરી. પ્રિમોન્સુન કામગીરી ખર્ચમાં સમાવિષ્ટ છે ખાડીઓની, સ્ટોર્મ ડ્રેનેજની અને ડ્રેનેજ લાઈનોની સફાઇ. સુરત શહેરના ડ્રેનેજ નેટવર્કની કેપેસિટી ક્ષમતા 1 કલાક દીઠ 1 ઇંચ વરસાદની છે. તેનો અર્થ એ થાય છે કે જો 1 કલાકમાં 1 ઇંચ થી વધુ વરસાદ પડે તો શહેર છલકાશે અને રસ્તાઓ ડૂબશે. ઉલ્લેખનીય છે કે હાલની પરિસ્થિતિમાં જે વરસાદ વરસી રહ્યો છે તે સુરતની ડ્રેનેજ કેપેસિટીથી વધુ છે, જેના કારણે શહેરના ઘણા વિસ્તારોમાં પાણીની રેલમછેલ થઈ ગઈ છે અને જાણે રસ્તાઓ પર નદીઓ વહી રહી છે.
છેલ્લા 24 કલાકમાં શહેરના પૂણા ગામ, અડાજણ, વરાછાના વિસ્તારોમાં વગર પૂરે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઇ હતી. તો સારોલી વિસ્તારમાં મેટ્રોની કામગીરીના કારણે રોડ પર પાણી ભરાય હતા અને રઘુકુલ માર્કેટમાં વરસાદી પાણી ફરી વળ્યા હોવાથી વેપારીઓનો માલસામાન પણ ખરાબ થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત રીંગરોડ પર ટેક્ષટાઇલ માર્કેટમાં આવેલ બેઝમેન્ટની દુકાનો આખેઆખી પાણીમાં ડૂબી ગઈ હતી. ભારે વરસાદને કારણે પાર્ક કરેલા વાહનો પણ ડૂબી જવા પામ્યા છે જેના કારણે વાહનધારકોને પણ મોટું નુકશાન થવા પામ્યું છે. જે વિસ્તારોમાં ઘરમાં પાણી ભરાય છે ત્યાં ફર્નિચર, ઇલેક્ટ્રોનિક સામાન, કપડાં અને અન્ય ઘરવખરીને પણ ભારે નુકશાન થયું છે. લોકો મનપાની માત્ર કાગઝી કાર્યવાહી થી કંટાળ્યા છે અને વહેલી તકે કોઈક કાયમી ઉકેલ ઈચ્છે છે.એટલું જ નથી પરંતુ માર્ગ પરિવહન પર પણ અસર થઈ છે જ્યાં સલામતીના ભાગ રૂપે સુરત સેન્ટ્રલ સ્ટેશન પર બસોના આવાં-જાવન ને પણ સ્થગિત કરવાની નોબત આવી હતી તેમજ ડ્રાઈવરોને બસોને સલામત સ્થળે રાખવા અને પાણીમાં ના ઉતારવા માટે સૂચનો આપવામાં આવ્યા છે.
હાલની પરિસ્થિતિમાં જે વરસાદ વરસી રહ્યો છે તે સુરતની ડ્રેનેજ કેપેસિટીથી વધુ છે, જેના કારણે શહેરમાં ઠેર ઠેર પાણીની રેલમછેલ થઈ ગઈ છે. સુરતના વિવિધ તાલુકામાં ગઈકાલના વરસાદના આંકડાઓ જણાવે છે કે વરસાદ ડ્રેનેજ નિયમનની કેપેસીટી કરતા ખૂબ વધારે રહ્યો હતો.
સુરત સિટી 13.2 ઈંચ
કામરેજમાં 10.7 ઈંચ
પલસાણામાં 8.2 ઈંચ
બારડોલીમાં 6.6 ઈંચ
ઓલપાડમાં 5.0 ઈંચ
ચોર્યાસીમાં 4.3 ઈંચ
માંડવીમાં 3.5 ઈંચ
માંગરોળમાં 3.1 ઈંચ
મહુવામાં 2.8 ઈંચ
ઉમરપાડામાં 1.7 ઈંચ
સુરતમાં ધોધમાર વરસી રહેલ વરસાદના કારણે ગટરિયા પૂરની પરિસ્થિતિ સર્જાઇ છે. આ પાણી ઓસર્યા બાદ જ કેટલુ નુકશાન થયું છે તે સામે આવી શકશે. હાલ તો નીચાણ વાળા વિસ્તારોમાં લોકો પોતાની દુકાનો અને રહેઠણો માંથી પાણી કેવી રીતે કાઢવું અને માલસામાન તથા ઘરવખરી કેવી રીતે બચાવવી તેની મૂંઝવણમાં ડૂબેલા છે. સેંકડો કરોડ ખર્ચ ફાળવણી છતાં મનપાની પોલંપોલ કામગીરી સામે લોકોને હવે આશ્વાસન નહીં પરંતુ નક્કર પગલાઓની જરૂર છે. મનપાની બેદરકારીના કારણે સ્માર્ટ સુંદર સુરત બદસૂરત થઈ ગયું છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp