પુરુષોના વર્ચસ્વ ધરાવતા મંત્રીમંડળમાં આ મહિલા મંત્રીઓનો છે દબદબો, આવી છે એમની રાજકીય સફર, જાણો વિગતે
ગુજરાતમાં બદલાયેલા અને વિસ્તરણ પામેલા મંત્રીમંડળમાં મહિલાઓની પસંદગી પણ વધારવામાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રીએ મહિલા સશક્તિકરણના ઉદ્દેશ્ય સાથે નવનિયુક્ત મંત્રીમંડળમાં ત્રણ મહિલા ધારાસભ્યોને સ્થાન આપ્યું છે. જે રાજ્યની રાજનીતિમાં મહિલાઓના પ્રતિનિધિત્વને મજબૂત બનાવવાનો પ્રયાસ દર્શાવે છે. જે અંતર્ગત વડોદરાના અનુભવી નેતા મનીષા વકીલની સાથે જ જામનગર ઉત્તરના રીવાબા જાડેજા અને અમદાવાદના દર્શના વાઘેલાને મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેમની પસંદગી કરીને અનુભવ અને યુવા ઊર્જાનું સંતુલન જાળવવામાં આવ્યું છે.
વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી બાદ સત્તામાં આવેલા ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં મહિલા પ્રતિનિધિત્વ ઓછું હતું, જેમાં એકમાત્ર મહિલા મંત્રી તરીકે ભાનુબેન બાબરિયાનો સમાવેશ થતો હતો. તેમને કેબિનેટ મંત્રી તરીકે સામાજિક ન્યાય અને મહિલા-બાળ વિકાસ જેવા અગત્યના ખાતાઓ સોંપાયા હતા.પરંતુ હવે આ ત્રણેય મહિલા નેતાઓ રાજ્યના વિવિધ પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરે છે, જે પ્રાદેશિક સંતુલન જાળવવામાં અને વિવિધ સમાજની મહિલાઓના મુદ્દાઓને સરકાર સુધી પહોંચાડવામાં મદદરૂપ થશે.
વડોદરાની અનામત બેઠકના ધારાસભ્ય મનીષા વકીલએ એમ.એ. (M.A.), બી.એડ. (B.Ed.) (અંગ્રેજી સાહિત્ય) અને પીએચ.ડી. (Ph.D.) સુધીનો અભ્યાસ કર્યો છે. અને તેઓ રાજકારણમાં પ્રવેશતા પહેલા બ્રાઇટ ડે સ્કૂલમાં શિક્ષિકા અને સુપરવાઇઝર તરીકે ફરજ બજાવી હતી. તેઓ રાજકીય કારકિર્દી દરમિયાન 2012, 2017 અને 2022માં સતત ત્રણ વખત ચૂંટણી જીતી ધારાસભ્ય બન્યા છે. તેઓ 2021માં પ્રથમ વખત મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી બન્યા હતા. જ્યારે તેમણે 2025ના નવા મંત્રીમંડળમાં ફરી સ્થાન મેળવ્યું છે.
ઉત્તર જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજાએ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU)માંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં સ્નાતક કરેલ છે. તેમના પિતા હરદેવ સિંહ સોલંકી ઉદ્યોગપતિ અને સામાજિક કાર્યકર છે. અને તેઓ પણ રાજકારણમાં આવ્યા પહેલા સામાજિક કાર્યકર તરીકે સમાજના કાર્યોમાં સક્રિય હતા. તેમણે મહિલા સશક્તિકરણના ઉદ્દેશ્યથી 'માતૃશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ' નામનું NGO શરૂ કર્યું છે. તેઓ વર્ષ 2019માં ભાજપમાં જોડાયા છે. તેઓએ અગાઉ કરણી સેનાના સભ્ય તરીકે ફિલ્મ 'પદ્માવત'ના વિરોધમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી અને બાદમાં કરણી સેનાની મહિલા વિંગના વડા બન્યા હતા. તેણીએ ભારતીય ક્રિકેટર રવીન્દ્ર જાડેજા સાથે 2016માં લગ્ન કર્યા છે અને તેમને એક પુત્રી છે.
અમદાવાદ જિલ્લામાં અનુસૂચિત જાતિ સમુદાયના ધારાસભ્ય દર્શન વાઘેલાએ બી.કોમ. સુધીનો અભ્યાસ પૂર્ણ કરેલો છે. રાજ્યની રાજનીતિમાં પ્રવેશતા પહેલા તેઓ અમદાવાદ મહાનગરપાલિકામાં મહત્ત્વની ભૂમિકા ભજવી ચુક્યા છે. અને બે વખત (એક-એક વર્ષના કાર્યકાળ માટે) અમદાવાદના પૂર્વ ડેપ્યુટી મેયર તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ 2025ના મંત્રીમંડળમાં તેમને સ્થાન મળવાથી અમદાવાદ શહેરનું પ્રતિનિધિત્વ મજબૂત બન્યું છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp