ગુજરાતમાં ફરિ સક્રિય થઈ બે વરસાદી સિસ્ટમ, આ વખતે વરસાદની સાથે તોફાની પવનની પણ આગાહી, જાણો વિગતો
ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને જુનાગઢ, સાબરકાંઠા સહિતના ૮ જિલ્લાઓમાં અતિભારે વરસાદ વરસી શકે તેવી આગાહી કરવામાં આવી છે. આ સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને તમામ બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. જ્યારે દરિયામાં પવનની ગતિ 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતાને કારણે માછીમારોને આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
હવામાન વિભાગે આજે સાબરકાંઠા, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપ્યું છે. જ્યારે બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ભાવનગર, અમરેલી, રાજકોટ, પોરબંદર, સુરત, તાપી અને ડાંગમાં મધ્યમ વરસાદને લઈને યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. હાલમાં અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ સક્રિય થવાને કારણે આ સિસ્ટમની અસર જોવા મળશે. આ બે સિસ્ટમની સંયુક્ત અસરને કારણે રાજ્યમાં આગામી 5 દિવસ સુધી ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે.
ડભોઈ પંથકમાં વીજળીના કડાકા સાથે વરસેલા વરસાદથી પટેલવાગા, ટાવર ચોક, આંબેડકર ચોક અને જૈનવાગા જેવા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. આ ઉપરાંત વેગા, ફરતિકુઈ, પૂડા, નડા, બોરબાર, થુવાવી અને રાજલિ જેવા ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ વરસ્યો છે, જેના કારણે ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે માધવપુરના ઘેડ વિસ્તારમાં આવેલી ઓઝત અને મધુવંતી નદીના પાણી ફરી વળ્યા છે. જેના કારણે કડછ અને મોચા ગામના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા.
ગુજરાતની સાથે સાથે પાડોશી રાજ્ય રાજસ્થાનમાં પણ અનરાધાર વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. સવાઈ માધોપુર, બાંરા અને કોટામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. રેલવે ટ્રેક પર પાણી ફરી વળતા રેલવે સેવાને અસર થઈ છે. વરસાદને કારણે બાંરામાં આજે રજા જાહેર કરવામાં આવી છે.
બીજી તરફ અંબાલાલ પટેલની આગાહી અનુસાર આગામી 23થી 26 ઓગસ્ટ ઉત્તર ગુજરાતમાં મેઘો અનરાધાર વરસી શકે છે.ઉત્તર ગુજરાતના અનેક શહેરોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. તો સૌરાષ્ટ્રમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા અંબાલાલે વ્યક્ત કરી છે. જ્યારે 27 અને 28 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં મેઘો ધડ઼બડાટી બોલાવશે. જ્યારે રાજ્યના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ પણ સર્જાવાની આગાહી અંબાલાલે વ્યક્ત કરી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp