હવામાં 35,000 ફૂટની ઉંચાઈ પર ઉડતા વિમાન પર પડ્યો બરફ... : જાણો પછી શું થયું
વર્લ્ડ ડેસ્ક: 'રામ રાખે તેને કોણ ચાખે'- કહેવતને સાર્થક કરતી ઘટના હાલમાં જ વિદેશની ધરતી પર નહીં પરંતુ આકાશમાં બની છે. હવામાં હજારો ફૂટની ઊંચાઈએ ઉડતાં વિમાનની સાથે અકસ્માત થતા-થતા રહી ગયો હતો. અહેવાલો અનુસાર, બ્રિટિશ એરવેઝનું એક વિમાન લંડનથી ક્રિસમસની રજાઓ પર લગભગ 200 પ્રવાસીઓને લઈને જતું હતું. આ વિમાન એક સ્નોફ્લેક (snowflake) સાથે અથડાયું હતું જે અન્ય પ્લેનમાંથી પડી ગયું હતું. ટક્કર બાદ બ્રિટિશ એરવેઝના વિમાનની વિન્ડસ્ક્રીન તૂટી ગઈ હતી.
જમીનથી આશરે 1,000 ફૂટ ઉપર ઉડતા પ્લેનમાંથી પડેલા સ્નોફ્લેકથી બ્રિટિશ એરવેઝના વિમાનની વિન્ડસ્ક્રીન તૂટી ગઈ હતી. મીડિયાના અહેવાલો અનુસાર, બોઇંગ 777 એરક્રાફ્ટ 35,000 ફૂટની ઉંચાઈ પર ઉડી રહ્યું હતું. ક્રિસમસના દિવસે લંડનના ગેટવિકથી કોસ્ટા રિકાના સેન જોસ જતી વખતે આ અકસ્માત થયો હતો. બે ઇંચ જાડા સ્નોફ્લેક્સે વિન્ડસ્ક્રીનને સંપૂર્ણપણે તોડી નાખી હતી. જોકે, આ વિન્ડસ્ક્રીન ઘણા બધા ટેસ્ટમાંથી પસાર કરીને બનાવવામાં આવતી હોય છે. જે બુલેટપ્રૂફ ગ્લાસ જેવી હોય છે, જેના કારણે કોઈ ભારે વસ્તુ અથડાય તોપણ ગ્લાસમાં તિરાડ પડી જાય છે પણ તૂટીને અંદર બેઠેલ માણસ પર પડતો નથી.
જો કે, ક્ષતિગ્રસ્ત વિન્ડશિલ્ડ સાથે બ્રિટિશ એરવેઝની ફ્લાઇટ BA2236ના પાઇલટે પ્લેનને સેન જોસમાં સુરક્ષિત લેન્ડ કર્યું હતું. જ્યાં તેનું સમારકામ કરવામાં આવ્યું હતું. વિલંબને કારણે, 200 જેટલા પ્રવાસીઓ જેઓ નાતાલના આગલા દિવસે લંડન પાછા ફરવાના હતા તેઓ સમયસર તેમના ઘરે પહોંચી શક્યા ન હતા.
મીડિયાના અહેવાલ મુજબ, ફ્લાઇટ 23 ડિસેમ્બરની સાંજે સેન જોસથી ગેટવિક માટે રવાના થવાની હતી. પ્લેન પરના મુસાફરોને શરૂઆતમાં 90-મિનિટના વિલંબની અપેક્ષા રાખવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ જમૈકાથી રૂટ વાળવામાં પ્લેનની નિષ્ફળતાને કારણે તેમને બીજી રાત સેન જોસ એરપોર્ટ હોટેલમાં વિતાવવાની ફરજ પડી હતી. લગભગ 200 જેટલા પ્રવાસીઓ સમારકામમાં લાગેલા સમયને કારણે ઓછામાં ઓછા 50 કલાક મોડા પડ્યા હતા. જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અહેવાલો અનુસાર, ફ્લાઇટ લગભગ બે દિવસ મોડી પડી હતી. નિષ્ણાતોના મતે આવી ઘટના લાખોમાં એક વાર બને છે.
બ્રિટિશ એરવેઝના (British Airways ) પ્રવક્તાએ ક્ષતિગ્રસ્ત વિન્ડસ્ક્રીનને કારણે થયેલા વિલંબ માટે મુસાફરોની માફી માંગી. જોકે, એક પ્રવક્તાએ મીડિયાને જણાવ્યું કે, પ્રવાસીઓની સલામતી માટે જ્યાં સુધી તેઓને ખાતરી ન થાય ત્યાં સુધી તેઓ પ્લેન ઉડાડશે નહીં.
એરવેઝના એક પ્રવાસીએ જણાવ્યું કે, પ્રવાસીઓની ધીરજ, એન્જિનિયરો અને ક્રૂ મેમ્બર્સના સહયોગથી પેસેન્જરોને લંડન પરત લાવવામાં આવ્યા. તેમણે કહ્યું કે બ્રિટિશ એરવેઝ અસુવિધા અને વિલંબ માટે દરેક પેસેન્જરને £520 (પાઉન્ડ) ચૂકવશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp