શું છે અષાઢી બીજનો ઇતિહાસ? આજે ખાલી રથ યાત્રા નથી!
જગન્નાથજીની રથયાત્રાનાં દર્શનનો લ્હાવો લેવા જગન્નાથપુરીમાં પ્રતિવર્ષ દેશ વિદેશથી લાખોની સંખ્યામાં જનમેદની ઉત્સાહભેર ઉમટે છે, ત્યારે કચ્છમાં આ અષાઢી બીજથી નૂતન વર્ષ તરીકે ઉજવવામાં આવે છે. આમ, જગન્નાથ રથયાત્રાના પાવન દિવસે કચ્છી નવવર્ષની ઉજવણી તેમજ ભાતીગળ પરંપરાનો અદ્ભૂત સંગમ દ્રષ્ટિગોચર થાય છે. આ અષાઢીબીજે કચ્છી હાલારી સંવત ૨૦૮૨નો પ્રારંભ થઈ રહ્યો છે.
ઐતિહાસિક ઘટના અનુસાર કચ્છના મહારાવ પહેલા ખેંગારજી એ સંવત ૧૬૦૫નાં માગસુર સુદ-૫નાં રોજ કચ્છનાં અલગ રાજ્યની વિધિવત સ્થાપના કરી હતી.
અષાઢી બીજ એટલે કચ્છી માડુઓનું નવું વર્ષ. કચ્છના કરાકોટ ગામમાં પાટનગર બદલનાર જામ લાખો ફુલાણી એક દિર્ઘદૃષ્ટ્રા, વિચારવંત રાજવી હતા. જામ લાખા ફુલાણીના મનમાં હંમેશા પોતાના રાજ્યનાં વિકાસ અને પ્રસાર માટે અનેક વિચારો ઘૂમતા રહેતા હતા. આ કારણે તેઓ પોતાના રાજયની સીમા નક્કી કરવા રાજ્યનાં કેટલાક યુવાનો સાથે નીકળી પડયા, પરંતુ તેઓ એ કાર્યની પૂર્ણત: કરી ન શક્યા અને જામ લાખાને પરત થવું પડયું. જ્યારે જામ લાખો પરત ફર્યો એ દરમિયાન અષાઢ માસનો પ્રારંભ થઈ ગયો હતો. એ વર્ષે કચ્છમાં વરસાદ પણ સારો થયો હતો અને ચારે તરફ ખૂબ હરિયાળી છવાઈ ગઈ હતી.
વરસાદી હરિયાળી જોઈ રાજવી જામ લાખો ફુલાણી ખુશ થઈ ગયા. આ કારણે જામ લાખા ફૂલાણીએ પોતાનાં સમગ્ર રાજ્યમાં કચ્છનું નવુ વર્ષ અષાઢી બીજથી શરૂ કરવાની ઘોષણા કરી. આ પ્રમાણે કચ્છ નૂતનવર્ષનો પ્રારંભ થયો અને જામ લાખા ફુલાણીનું નામ આ ઘટના સાથે જોડાઈ અમર થઇ ગયું. દેશ-વિદેશમાં વસેલા કચ્છીઓ, અષાઢી બીજના પર્વને નૂતન વર્ષારંભ તરીકે અત્યંત ઉત્સાહભેર ઉજવણી કરે છે અને પોતાની માતૃભૂમિ કચ્છને વંદન કરે છે.
અનેક કુદરતી આફતો સામે અડીખમ ટકી રહેનાર, વિશ્વના ખૂણે ખૂણે વસતા બહાદૂર અને ખમીરવંતા કચ્છી માડુઓને સીધીખબર નૂતનવર્ષની શુભેચ્છા પાઠવે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp